Abtak Media Google News

નેતાઓની નીતિના પાપે મહાનગરના હાલ બેહાલ ઠેર ઠેર એક એક ફૂટના ખાડાને પાણી ભરતા કાદવથી જનતા હેરાન પરેશાન

જુનાગઢ તા. ૧૦ જુનાગઢ મનપાના નિંભર અધિકારી અને નીસફિકર નેતાઓની ઘોર ઉદાસીનતા તથા  બેદરકારીથી જૂનાગઢ મહાનગરના લગભગ તમામ રસ્તાઓ ગામડા કરતા પણ ખૂબ જ ખરાબ સ્થિતિમાં છે, ઠેર ઠેર એકાદ ફૂટના ખાડા, કિચકાણ વચ્ચે જુનાગઢ હાલમાં જીવી રહ્યું છે, ત્યારે તંત્ર ઊંઘી રહ્યું છે અને તહેવારોના સમયે લોકો ભારે પરેશાની ભોગવી રહ્યું છે.

જૂનાગઢ હાનગરપાલિકાની ચૂંટણીમાં જૂનાગઢના નગરજનોએ ખોબા ભરીને નહિ પરંતુ સૂપડા ભરીને ભાજપને મત આપી ૫૪ સીટની ભેટ આપી હતી અને એટલો વિશ્વાસ હતો કે ભાજપની બોડી આ વખતે જુનાગઢમા વિકાસ કરી, નવું નગર અને નવું નજરાણું બનાવી દેશે, પરંતુ કટકી કરવાની માનસિકતા ધરાવતા અમુક અધિકારીઓના કારણે અને ખિસ્સા ભરવાની અમુક નેતાઓની માનસિકતાના કારણે જુનાગઢ હતું તેના કરતા બદતર થઇ રહ્યું હોવાના વિરોધ પક્ષોમાંથી ભયંકર આક્ષેપો થઈ રહ્યા છે.

બીજી બાજુ જોઈએ તો જૂનાગઢમાં અત્યાર સુધીમાં છેલ્લા એક વર્ષ દરમિયાન સરકારે રૂ. ૧૩૫ કરોડ જેવી માતબર રકમની ગ્રાંટ જુનાગઢ ના વિકાસ માટે આપી છે પરંતુ જૂનાગઢના સાબલપુરથી લઈને ગાંધીચોક સુધીનો એકમાત્ર રોડ મનપા બનાવી શકી છે અને તે રોડ જનતાના ઉપયોગમાં હાલ માં આવી રહ્યો છે, આ સિવાયના જે ગ્રાન્ટ આવી છે તેના કામ ચાલુ હોવાનું અધિકારીઓ અને સત્તાધીશો જણાવી રહ્યા છે, પરંતુ દુ:ખ સાથે લખવું પડે છે કે, જે રોડ થઈ ચૂક્યો છે તેના પર પણ થોડા જ મહિનાઓમાં મસમોટા ખાડા પડ્યા છે, અને આમાં પણ ભ્રષ્ટાચારની ભયંકર બુ આવતી હોવાના પણ વિપક્ષ દ્વારા આક્ષેપો થઈ રહ્યા છે.

જૂનાગઢ શહેરના મોટાભાગના મુખ્ય રસ્તાઓ છે તે તો ભૂગર્ભ ગટર યોજનાના કારણે લગભગ પાંચ છ મહિના પહેલા તોડી નખાયા છે, તો અમુક લોક ડાઉન માં ખોદી નાખ્યા છે, પરંતુ આ રોડ કમિશનર સાહેબની જૂનાગઢને સારા રસ્તા આપવાની મહેચ્છાને કારણે લોકો છેલ્લા ચાર, પાંચ મહિનાથી પરેશાની ભોગવી રહ્યા છે.

