Abtak Media Google News

ભાજપે લાખો લોકોનો ઘર બેઠા સંપર્ક કરવા અભિયાન ગુંજતુ કર્યું

પ્રદેશ ભાજપ દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી રાજ્યભરમાં અનેકવિધ કાર્યક્રમો થકી લોકોને સંપર્ક કરાશે

૮ જુને રાજકોટ ખાતે પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ આઈ.કે.જાડેજા, પ્રદેશ મહામંત્રી બ્રહ્મભટ્ટ વીડિયો કોન્ફરન્સ સંબોધશે

રાજ્યના ચાર ઝોનમાં વર્ચ્યુઅલ રેલી યોજાશે લોકોને આત્મનિર્ભર બનવાના શપથ લેવડાવાંશે

૧૫ થી ૨૮ જુન પ્રત્યેક બુથમાં બે-બે કાર્યકર ઘરે-ઘરે જઈ વડાપ્રધાનનો સંદેશો પહોંચાડશે

ગુજરાત અને દેશમાં હાલ કોરોના મહામારીની સ્થિતિ વચ્ચે જાહેરસભા કે સંમેલન બંધ છે ત્યારે ભાજપે રાજયમાં લોકોનો ઘર બેઠા સંપર્ક કરવાનું અભિયાન હાથ ધર્યું છે. આ લોકસંપર્ક અભિયાનમાં વીડિયો કોન્ફરન્સથી લોકોને ભાજપ સરકારની કામગીરીની માહિતી અપાશે દરેક બુથ દીઠ બે બે કાર્યકર લોકોના ઘરે જશે.ગુજરાત ભાજપ એકમ દ્વારા તા.૪થી અનેકવિધ કાર્યક્રમો સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી યોજીને લોકો સાથે વર્ચ્યુઅલ સંપર્ક અભિયાનનો પ્રારંભ થયો છે. આ અભિયાન તા.૨૮ જુન સુધી આખા રાજ્યમાં ચલાવવામાં આવશે તેમ ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ વર્ચ્યુઅલ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું. જે અંતર્ગત તા.૮ના રોજ પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ આઈ.કે.જાડેજા તથા પ્રદેશ ભાજપ મહામંત્રી શબ્દશરણ બ્રહ્મભટ્ટ વીડિયોના માધ્યમથી પ્રેસ કોન્ફરન્સ સંબોધશે.

પ્રદેશ ભાજપા અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ તા. ૪ જુનના રોજ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે યોજાયેલ વર્ચ્યુઅલ પ્રેસવાર્તા દરમિયાન જણાવ્યા મુજબ સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી ફેલાયેલી છે ત્યારે ભારત સહિત તમામ દેશો આ સંકટમાંથી પસાર થઈ રહ્યા છે ભારત અને ગુજરાતની જનતાએ પણ આ વૈશ્વિક મહામારીનો સામનો ખૂબ ધીરજપૂર્વક અને મક્કમતાથી કર્યો છે.

તેમણે જણાવ્યું હતું કે લોકડાઉનના  સમયગાળા દરમિયાન કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકાર દ્વારા કોરોનાને નાથવા અને નાગરિકોની સુરક્ષા માટે અનેક શ્રેણીબદ્ધ પગલાં લેવાયા છે જેને કારણે આપણે વિશ્વના અન્ય દેશોની સરખામણીમાં કોરોનાના સંક્રમણને સીમિત રાખવામાં નોંધપાત્ર સફળતા મેળવી શક્યા છીએ. લોકોનું સામાન્ય જનજીવન રાબેતા મુજબ થાય અને જીવનની ગતિ ચેતનવંતી બને, વેપાર, ધંધા ઉદ્યોગો ધમધમતા થાય તે માટેની ખેવના કેન્દ્રની અને રાજ્યની ભાજપા સરકારે કરી છે. જેના અનુસંધાનમાં અનલોક-૧ દરમ્યાન મહદ અંશે જનજીવન પૂર્વવત બને તે માટેના પ્રયાસો પણ થઈ રહ્યા છે.

તેમણે  કોરોના સામુદાયિક સ્તર પર વધુ ન પ્રસરે તે માટે ની ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે કોરોના હજુ સમાપ્ત નથી થયો, આ લડાઈ લાંબી ચાલવાની છે આપણે એક વાત યાદ રાખવી પડશે કે સાવધાની હતી તો દુર્ઘટના ટળી માટે દો ગજ કી દુરી બનાવી રાખીને માસ્ક તથા સેનીટાઇઝરનો ઉપયોગ અવશ્ય કરવા તથા રોગપ્રતિકારક શક્તિ વધે તે માટેના જરૂરી પગલાંઓ સાથે રોજિંદા જનજીવનમાં પૂર્વવત થવાની હિમાયત કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્રની ભાજપ સરકારની બીજી ટર્મનું એક વર્ષ ૩૦મી મેના રોજ પૂર્ણ થયું છે ત્યારે રાષ્ટ્રીય ભાજપ દ્વારા સમગ્ર દેશમાં સોશિયલ મીડિયાના તમામ માધ્યમો દ્વારા જુદા જુદા અભિયાન અને કાર્યક્રમો હાથ ધરવામાં આવનાર છે આ કાર્યક્રમો ઉજવણી માટે નહીં પણ જનતાએ ભાજપમાં મુકેલા વિશ્વાસ અને ભાજપા ના જનતા સાથેના અતૂટ બંધન અને સમર્થનના ફળશ્રુતિ રૂપે જનતાને બીજી ટર્મના એક વર્ષના સુશાસન અને પ્રજાલક્ષી કામગીરીની માહિતી મળે તે માટે જવાબદેહીના સ્વરૂપ અંતર્ગત યોજાશે.

