Abtak Media Google News

બાળરોગ નિષ્ણાંતનાં ઉચ્ચ અભ્યાસ માટે રાજીનામું આપી દીધું: આરોગ્ય શાખા હવે ડો.રાઠોડ અને ડો.ચુનારાનાં ભરોસે

કોર્પોરેશનનાં વધુ એક નાયબ આરોગ્ય અધિકારી ડો.હિરેન વિસાણીએ બાળ રોગ નિષ્ણાંતનાં ઉચ્ચ અભ્યાસ માટે રાજીનામું આપી દીધું છે. આરોગ્ય શાખા હવે માત્ર ડો.રાઠોડ અને ડો.ચુનારાનાં ભરોસે છે. ગઈકાલે જ મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ દ્વારા આરોગ્ય અધિકારી ડો.વી.પી.પંડયાનું રાજીનામું મંજુર કર્યું હતું. ડો.હિરેન વી.વિસાણી જાન્યુઆરી-૨૦૧૪થી મહાપાલિકામાં નાયબ આરોગ્ય અધિકારી તરીકે જોડાયા છે. તેઓ કોલેજ ઓફ ફિઝિશીયન એન્ડ સર્જન્સમાં પીડીયાટ્રીક વિભાગમાં બાળરોગ નિષ્ણાંતનાં ઉચ્ચ અભ્યાસ માટે એડમિશન મેળવી લીધું હોય નાયબ આરોગ્ય અધિકારી તરીકે મહાપાલિકામાંથી રાજીનામું આપ્યું છે. આજે તેઓને ઈન્ચાર્જ આરોગ્ય અધિકારી ડો.પંકજ રાઠોડ અને ઈન્ચાર્જ નાયબ આરોગ્ય અધિકારી મનિષ ચુનારાએ ઉચ્ચ અભ્યાસ માટેની શુભેચ્છાઓ પાઠવી હતી. સાથો સાથ એવો પણ વિશ્ર્વાસ વ્યકત કર્યો હતો કે, વધુ અભ્યાસ પૂર્ણ કર્યા બાદ રાજકોટનાં નાગરિકોને ડો.હિરેન વિસાણીની સેવાનો લાભ મળશે. અત્રે ઉલ્લેખનીય છેકે, બે વર્ષ પહેલા આરોગ્ય અધિકારી વી.પી.પંડયાએ આપેલું રાજીનામું ગઈકાલે મ્યુનિ.કમિશનર દ્વારા મંજુર કરવામાં આવ્યું હતું.  આ તકે ડો.વિસાણીએ ૬ વર્ષનાં કાર્યકાળ દરમિયાન સહયોગ આપવા બદલ મહાપાલિકાનાં પદાધિકારીઓ, અધિકારી, આરોગ્ય શાખાનાં અધિકારીઓ તથા કર્મચારીઓનો આભાર માન્યો હતો. તેઓની આરોગ્ય સેવા નોંધપાત્ર રહી હતી. મુખ્યમંત્રી અમૃતમ યોજના અને માં વાત્સલ્ય યોજનાનો લાભ શહેરીજનોને મહતમ મળે તે માટે તેઓ સતત સક્રિય રહેતા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.