Abtak Media Google News

પ્રેમ પ્રકરણના કારણે યુવકના પિતાનું ખૂન, જૂનાગઢના ઓટો બ્રોકરનું ભેદી સંજોગોમાં મર્ડર અને આડેસરના યુવાનની હત્યા કરી લાશને નાદા ગામની સીમમાં ફેંકી દેવાઇ

સુરેન્દ્રનગરના જોરાવરનગરમાં પ્રેમ પ્રકરણના કારણે યુવકના પિતાને યુવતીના ભાઇએ છરીના ઘા ઝીંક ઢીમઢાળી દીધાની, જૂનાગઢના ઓટો બ્રોકરનું અજાણ્યા શખ્સોએ તિક્ષ્ણ હથિયારથી હુમલો કરી કરપીણ હત્યા કર્યાનું અને પૂર્વ કચ્છના આડેસર નજીકના નાંદા ગામ પાસેથી અજાણ્યા યુવાનના માથામાં તિક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરી લાશ ફેંકી દેવાયાની ઘટના પોલીસમાં નોંધાઇ છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જોરાવરનગરના રતનપરમાં રહેતા નટુભાઇ શંકરભાઇ ઝીંઝુવાડીયા નામના પ્રૌઢ પર પાડોશમાં રહેતા બળદેવ ઉર્ફે ચકો લાલજી ઝીંઝુવાડીયા નામના શખ્સે છરીના ઘા ઝીંકી હત્યા કર્યાની મૃતકના પુત્ર મુકેશ નટુભાઇ ઝીંઝુવાડીયાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

મૃતક નટુભાઇ ઝીંઝુવાડીયાના પુત્ર કલ્પેશને પાડોશમાં રહેતા બળદેવની બહેન ગુડુ સાથે પ્રેમ સંબંધ હોવાથી બંને ભાગી જતા ઉશ્કેરાયેલા બળદેવે કલ્પેશ કયાં છે તેમ કહી નટુભાઇ ઝીંઝુવાડીયાને છરીના ઘા ઝીંકી હત્યા કર્યાનું ફરિયાદમાં જણાવ્યું છે.

મુળ વંથલી તાલુકાના ધંધુસર ગામના વતની અને જૂનાગઢના ઝાંઝરડા રોડ પર રહેતા રામદેવ મેણંદભાઇ મોઢવાડીયા નામના ૩૪ વર્ષના મેર યુવાન ઝાંઝરડા ચોકડી પાસે પોતાની ઓટો બ્રોકરની ઓફિસે હતા ત્યારે અજાણ્યા શખ્સોએ તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કર્યાની હત્યા કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે અજાણ્યા શખ્સો સામે ખૂનનો ગુનો નોંધી હત્યાનો ભેદ ઉકેલવા તપાસ હાથધરી છે.

પૂર્વ કચ્છના આડેસર નજીક આવેલા નાદા ગામની સીમમાં આશરે ૨૦ થી ૨૨ વર્ષના અજાણ્યા યુવાનની લાશ પડી હોવાની પોલીસને જાણ થતા પી.એસ.આઇ. એમ.એસ.રાણા સહિતનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને લાશનું પોસ્ટમોર્ટમ કરાવતા મૃતકને ગળાટૂંપો દઇ માથામાં તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કર્યાનો અભિપ્રાય આપતા પોલીસે અજાણ્યા શખ્સ સામે હત્યાનો ગુનો નોંધી મૃતકની ઓળખ મેળવવા તપાસ હાથધરી છે. મૃતકની ઓળખ થયા બાદ હત્યા કોને અને શા માટે કરી તે અંગેની વિગતો બહાર આવે તેમ હોવાનું પોલીસસુત્રોએ જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.