Abtak Media Google News

કોરોના સામેની લડાઈ વ્યૂહાત્મક બનાવવા તબીબોનો સંવાદ યોજાયો

સરકારે રચેલું સાત નિષ્ણાંત તબીબોનું જુથ શું કહે છે ?

આગામી ૧૫ થી ૩૦ દિવસમાં કોરોનાના કેસ ઘટી શકે

કોરોના વાયરસ સામે સહઅસ્તિત્વની ભાવના સાથે જ જીવતા શીખવું પડશે

લોકોને કોરોના વચ્ચે જીવવા અને તેનાથી બચવા શું કરી શકાય, કોરોનાથી થતાં મૃત્યુના તર્કબદ્ધ, વૈજ્ઞાનિક અને તબીબી કારણો જેવી માહિતી લોકો સુધી પહોંચે તેવા હેતુથી  ગુજરાતના મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણીના માર્ગદર્શન હેઠળ  રાજ્ય  કક્ષાએ રચાયેલી વ્યૂહરચના અમલીકરણ અને દેખરેખ માટેની “એક્સપર્ટ ગ્રુપ ઓફ ડોક્ટસેના સાત તજજ્ઞોનો મીડિયા સાથે ગાંધીનગર ખાતે હકારાત્મક સંવાદ યોજાયો તેમ, આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડોક્ટર જયંતિ રવિએ જણાવ્યું હતું.

કોરોનાથી ડરવાની કે તેની સામે લડવાની જરૂર નથી, માત્ર તેની સામે ચોક્કસ અંતર રાખી સાવચેતી રાખવાની છે. કોરોના વાયરસ સાથે સહ અસ્તિત્વના સિદ્ધાંત સાથે જીવવું પડશે. સાવચેતીથી જીવશો તો કોરોના તમારું કંઈ બગાડી નહીં શકે: તેના માટે ખાસ હેન્ડ સેનિટાઈઝ, સ્વચ્છતા, સામાજિક અંતર,  માસ્ક  જેવા રક્ષાત્મક પગલા આપણા જીવનનો દૈનિક હિસ્સો બનાવો પડશે.  વર્તમાનમાં જે રીતે ગુજરાત અને ખાસ કરીને અમદાવાદમાં કોરોના સંક્રમણના કેસ- દર્દી વધી રહ્યા છે તે જોઈએ તો આગામી ૧૫  થી ૩૦ દિવસમાં  આ કેસ  ઘણા ઘટી જાય  તેવું પણ બની શકે, કારણ કે સમગ્ર વિશ્વનો કેસ વધવાનો ક્રમ પણ આ રીતે અપ અને પછી ધીમે ધીમે ઘટવા લાગ્યો છે. ગુજરાતમાં અત્યારે નવા કેસોની સામે સાજા થતા દર્દીનો આંક વધવા લાગ્યો છે તે આપણા માટે હકારાત્મક છે.

અમેરિકાની એક સંસ્થાના અભ્યાસ અને તારણ મુજબ વરસાદ આવતા કે જો ભેજવાળું વાતાવરણ હોય  અને ૩૫  ડિગ્રી કરતાં વધુ તાપમાન હોય તો વાયરસનું વહન ઓછું થાય છે, અને તેથી તે નબળો પડે  અને સંક્રમણ પણ ઓછું થઈ શકે.

આ સિવાય ખાસ કરીને જે હૃદય રોગના દર્દીઓ નિયમિત અને સંયમપૂર્ણ જીવી રહ્યા છે,  ચરી પાળી રહ્યા છે, દવાઓ અને કસરત નિયમિત રીતે કરે છે અને તેમની લાઈફ મેઇન્ટેન કરે છે એવા લોકોએ ગભરાવવાની જરૂર નથી… તેઓ શિસ્ત અને સંયમપૂર્વક જિંદગી જીવી શકે છે.

દુનીયાના આશરે ૨૦૦ દેશો કોવિડથી સંક્રમીત:  ગુજરાતમાં માર્ચ મહિનાથી તેના સંક્રમણનો પ્રાંરભ થયો. આ વાયરસ તમામ દેશો અને આપણા સૌના માટે નવો છે. તેની આજની તારીખે કોઇ રસી કે દવા શોધી શકાઇ નથી વળી આ વાયરસ અંગેનુ પુરતું નક્કર જ્ઞાન ન હોય પ્રત્યેક દેશ પોતાની રીતે તેની સામે લડતની વ્યુહરચના કરે છે.