આ સિવાય વરસાદ થતાં જ જૂનાગઢ શહેરનો એક પણ રોડ રહેવા પામ્યો નથી, મસ મોટા ખાડા અને કિચ કાણ વાળા બની જવા પામ્યા છે. જૂનાગઢનો એક પણ રોડ જૂનાગઢ મહાનગર ને શોભે તેવો નહીં પરંતુ ગામડા કરતા બદતર બની જવા પામ્યો છે, છતાં પણ જુનાગઢના મહાનગરના નિંભર અધિકારીઓ જૂનાગઢની પ્રજાને પરેશાની માથી બહાર કાઢવા માટે જરૂરી એકશન પ્લાન બનાવી રહ્યું નથી અને શહેરના નિષ્ફળ નેતાઓ જૂનાગઢની જનતાને તકલીફ ઓછી થાય તેવા કામ કરવા ના.માંગતી હોય તેમ ઉપકારનો બદલો અપકાર થી આવી, મેળવેલ મતનો બદલો તકલીફો આપી ચૂકવી રહ્યા હોય તેવું તેવું શહેરના બુધ્ધિ જીવી લોકો કહી રહ્યા છે.

ભાજપે વોટ બેંક અંકે  કરવા સિવાય કંઇ કર્યુ નથી: રેશ્મા પટેલ

જૂનાગઢના તૂટેલા રસ્તાઓ અને ભાજપની નીતિ રીતે સામે એનસીપીના ધુવાધાર પ્રદેશ મહિલા અગ્રણી રેસમાં પટેલે જણાવ્યું છે કે ભાજપ માત્ર રોટલા શેકવાનું જ કામ કરે છે જૂનાગઢ શહેર એક ઐતિહાસિક શહેર છે, છતાં શહેરના રસ્તાઓ, પ્રાથમિક જરૂરિયાતો અને ઐતિહાસિક ઇમારતોની જાળવણીમાં મનપા અને ભાજપ સરકાર નિષ્ફળ નીવડી છે, તેઓ માત્ર સામ-દામ-દંડ-ભેદ નીતિ અપનાવી વોટબેંક અંકે કરવા સિવાય બીજું કંઈ કરતા નથી, જૂનાગઢના વિકાસની વાતો કરનાર ભાજપ તેના સાગરીત કોન્ટ્રાક્ટરોને કોન્ટ્રાક આપી જૂનાગઢને લૂંટવાનો સિલસિલો જારી રાખ્યો છે, આ સામે એનસીપી દ્વારા અનેક વખત રજૂઆત થઈ છે પરંતુ હવે જૂનાગઢના વિકાસને બદલે વિનાશ તરફ વળી રહેલ મનપાની ભાજપ સરકાર સામે એનસીપી જલદ આંદોલન કરશે અને જૂનાગઢની જનતાને મળવી જોઇતી પ્રાથમિક સુવિધાઓ મળે તે માટે કંઈપણ કરતાં અચકાશે નહીં.

 

મનપા સત્તાધીશોની શાન ઠેકાણે લાવવા જન આંદોલન છેડીશું: મંજુલાબેન પરસાણા

જ્યારે જૂનાગઢ મનપામાં કોંગ્રેસના એકમાત્ર ચૂંટાયેલા કોર્પોરેટર મંજુલાબેનના પરસાણાએ જણાવ્યું છે કે ભાજપની બોડી એક વર્ષ દરમિયાન કોઈપણ કામ કર્યા નથી, માત્ર લોકો સાથે છેતરપિંડી કરી છે, આખી બોડી ભ્રષ્ટાચારી બોડી છે, અને લોકો તેમને ઓળખી ગયા છે, કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવે છે, ત્રણ ત્રણ વખત ખાત મુહૂર્ત થાય છે, પરંતુ પૈસા નેતાઓના ખિસ્સામાં જાય છે, આની સામે અમે પબ્લિકને સાથે રાખી, જૂનાગઢની જનતાને પરેશાની આપતા ભાજપની મનપા સરકારની સાન ઠેકાણે લાવવા જન આંદોલનના આદરશું.

