Abtak Media Google News

વેપારીઓ કરશે ચોપડાપૂજન: મનભાવન ફરસાણ-મીઠાઈ, ફટાકડા, રંગોળી સાથે ઉજવાશે દિપોત્સવ: નૂતનવર્ષે લોકો એકબીજાને પાઠવશે ભકામનાઓ

ભારતીય સંસ્કૃતિનો સૌથી મોટો પર્વ એટલે દિવાળી. દિવસો અગાઉ દિવાળી-નૂતનવર્ષ ઉજવવા લોકો તૈયારીઓ કરી રહ્યા હતા ત્યારે જે ઘડીની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી તે દિવાળી અને કાલે બેસતુ વર્ષ દરેક લોકોની જિંદગીમાં એક નવી આશાનું કિરણ લઈને આવશે.

આજે વેપારીઓ ચોપડાપૂજન, ઘરના આંગણામાં દિવડા, રંગોળી અને નાના-મોટા સૌ કોઈ ફટાકડા ફોડી પર્વ મનાવશે તો ફરસાણ-મીઠાઈ આરોગી મન પ્રફુલ્લિત કરશે. કાલે બેસતા વર્ષે દરેક એકબીજાને ‘સાલ મુબારક’ કહી નવા વર્ષની શુભકામના પાઠવશે. તેમજ ભાઈબીજે બહેનના ઘરે ભાઈ જમવા જશે. આજનો દિપોત્સવી પર્વ લોકો માટે આનંદ-ઉલ્લાસ લઈને આવ્યો છે.

આજે સ્વાતીનક્ષત્ર અને પ્રદોશ કાળ વ્યાપીની અમાવસ્થા મળતી હોવાથી આ વર્ષની દિવાળી વધારે શુભ છે. દિવાળીના દિવસે સ્વાતીનક્ષત્ર રાત્રીના ૭:૩૮ સુધી છે જે ઉતમ ગણાય. દિવાળીના દિવસે વ્યાપારના ચોપડાપુજનનું મહત્વ વધારે રહેલું છે. જીવનમાં દરેક વ્યકિત પોતાના વ્યાપારમાં ઘરમાં સ્થિર મહાલક્ષ્મી કૃપા ઈચ્છે છે. મહાલક્ષ્મી માતાજી લક્ષ્મીપૂજન. શારદાપૂજનથી ભકતો પર કૃપા કરે છે.

ચોપડા પૂજનમાં ચોપડો છે તે સરસ્વતી છે કલમ (પેન) મહાકાળી છે અને લક્ષ્મીજીનો સિકકો છે તે લક્ષ્મીજી છે. આ ચોપડા પૂજન દ્વારા ત્રણેય માતાજીની કૃપા વ્યાપાર ધંધામાં વરસે છે. ખાસ કરીને ચોપડાપૂજન પોતાના વ્યાપાર ધંધાની જગ્યાએ કરવું શુભ છે. આપણે ત્યાં દરેક શુભ પ્રસંગોમાં ચોઘડિયા જોવાની પ્રથા છે પરંતુ શાસ્ત્રોકત દ્રષ્ટિએ વિચારતા ચોઘડિયા કરતા વધારે મહત્વ ધરાવે છે.

બ્રહ્મપુરાણના ઉલ્લેખ પ્રમાણે દિવાળીના રાત્રીએ લક્ષ્મીજી વિચરણ કરે છે. આથી પોતાનું ઘર સ્વચ્છ રાખવું અને માતાજીના દિવા પ્રગટાવાથી માં લક્ષ્મીજી પ્રસન્ન થાય છે અને ઘરમાં સ્થિર બની નિવાસ કરે છે. રામચંદ્ર ભગવાન રાવણનો સંહાર કરી અને લંકા પર વિજય મેળવી અયોઘ્યા પરત ફર્યા તે સમયે તેમના સ્વાગતરૂપે દીપમાલાઓ પ્રગટાવી અને ઉત્સવ ઉજવ્યો.

