Abtak Media Google News

‘સ્વચ્છ-ભારત’ની કરોડો રૂપિયાની ઝુંબેશ સરવાળે એળે ગઈ છે, ભારતમાં આવતા વિદેશીઓ એવો સવાલ અચૂક ઉઠાવે છે કે, ભારતમાં શહેરો આટલાં ગંદા કેમ હોય છે?.. એને માટે કોણ જવાબદાર છે, કોણ દોષિત છે? આપણા દેશની આવી છાપ શું આપણા દેશને અને આપણને બધાને શોભા આપે છે ?

સમ્રાટ નેપોલિયને એક વખત ફ્રાન્સની પ્રજાને એવું કહ્યું હતુ કે, ‘તમે મને એક સો આદર્શ માતાઓ આપો, હું તમને બદલામાં તમારા આ દેશની આઝાદી આપીશ… આ વાત અત્યારેય એટલી લાગૂં પડે છે… ઉચ્ચ આદર્શ ક્ધયા કેળવણીનું અભિયાન આવા તમામ આવશ્યક ચમત્કારોસર્જી શકે છે !…

આપણો દેશ આઝાદ થયો તે પહેલાનાં સ્વાંતંત્ર્ય સંગ્રામમાં આપણા દેશના નારી સમાજે ઘણી મહત્વની ભૂમિકા ભજવી હતી. આટલા વર્ષો પછી પણ આપણી એ વખતની નારી શકિતને બિરદાવીએ છીએ અને નારીને રણચંડી તેમજ દૂર્ગાશકિત તરીકે બહુમાનિત કરીએ છીએ… દેશ આઝાદ થયા પછી ક્ધયા કેળવણીની બાબતમાં ઓટ આવી હતી.

સ્વામિ વિવેકાનંદે એમાં નવેસરથી પ્રાણ અને નવતર ચેતના સજર્યા હતા.

ગોંડલના રાજવી સહિત અમુક રાજવીઓએ ક્ધયા કેળવણીને યોગ્ય મહત્વ આપ્યું હતુ.

નેપોલિયને એક તબકકે ફ્રાન્સી પ્રજાને એવું કહ્યું હતુ કે, તમે મને એકસો આદર્શ માતાઓ આપો, હું એના બદલામાં તમને તમારા આ દેશની આઝાદી આપીશ.

અત્યારે આપણા દેશને પણ આ વાત એટલી જ, અર્થાત એથી પણ અધિક લાગુ પડે છે.

સ્વચ્છતા, પર્યાવરણ શુધ્ધિ, ગૌશાલાઓમાં ચોખ્ખાઈ, સામાજીક પરિવર્તન, રાજકીય નિર્મળતા, ઉચિત સત્તાધીશતા, શિક્ષકની ભૂમિકા ઉમદા માતૃત્વ, સુખી સંસાર પ્રસન્ન દામ્પત્ય, ઉત્કટ રાજસત્તા અને પારિવારિક અર્થતંત્ર તેમજ વહિવટી કૌશલ્ય વગેરે ક્ષેત્રે મહત્વનું પ્રદાન કરી શકે છે.

આપણા દેશના માનવસંશાધન-વિકાસના ક્ષેત્રે પણ આજનો નારી સમાજ ઉત્તતોતમ કામગીરી બજાવી શકે છે.

પ્રસાર માધ્યમો દ્વારા લોકો માટે રજૂ કરાતા સ્વચ્છતા અંગેના પ્રસારણોથી આપણે સૌ પરીચીત છીએ. રસ્તા પર સાવરણી સાથે કચરો વાળવાના ફોટા પડાવતા નેતાઓને આપણે અવારનવાર ફેસબુક, ટવીટર અને અન્ય પ્લેટફોર્મ દ્વારા જોઈએ છીએ. આ મહાઅભિયાન પછીનાં થોડા મહિનાઓમાં જ જો કે આપણો દેશ ફરી પાછો દુનિયાનો સૌથી ગંદો દેશ બની રહે છે.

