Abtak Media Google News

સુપ્રીમ કોર્ટમાં રામલલ્લાના વકીલે વિવાદીત સ્થાનેથી રામમંદિર હોવાના પુરાવા રજૂ કરીને, કોઇપણ સ્થાને નમાઝ પઢવાથી તે સ્થાન મસ્જિદ બની ન જતી હોવાની દલીલ કરી

અયોધ્યાની રામજન્મભૂમિની વિવાદીત જમીનની માલિકીના મુદ્દે મધ્યસ્થી નિષ્ફળ ગયા બાદા સુપ્રીમ કાષર્યમાં તેની નિયમિત સુનાવણી ચાલી રહી છે. ગઈકાલે સાતમા દિવસની સુનાવણી દરમ્યાન એક પક્ષકાર રામલલ્લા વિરાજમાનના વકીલે આ વિવાદીત સ્થાને વિશાળ મદિર હોવાના પુરાવા, ફોટા અને અનેક નકક્ષાઓ પણ રજૂ કર્યા હતા. સાથે એવી દલીલ કરી હતી કે આ મંદિરને તોડી પાડીને ખરાબ દાનતથી મસ્જિદમાં ફેરવી નખાય હતી કોઈપણ જગ્યાએ નમાઝ પઢવાની તે સ્થાન મસ્જિદ બની જતી નથી આ મુદે થયેલી દલીલો અને પુરાવાઓને ધ્યાનમાં રાખીએ તો આગામી સમયમાં રામલલ્લા મંદિરના દરવાજા ખૂલવાનો તખ્તો તૈયાર થઈ રહ્યો છે. તેવું ન્યાયવિદોનું માનવું છે.

રામલલ્લા વિરાજમાનના વકીલ સી.એસ. વૈદ્યનાથે દાવો કર્યો કે વિવાદી સ્થળે ઇસવીસનના બે વર્ષ પહેલાં વિશાળ મંદિર હતું. તેના ખંડેરને ખરાબ દાનતથી મસ્જિદમાં બદલી દેવાયું હતું. રામજન્મ સ્થળે એટલા માટે નમાજ અદા કરાતી હતી કે તેના પર કબજો કરી શકાય. તે નમાજમાં વિશ્વાસનો અભાવ હતો. વકીલે વધુમાં કહ્યું કે નમાજ તો રોડ પર પણ પઢવામાં આવે છે તો, એનો મતલબ એ નથી કે એ રોડની માલિકી મસ્લિમોની થઇ જાય. તેમણે દાવો કર્યો કે વિવાદી સ્થળે ક્યારેય મસ્જિદ હતી જ નહીં. જ્યારે મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવને તેના પર વાંધો ઉઠાવતા કહ્યું કે આ ઇસ્લામની યોગ્ય વ્યાખ્યા નથી. મામલાની સુનાવણી સોમવારે પણ ચાલુ રહેશે. રામલલ્લાના વકીલ વૈધનો આ દરમિયાન એએસઆઈ રિપોર્ટની આલ્બમ તસવીર દર્શાવી હતી. તેમણે કહ્યું કે, મસ્જિદમાં માનવીય અથવા જીવ-જંતુઓની મૂર્તિઓ ન હોઈ શકે અને જો ત્યાં મૂર્તિઓ છે તો એ મસ્જિદ ન હોઈ શકે. તેમણે કહ્યું કે, ઈસ્લામમાં નમાઝ-પ્રાર્થના તો ક્યાંય પણ થઈ શકે છે. મસ્જિદો તો સામૂહિક સાપ્તાહિક અને દૈનિક પ્રાર્થનાઓ માટે જ હોય છે. આ મુદ્દે સુન્ની વક્ફ બોર્ડના વકીલ રાજીવ ધવને વિરોધ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, નમાઝ અદા કરવાની વાત ખોટી છે, ઈસ્લામની વ્યાખ્યામાં તે સાચુ નથી. તે વિશે રામલલ્લાના વકીલ વૈદ્યનાથે કહ્યું કે, ગલીઓ અને રસ્તાઓ ઉપર પણ નમાઝ અદા કરવામાં આવે જ છે.