કોરોના બાબતે આ તબક્કે હજુ કોઇ પણ સ્થાયી ઉકેલ મેળવી શકાયો નથી. આ રોગના લક્ષણો ફેફસામાં લાગ્યા બાદ  શરીરમાં સાયટોકાઇન સ્ટ્રોમ, બ્લડ ક્લોટ તેમજ વાસ્ક્યુલર સિસ્ટમમાં થતી અસરને લીધે જે દર્દોઓ પહેલેથી જ નબળી રોગ-પ્રતિકારક શક્તિ ધરાવે છે તેને ઉચીત સમયે જો સારવાર ના મળે તો મૃત્યુ સુધી લઇ જાય છે.

કોરોના વાયરસ જે લોકોમાં વધુ ફેલાઇ રહયો છે તેના મુખ્ય કારણોમાં  કો-મોર્બિડિટિ એટલેકે હ્રદયરોગ, ડાયાબીટીસ મેદસ્વિતા શ્વાસ-ફેફસાને લગતી બીમારી તથા બ્લડ પ્રેસર બીજુ મોટી ઉંમર અને ત્રીજુ આ રોગના લક્ષણો દેખાય થયા બાદ તે માટે તેની સારવાર લેવા માટે ઢીલાશ વર્તવી. આપણે આ વાયરસ સાથે  સહઅસ્તિત્વની ભાવના સાથે જ જીવતા શીખવું પડશે.

ડોક્ટર મહર્ષિ દેસાઈ- એપોલો હોસ્પિટલ: વિશ્વમાં મૃત્યુદરનુ પ્રમાણ જુદું જુદું છે, મૃત્યુદરને નિયંત્રિત કરવો કદાચ શક્ય નથી પરંતુ કોરોના દર્દીને વધુ સારવાર કેવી રીતે આપી શકાય તેના પર અમે ધ્યાન કેન્દ્રિત કર્યું છે. હોલિસ્ટિક એપ્રોચથી ‘પેશન્ટ કેર’ માટે વધુ સારું  શું કરી શકીએ..? તેના માટે આ એક્સપર્ટ ડોક્ટર ગ્રુપની રચના કરાઈ છે

કોવિડનો ફેટાલીટી રેટ સામાન્ય રીતે બે મુખ્ય ભાગોમાં વહેચી શકાય. એસિમ્ટોમેટીક વ્યક્તિઓના કિસ્સામાં નોંધાતો ઇન્ફેક્શન ફેટાલીટી રેટ અને ચેપગ્રસ્ત લોકો માટેનો કેસ ફેટાલીટી રેટ એટલે કે હોસ્પિટલમાં દાખલ થયા હોય તેવા દર્દીઓ માટે.

ડોક્ટર અમી પરીખ: કોવિડથી ચેપગ્રસ્ત બનેલા દ્રદીઓની સારવાર મુખ્ય ત્રણ તબક્કામાં કરવામાં આવે છે. પ્રથમ તબક્કામાં રોગની સંકુલિતતાને જાણી જ્યા વાયરસ સામાન્ય રીતે ફેફસા પર અસર કરતો હોય અને શ્વસનની ક્રિયામાં હુમલો કરતો હોય ત્યારે દર્દીને બહારથી ઓક્સિજન આપી અને બાદમાં જરુર જણાય ત્યા મિકિનિકલ વેન્ટીલેટરનો ઉપયોગ કરી તેને સામાન્ય બનાવવા પ્રયાસ કરવામાં આવે છે.

બીજા તબક્કામાં સાયટોકાઈન સ્ટ્રોમની સારવાર સ્ટિરોઈડ્ઝ આપીને કરવામાં આવે છે, જ્યારે વાસ્કુલર થ્રોમબોસિઝની સારવાર એટલે કે રક્ત ગંઠાઈ જવાની સારવાર લોહીને પાતળુ કરવાની દવા આપીને કરવામાં આવે છે. આ સારવાર પુર્વે દર્દીના બાયો કેમિકલ રિપોર્ટ હાથ ધરવામાં આવતા હોય છે.