તેમણે જણાવ્યું હતું કે ભાજપ ગુજરાત એકમ દ્વારા પણ તારીખ ૪ થી ૨૮ જૂન દરમિયાન અનેકવિધ કાર્યક્રમો સોશિયલ મીડિયાના માધ્યમથી યોજીને લોકો સાથે વર્ચ્યુઅલ સંપર્ક સાધવામાં આવશે.

આ અંતર્ગત તા. ૪ થી ૮ જુન દરમ્યાન ભાજપ પ્રદેશ મીડિયા વિભાગ દ્વારા ઝોન મુજબ પ્રેસવાર્તા યોજીને  વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્રની ભાજપ સરકારની ઉપલબ્ધિયોની માહિતી જનતા સુધી પહોંચે તે માટેના પ્રયાસો હાથ ધરવામાં આવશે. આ અન્વયે તા. ૫ જુન ના રોજ વડોદરા ખાતે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા અને સાંસદ દેવુંસિંહ ભાઈ ચોહાણ, ૬ જુનનાં રોજ સુરત ખાતે મંત્રી ગણપતભાઈ વસાવા અને પ્રદેશ ભાજપા મહામંત્રી ભરતસિંહ પરમાર તથા ૮ જુનના રોજ રાજકોટ ખાતે પ્રદેશ ઉપાધ્યક્ષ આઈ. કે. જાડેજા અને પ્રદેશ મહામંત્રી શબ્દશરણભાઈ બ્રહ્મભટ્ટ વિડિયો કોન્ફરન્સ દ્વારા પ્રેસવાર્તા સંબોધશે.

સંગઠન પર્વનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું હતું કે ગત વર્ષે યોજાયેલ સંગઠન પર્વ દરમિયાન બુથના કાર્યકર્તાઓની અથાક જહેમતને કારણે ગુજરાત ભાજપા પરિવારમાં નવા ૪૭ લાખ જેટલા સદસ્યો ઉમેરાયા છે. આ માટે તા. ૪ થી ૧૦ જુન દરમ્યાન તમામ સ્તરે અને વ્યાપક રીતે લોકો સુધી કેન્દ્ર અને રાજ્યની ભાજપા સરકારની પ્રજાલક્ષી કામગીરી અને પ્રજાના હિતની વાતો પહોંચે તે માટે આ નવા સદસ્યોને સાંકળીને પ્રત્યેક બુથમાં વ્હોટસએપ ગ્રુપ બનાવવામાં આવશે.

આ કાર્યક્રમો અંતર્ગત તા. ૮ થી ૧૭ જુન દરમિયાન પ્રદેશ ભાજપા દ્વારા ગુજરાતના ચાર ઝોનમાં વર્ચ્યુઅલ રેલી (સભાઓ) યોજવામાં આવશે. જેમાં ૮ જૂનના રોજ ઉત્તર ઝોન, ૧૧ મી  જૂન ના રોજ સૌરાષ્ટ્ર, ૧૪ જૂનના રોજ દક્ષિણ ઝોન અને ૧૭ જુનના રોજ મધ્ય ઝોનમાં સોશ્યલ મીડિયા ના જુદા જુદા પ્લેટફોર્મ પર આ રેલીઓ (સભાઓ) આયોજિત થશે. આ ઉપરાંત તારીખ ૭ થી ૨૮ જૂન દરમિયાન જિલ્લા/ મહાનગર ખાતે જુદા-જુદા  મોરચાઓ, સાંસદો, ધારાસભ્યો દ્વારા વિડીયો કોન્ફરન્સ સંમેલન યોજવામાં આવશે. જેમાં ૭ થી ૧૪ જૂન દરમિયાન યુવા મોરચા અને અનુસૂચિત જાતિ મોરચા દ્વારા, તારીખ ૧૫ થી ૨૧ જુન દરમિયાન બક્ષીપંચ અને મહિલા મોરચા તથા તમામ ધારાસભ્યો દ્વારા તથા તારીખ ૨૨ થી ૨૮ જૂન દરમિયાન અનુસૂચિત જનજાતિ મોરચો, કિશાન મોરચા અને તમામ સાંસદો દ્વારા આ વિડીયો કોન્ફરન્સનું આયોજન વર્ચ્યુઅલ રીતે સમગ્ર ગુજરાતભરમાં કરવામાં આવશે.

વાઘાણીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા પાઠવેલા પ્રજાજોગ સંદેશ માટેના પત્રનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, વડાપ્રધાનનો જનતા સાથે લાગણીનો- સંવેદનાનો અતૂટ નાતો રહ્યો છે. તે દૃષ્ટિકોણથી જ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ લખેલ પત્ર સમગ્ર ગુજરાતભરમાં તારીખ ૧૫ થી ૨૮ જૂન દરમિયાન પ્રત્યેક બૂથમાં બે- બે કાર્યકરો દ્વારા ઘેર ઘેર જઈને આ સંદેશો પહોંચાડવામાં આવશે. સાથે સાથે આ સમય દરમિયાન જ જુદા જુદા મોરચાઓ દ્વારા માસ્ક અને અને સેનીટાઈઝરનું વિતરણ તમામ જિલ્લા/મહાનગરમાં કરવામાં આવશે. આ પ્રકારના અભિયાનમાં જ્યારે રૂબરૂ સંપર્ક કરવાનો હોય ત્યારે કોરોનાની ગંભીરતા અને સુરક્ષાના દ્રષ્ટિકોણને લક્ષમાં રાખીને તમામ કાર્યકર્તાઓ કેન્દ્રની માર્ગદર્શિકા મુજબ સોશિયલ ડિસ્ટન્સ જાળવી, માસ્ક પહેરવા અને વારંવાર હાથ સાબુથી ધોવા, સેનીટાઈઝરનો ઉપયોગ કરવા જેવી બાબતોની પણ આ કાર્યક્રમો દરમિયાન કાળજી લેવામાં આવશે.

તેમણે અંતમાં જણાવ્યું હતું કે આજે સમગ્ર વિશ્વ જેની સામે આશાભરી મીટ માંડીને બેઠું છે તેવા લોકલાડીલાઅને વૈશ્વિક નેતા, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ રાષ્ટ્ર પ્રથમ ના અભિગમ સાથે આત્મનિર્ભર ભારત અને સુરક્ષિત ભારત બનાવવા માટેની કટિબદ્ધતા વ્યક્ત કરી છે ત્યારે ૮ થી ૨૮  જૂન દરમિયાન યોજાનાર તમામ વર્ચ્યુઅલ રેલીઓ (સભાઓ) અને વીડિયો કોન્ફરન્સના સંમેલનમાં આત્મનિર્ભર ભારતના સંકલ્પ તમામ લોકોને લેવડાવવામાં આવશે અને ભારતનુ અર્થતંત્ર, ભારતના નાગરિકો સુદઢ બને આત્મનિર્ભર બને અને વોકલ ફોર લોકલનો અભિગમ વ્યાપક રીતે તમામ સ્તરે મજબૂત બને તે માટેના પ્રયાસો હાથ ધરવામાં આવશે.

‘એક ભારત-શ્રેષ્ઠ ભારત’નો સંકલ્પ સિદ્ધ કરવા સરકાર કટિબદ્ધ

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં દેશની કેન્દ્ર સરકાર સામાન્ય જનતાની આશા-આકાંક્ષાઓ પૂર્ણ કરવાની કટિબદ્ધતા સાથે, દેશની એકતા અખંડિતતા સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે, ખેડૂતો, મહિલાઓ, યુવાનો, પીડિતો, શોષિતોના હક્કોનું રક્ષણ કરવા માટે, દેશ વિશ્વગુરુના સ્થાને બિરાજમાન થાય તે માટે, ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ ના સંકલ્પને સિદ્ધ કરવા માટે  અવિરતપણે કાર્યરત છે તેમ વાઘાણીએ જણાવ્યું હતું.

૨૦ લાખનું આર્થિક પેકેજ ‘આત્મનિર્ભર ભારત’નું મહત્વનું પગલુ: વાઘાણી

વૈશ્વિક મહામારી કોરોનાનો ભોગ સમગ્ર વિશ્વ બન્યું છે. સંકટની અતિસંવેદનશીલ ઘડીમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ સમયસર અસરકારક પગલાં લીધા છે તેના પરિણામ સ્વરૂપ કોરોનાને મર્યાદિત રાખવામાં સફળતા મળી છે.ગુજરાત સહિત દેશની જનતાએ કોરોનાને નાથવા સરકાર અને તંત્રને અભૂતપૂર્વ સાથ-સહકાર આપ્યો તે બદલ જનતા અભિનંદનને પાત્ર છે.ગરીબ કલ્યાણ હેતુ, ઉદ્યોગ વ્યાપાર માટે  કોરોના મહામારીના સમયમાં વિવિધ સહાયો અર્થે વિવિધ નિતીગત ફેરફારો સાથે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ જાહેર કરેલું રૂપિયા ૨૦ લાખ કરોડનું ઐતિહાસીક આર્થિક પેકેજ ‘આત્મનિર્ભર ભારત’ તરફનું મહત્વપૂર્ણ પગલું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.