રામલલ્લાના વકીલે જણાવ્યું હતું કે, એપ્રિલ ૧૯૫૦માં વિવાદિત વિસ્તારનું નિરક્ષણ કરવામાં આવ્યું ત્યારે પાક્કા પુરાવા મળ્યા હતા. તેમાં નક્શા, મૂર્તિ, રસ્તા અને ઈમારત સામેલ છે. પરિક્રમા માર્ગ પર પાક્કા અને કાચા રસ્તા બન્યા હતા. આજુ બાજુ સાધુઓની કુટિર પણ હતી.

આ સિવાય તેમણે દાવો કર્યો હતો કે, સુમિત્રા ભવનમાં શેષનાગની મૂર્તિ પણ મળી હતી. રામલલ્લાના વકીલ સી.એસ. વૈદ્યનાથે વધુમાં કહ્યું કે, પુરાતત્વ વિભાગના જાન્યુઆરી ૧૯૯૦ના તપાસ રિપોર્ટમાં પણ ઘણી તસ્વીરો પુરાવા બરાબર છે. ૧૧ રંગીન તસવીરો તે રિપોર્ટના આલ્બમમાં છે જેને સ્તંત્રોના નક્શીનું ડિટેલ ચિત્રણ અને વર્ણન કર્યું છે.

અયોધ્યા કેસની સુનાવણી શરૂ થઈ ગઈ છે. રામલલ્લાના વિરાજમાનના વકીલ સીએસ વૈદ્યનાથે કોર્ટમાં નક્શા અને રિપોર્ટ જોઈને કહ્યું કે, જન્મભૂમિ પર ખોદકામ દરમિયાન સ્તંભ પર શિવ તાંડવ, હનુમાન અને દેવી દેવતાઓની મૂર્તિઓ મળી હતી. તે સિવાય પાક્કા નિર્માણમાં જ્યાં ત્રણ ગુંબજ હતા ત્યાં બાળ સ્વરૂપમાં ભગવાન રામની મૂર્તિ હતી.

ગઈકાલે આ સુનાવણીનો સાતમો દિવસ હતો. ગુરુવારે સ્વતંત્રતા દિવસની ઉજવણીના કારણે કોર્ટમાં રજા હતા. બુધવારે અંતે સુનાવણીમાં કોર્ટે રામલલ્લાના વકીલપાસે ઘણાં સવાલોના જવાબ માંગ્યા હતા. સુપ્રીમ કોર્ટે આ દરમિયાન પૂછ્યું હતું કે, મંદિર તોડવા માટેના આદેશ બાબર અથવા તેમના સેનાપતિએ જ આપ્યા હતા તે વિશેના શુ પુરાવા છે? તે સિવાય કોર્ટ તરફથી રામજન્મભૂમિનો દાવે કરનારના પણ પુરાવા માંગ્યા હતા.

રામલ્લા બિરાજમાનના વકીલ સીએસ વૈદ્યનો તેમના તર્કમાં ગ્રંથ, ઐતિહાસીક તથ્યોનો રેફરન્શ આપ્યો હતો. આ દરમિયાન તેમણે એવું પણ કહ્યું હતું કે, રામ જન્મભૂમિ અને મંદિર સાથે કરોડો લોકોની આસ્થા જોડાયેલી છે. જ્યારે રામલલ્લાના વકીલે એ મુદ્દાને પણ કોર્ટમાં ઉઠાવ્યો હતો કે મુસ્લિમ પક્ષ તરફથી એ પહેલાં પણ માનવામાં આવ્યું છે કે, રામજન્મભૂમિ પર મંદિર હતું.

અત્રે નોંધનીય છે કે, રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ મામલે સુનાવણી સીજેઆઈ રંજન ગોગોઈની અધ્યક્ષતા વાળી ૫ સભ્યોની બંધારણીય બેન્ચ કરી રહી છે. આ બેન્ચમાં જસ્ટિસ એસ.એ. બોબડે, જસ્ટિસ ડી.વાય ચંદ્રચૂડ, જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ એસ.એ.નઝીર પણ સામેલ છે. હવે આ કેસની વધુ સુનાવણી સોમવારે હા ધરવામાં આવનારી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.