દુનીયાનાં બીજા કોઈ દેશમાં આવા અભીયાન થતા નથી, છતા એ બધા આપણા ગામડા તથા શહેરો કરતા અનેકગણા સ્વચ્છ છે. મારા વિશ્ર્વ પ્રવાસો દરમ્યાન હજી સુધી મેં, એક પણ ભારતીય શહેર જેટલી ગંદકી અને કચરાથી ભરેલી કોઈ જગા જોઈ નથી.

આપણા જાહેર સ્થળોએ શકય તેટલી ગંદકી કરવાની આપણને છૂટ છે. હા, કોઈ સફાઈ કર્મચરીતો આવશે જ, જે એ કચરો ઉપાડશે. એ એનું કામ છે. આખરે, એ કામના એને પૈસા મળે છે ! એટલે પછી પ્લાસ્ટીકની બોટલો, કાગળીયા અને બીજી જે કોઈપણ વસ્તુઓની આપણને જરૂર નથી એ ગમે ત્યાં અને બધે, ફેંકતા રહેવાનો આપણે આપણો હક સમજીએ છીએ.

રોડ પરની ગટરોને આપણે કચરાપેટી જ સમજીએ છીએ અને ત્યાં કચરો નાખતા રહીએ છીએ.ગટર ભરાશે. ગંદુ પાણી ઉભરાશે અને એ આપણા આંગણા સુધી પહોચશે એનો આપણને વાંધો નથી. આપણી દુકાનો સાફ કરીને એ કચરો રોડ પાસેથી પસાર થતી ગટરમાં નાખવાનો આપણે હક સમજીએ છીએ, પછી ભલે ઉભરાઈને એ ગટરનો રેલો આપણા ઘર સુધી પહોચતો હોય. ઘરમાં પુજા થતી હોય એટલે એ તો સ્વચ્છ રાખવું જ પડે ! ઘરનો કચરો સાવરણીથી વાળીને સીધો શેરીમાં નાખ્યો ! ભલેને એ આપણા ‘પવિત્ર’ ઘરની સામે જ કેમ ન પડયો હોય ! આપણને વાંધો નથી.

નેપોલિયને આદર્શ માતાઓ આખા સમાજમાં કેટલુ મોટું પરિવર્તન લાવી શકે અને કેટલા બધા ક્ષેત્રે વિવિધ પ્રકારના અભિયાન વડે આવશ્યક બદલાવનાં ચમત્કાર સર્જી શકે એટલે સુધી કહ્યું છે.

એકસો આદર્શ માતાઓ દેશમાં સ્વતંત્રતા-આઝાદી સર્જી શકે, એમ કહેવું એ ઓછુ નોંધપાત્ર નથી જ. રાષ્ટ્રવ્યાપી ક્રાંતિ અને પરિવર્તનની એમા ઝાંખી થાય છે. આપણી સરકાર ઉચ્ચ અને આદર્શ ક્ધયા કેળવણીની મહત્તા નહિ સ્વીકારે ત્યાં સુધી આ દેશમાં સુનિશ્ર્ચિત પરિવર્તન નહિ આવે અને સવા અબજ લોકોની અપેક્ષા નહિ સંતોષાય એવો સ્પષ્ટ મત છે.

આપણે ત્યાં સ્થાનિક સ્વરાજયની મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓ આવી રહી છે. ત્યારે અત્યારનું તંત્ર અને કોર્પોરેટરોની કામગીરી કેટલા પ્રજાભિમુખ રહ્યા છે, અથવા કેટલા રેઢિયાળ અને નિરંકુશ રહ્યા છે. એની કસોટી થશે! એમાં નારી સમાજની પણ અગ્નિપરીક્ષા થશે, એની ચેતવણી સૂચક નોંધ અહીં લીધા વિના છૂટકો નથી !

અને છેલ્લે

‘કામ કરે ઈ જીતે માલમ

મ કરે ઈ જીતે

આવડો મોટો મલક આપણો

બદલે બીજી કઈ રીતે?

ખેતર ખેડીને કરો સીમ સોહામણી

બાંધો રે નદીયુના નીર,

માંગે છે મુલક આજ મહેનત

મજીયારી, હૈયાના માગે ખમીર’ !

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.