આ તહેવાર એટલે દીપાવલી. સમુદ્રમંથનથી ભગવતી લક્ષ્મીજીનો પ્રાદુર્ભાવ થયો તેના આનંદમાં દીપોત્સવી માનવામાં આવે છે. ઉજજૈનના સમ્રાટ વિક્રમાદિત્યના શાસન પર્વની સ્થાપનાના દિવસને ઉજજૈન વાસીઓએ દિવા પ્રગટાવી ઉજવેલ આથી તેને દિવાળી કહેવાય છે.

વિક્રમ સવંત ૨૦૭૫ સાધારણ નામના સવંત્સરનો પ્રારંભ ગુરુવારે તા.૮/૧૧/૨૦૧૮થી થશે. નવા વર્ષના દિવસે ગોવધનપુજા અન્નકુટ તથા ચોપડામાં મિતી દિવાર નાખવા માટે નવા વ્યાપારના પ્રારંભ માટે શુભ દિવસ છે. નવા વર્ષના દિવસે ગોવર્ધન પુજાનું મહત્વ વધારે છે. આ દિવસે શ્રીકૃષ્ણ ભગવાને ઈન્દ્રનો ગર્વ ઉતારવા ગોકુલવાસીઓ સાથે ગોવર્ધનપુજાની શરૂઆત કરી હતી. આ દિવસે ભગવાનને અન્નકુટ પણ ધરવામાં આવે છે તે ઉપરાંત આ દિવસે બલિપુજાનું પણ મહત્વ છે.

વિષ્ણુ ભગવાન વામન સ્વ‚પ લઈ અને બલિરાજા પાસે જાય છે અને ત્રણ ડગલામાં પૃથ્વીદાન લે છે. બેસતા વર્ષના દિવસે સોપારીમાં બલીરાજા પુજન કરવું અને બ્રાહ્મણોને ગરીબોને દાન આપવું શુભ ગણાય છે. નવા વર્ષનો દિવસ જીવનના રાગ, દ્વેષ ભુલી અને અંતરના દિપ પ્રગટાવી સગા,વ્હાલા અને કુટુંબીજનોને મળવાનો છે. અભિજિત મુહૂર્ત બપોરે ૧૨.૦૮ થી ૧૨.૫૩ બેસતા વર્ષના દિવસે બપોરે ૧.૪૪ થી વિંછુડાની શ‚આત થતી હોવાથી બપોરે ૧.૪૪ પહેલા શુભકાર્યો કરી લેવા.

કારતક સુદ બીજને શુક્રવાર તા.૯ નવેમ્બર ભાઈબહેનના સ્નેહ અને પ્રેમનું પર્વ એટલે ભાઈબીજ. આજના દિવસે જે ભાઈ પોતાની બહેનના ઘરે જમવા જાય છે તેને અકાળ મૃત્યુનો ભય રહેતો નથી. આ દિવસે પોતાના બહેનના હાથે બનાવેલી રસોઈ જમવાથી ભાઈને દીર્ઘ આયુષ્યની પ્રાપ્તિ થાય છે અને શત્રુભય રહેતો નથી. તેમ વેદાંત રત્ન શાસ્ત્રી રાજદિપભાઈ જોષીએ જણાવ્યું હતું.

આજે ચોપડાપૂજન માટેના શુભ ચોઘડિયા

દિવસના ચોઘડિયા

લાભ ૬.૫૫ થી ૮.૧૯

રાત્રીના ચોઘડિયા

શુભ ૭.૪૨ થી ૯.૧૮

અમૃત ૮.૧૯ થી ૯.૪૩અમૃત ૯.૧૮ થી ૧૦.૫૪
શુભ ૧૧.૦૭ થી ૧૨.૩૦ચલ ૧૦.૫૪ થી ૧૨.૩૧
લાભ ૪.૪૨ થી ૬.૦૫લાભ ૩.૪૩ થી ૫.૨૦
ચલ ૩.૧૮ થી ૪.૪૨ 

સાંજે પ્રદેશકાળ ૬.૦૫ થી ૮.૪૦ સુધી પ્રદોશકાળમાં  પણ ચોપડાપૂજન કરવું શુભ છે. નિશિથકાળે રાત્રે ૧૨.૦૫થી ૧૨.૫૬ સુધી તેમાં પણ ચોપડાપૂજન કરવું ઉતમ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.