ડોક્ટર વી.એન. શાહ: હેલ્થી ફુડ, પૂરતી ઊંઘ અને વિટામિન- સી તથા ડી સાથે ઝીંક, કોરોનાના પડકાર માટે ઉપયોગી છે. હળવી કસરત, યોગા- પ્રાણાયામ તથા પ્રફુલ્લિત રહેવું તે અત્યંત જરૂરી છે. એસએમએસ  એસ. ફોર સેનિટાઇઝેશન એમ ફોર માસ્ક અને એસ ફોર સોશિયલ ડિસ્ટન્સ. આ સૂત્ર પ્રચલિત બનાવવું પડશે.દરેક માણસે આર્ટ, મ્યુઝિક, કલ્ચર વગેરે જેવા પોતાના શોખમાં પ્રવૃત્તિમય રહે તો હકારાત્મક વાતાવરણ ઉભું થશે.

કોરોના વાયરસની છણાવટ કરી વિશ્વભરમાં ૭૦થી વધુ પ્રકારના કોરોના વાયરસ અસ્તિત્વમાં હોવાનો ઉલ્લેખ કર્યો હતો.  એ અને બી ગ્રુપના વાયરસ છે.  જેમા ગ્રુપ એ માં આલ્ફા અને બીટા વાયરસના પ્રકાર અસ્તિત્વ ધરાવે છે. આ બીટા પ્રકારના વાયરસ ભારતમાં છે. જે ઘણુખરુ આર.એન.એ. વાયરસ છે.  આ વાયરસ કોવિડ એટલે કે જેનો આકાર મુગુટ આકારનો છે, તેની શૃખંલા આર.એન.એ સાથે જોડાઈને શરીરમાં પ્રવેશે છે. આ પ્રવેશ બાદ ધીરે ધીરે શરીરના રોગપ્રતિકારક તંત્ર પર અસર દેખાડે છે. જે વ્યક્તિઓ ડાયાબિટિસ, કેન્સર, કિડની, મેદસ્વિતા, હ્રદય રોગ, જેવા દર્દથી પીડાય છે તેઓને આ વાયરસની અસર જલ્દીથી થાય છે. જયારે બાકીના કિસ્સામાં આ રોગના લક્ષણ દેખાવામાં ૭થી ૧૪ દિવસનો સમય લાગે છે. જેના લક્ષણોમાં મુખ્યત્વે દર્દીને શ્વાસ લેવામાં તકલીફ થાય છે.  જેનાથી સમયસર બચવા ઘરે જ પલ્સ ઓક્સિમિટર વસાવીને જ ઘરેથી જ ઓક્સિજનનું લેવલ ચકાસવુ હિતાવહ છે.

યુ એન મહેતા હોસ્પિટલના નિયામક  ડોક્ટર  આર.કે .પટેલ: કોવિડ-૧૯ દર્દીઓને ટોસીલીઝુમેબ નામનું ઈન્જેક્શન આપવામા આવે છે તથા જરૂર જણાયે ટીશ્યુ પાલ્ઝમિનોઝન એક્ટીવેટરની મદદથી સારવાર આપવામાં આવે છે.રાજ્યમાં કોવિડ-૧૯ દર્દીઓને નિયત માર્ગદર્શિકા અનુસાર જ સારવાર આપવામાં આવે છે.

ડોક્ટર દિલીપ માવલંકર: કોરોના પેન્ડેમિક છે, પરંતુ ધીમે-ધીમે પેનીકડેમિક થઈ રહ્યો છે. શરીરમાં ઓક્સીજનનું પ્રમાણ ઓછું થાય ત્યારે લોકોએ તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. રાજ્યમાં પ્રતિમાસ ૩૦,૦૦૦ જેટલા મૃત્યુ જુદા-જુદા કારણોથી થાય છે. અમદાવાદમાં વધી રહેલા સંક્રમણના મુખ્ય કારણ ગીચ વસ્તી, વિદેશથી થયેલુ આગમન તથા દર્દીની કોમોર્બિડ પરિસ્થિતિ જવાબદાર છે.

ડોક્ટર તુષાર પટેલ- ફેફસા રોગના નિષ્ણાત: આ રોગનો વાયરસ ફેફસા ઉપર પણ ઘેરી અસર કરે છે ત્યારે ફેફસાનો ચેપ અટકાવો પણ એટલો જ જરૂરી છે. બધા જ દર્દીઓને આઈ. એમ. સી. આર. ની ગાઈડ લાઈન પ્રમાણે જ ટ્રીટમેન્ટ અપાઇ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.