મ્યુ. કમિશનરને પ્રજાની તકલીફ જાણવાનો સમય નથી: માલદેભાઇ

જુનાગઢ શહેર એન.સી.પી. ના ઉપપ્રમુખ માલદેભાઈના જણાવ્યા અનુસાર ઉનાળાથી જયશ્રી રોડ સહિતના રસ્તાઓ ખોદાયેલા પડ્યો છે છતાં  આ રસ્તાઓ કરવામાં આવ્યો નથી અનેક આંદોલનનો શહેરના લોકોએ કર્યા છે, આ સિવાય શહેરમાં વ્યવસ્થિત સાયકલ ચાલી શકે તેવા પણ રોડ નથી અને જૂનાગઢની આ બદતર હાલત માટે કમિશનર સાવ ફેઇલ ગયા છે, સરકારી ગાડીમાં ઓફિસે આવે છે, અને ઘર સુધી જાય છે આ સિવાય ગામમાં શું તકલીફ છે તે માટે ચાલીને જાણવા નીકળવાનો તેમની પાસે સમય નથી, ત્યારે જૂનાગઢ મનપાના વિરોધ પક્ષના નેતા દ્વારા જે જન આંદોલન થશે તેમાં એનસીપી તેની સાથે રહેશે તેમ જણાવ્યું હતું.

 

મહાનગર અનાથ બની ગયું છેે, વિપક્ષ હવે આંદોલન છેડશે: અદ્રેમાન પંજા

આ અંગે જૂનાગઢ મનપાના વિરોધ પક્ષના નેતા અદ્રેમાં નભાઇ પંજા એ જણાવ્યું છે કે, જુનાગઢની હાલત હાલમાં ખૂબ જ ભયંકર છે, શહેરનો કોઈ રણી ધણી નથી, જૂનાગઢ મહાનગર મા બાપ વગરનું અનાથ બની જવા પામ્યો છે પ્રજાએ ભાજપને ૫૪ સીટ આપી છે પરંતુ ભાજપના એક પણ નેતા ધ્યાન આપતા નથી, ત્યારે  અમારી વિરોધ પક્ષની જે ભૂમિકા છે તે અમે જનઆંદોલન સાથે ભજવશું અને સાતમ-આઠમના તહેવાર બાદ જૂનાગઢમાં રોડ તથા વિવિધ પ્રશ્ને રોડ ઉપર આવીી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશું અને જુનાગઢ ની જનતા ને સાથે જૂૂ જરૂર પડશે તો જલદ આંદોલન પણ કરીશું.

 

૧૫ દિવસમાં રસ્તાના કામ નહીં થાય તો આંદોલન: અમિત પટેલ

જૂનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ અમિત પટેલે જણાવ્યું છે કે, જૂનાગઢ મનપાના નપાણીયા નેતાઓના પેટનું પાણી હાલતું નથી, પરંતુ શહેર કોંગ્રેસ આવા નેતાઓના પાણી કાઢવાનું સારી રીતે જાણે છે, ત્યારે જો ૧૫ દિવસમાં જૂનાગઢના રોડ રસ્તા પ્રશ્ને સત્તાધારી ભાજપના પદાધિકારીઓ દ્વારા કામ કરવામાં નહીં આવે તો અમે પ્રજાની પરેશાન ને વાચા આપવા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું અને જૂનાગઢની જનતાની જે પરેશાન છે તેમાંથી મુક્ત કરવા માટે અમે જરૂર પડશે તો આકરા આંદોલન કરતાં પણ અચકાશું નહીં.

ભાજપ નેતાઓ મત અને સત્તા મળતા ભાન ભૂલી ગયા: જતીન બુસા

જુનાગઢ જિલ્લા ભાજપ યુવા યુવક પ્રમુખ જતીન બુસાના જણાવ્યા અનુસાર જૂનાગઢ શહેરના એક પણ રસ્તા મહાનગરને લાયક નથી, ગામડાં કરતાં પણ શહેરના રસ્તાઓની બદતર હાલત થઈ છે, પરંતુ ભાજપના નેતાઓ તેમને મળેલા મત અને સીટ થી ભાન ભૂલી ગયા છે ત્યારે તેની ભાનને શાન ઠેકાણે લાવવા યુવા કોંગ્રેસ દ્વારા જનતાને સાથે રાખી જલદ આંદોલન કરવામાં આવશે, અને જો ટૂંક સમયમાં મનપાના નિંભર અધિકારીઓ અને નિષ્ફળતા નેતાઓ રસ્તા રીપેર કરવામાં ખાબોચિયામા બેસી જશે અને જૂનાગઢ શહેરની જે કઈ તકલીફ છે તે દૂર કરવામાં પાછી પાની કરશે તો  જૂનાગઢ જિલ્લા યુવક કોંગ્રેસ તેમની સામે જલદ આંદોલન કરશે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.