Abtak Media Google News

રાજકોટના પ્રબુદ્ધ નાગરિકોના મતે પક્ષ કોઇપણ હોય લોકોની સવલતો પુરી થવી જોઇએ

રાજકોટની સ્માર્ટ પ્રજા ૨૧ ફેબ્રુઆરીએ સ્માર્ટ નગરસેવકો પર વિશ્ર્વાસ મુકશે: ૨૩મીએ પરિણામ

વોર્ડ નં. ૧૦ થી ૧૮માં લોકો સ્માર્ટ બન્યા અને નગરસેવકોને પણ સ્માર્ટનેસ તરફ આગળ વધવા ફરજ પાડી

રાજકોટ કોર્પોરેશન ચૂંટણીના પડઘમ વાગી ચુક્યા છે.૨૧ ફેબ્રુઆરીએ મતદાન બાદ ૨૩ ફેબ્રુઆરીએ ઉમેદવારોના ભાવિ નક્કી થઈ જશે ત્યારે છેલ્લા ૫ વર્ષમાં કોર્પોરેટરોએ વોર્ડમાં કરેલા કામો દ્વારા લોકો કેટલા સંતુષ્ટ છે? તે જાણવાનો પ્રયત્ન અબતક ચેનલ દ્વારા કરવામાં આવ્યો હતો.વોર્ડ ૧ થી ૧૮ ના એન.જી.ઓ, જ્ઞાતિ અગ્રણીઓ સહિત પ્રબુદ્ધ નાગરિકોએ અબતક ચેનલને વોર્ડની હાલની સ્થિતિ તેમજ આવનારા વર્ષોમાં રહેવાસીઓની મહત્વકાંક્ષાઓ વર્ણવી હતી. રાજકોટના રહેવાસીઓ સ્માર્ટ સિટીની જેમ સ્માર્ટ નગર સેવકો ઈચ્છે છે.

રાજકોટ મહાપાલિકાની ચૂંટણીનો ધમધમાટ શરૂ થયો છે. શહેર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ઉમેદવારો પસંદ કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે તેમજ અનેક વોર્ડના ઉમેદવારો પણ નક્કી થઈ ચૂક્યા છે. ટિકિટના અપેક્ષિત ઉમેદવારોથી લઈને કાર્યકરો અને સંગઠના હોદ્દેદારોએ નિરીક્ષકોને પોતાની રજુઆત કરી છે. આ વખતે ઉમેદવાર પસંદગી માટે ખાસ અપેક્ષાઓ તમામ પાર્ટીએ રાખી છે જેમાં ઉમેદવાર નું સામાજિક કામોનું બેકગ્રાઉન્ડ, સોસીયલ મીડિયામાં તેની પહોંચ, સ્થાનિક લેવલે લોકપ્રિયતા, પાર્ટી માટે કરેલા કામો અને લાયકાત ગણવામાં આવી રહી છે. રાજકોટ મનપાની ચૂંટણીમાં ભાજપની સેન્સ ની પ્રક્રિયા પહેલા શહેર ભાજપના ૪ થી ૫ દિગજ્જ નેતાઓએ ચૂંટણી ન લડવાની વાત કરી છે જેમાં નીતિનભાઈ ભારદ્વાજ, પૂર્વ મેયર બીનાબેન આચાર્ય, ઉદય કાનગડ, કશ્યપ શુક્લ, અરવિંદભાઈ રૈયાણી સહિતના અગ્રણીઓએ ચૂંટણી ન લડવા માટે પોતાની વાત દર્શાવી ચુક્યા છે. ગત ચૂંટણીમાં ભાજપને ૩૮ અને કોંગ્રેસને ૩૪ બેઠકો મળતા કોંગ્રેસ ઉમેદવારો અને કાર્યકરોનો ઉત્સાહ બમણો છે તો સાથેજ આ વર્ષે ત્રીજી પરિબળ આમ આદમી પાર્ટી પણ પોતાના ઉમેદવારોને ચૂંટણી લડાવી જીતાડવાનો પ્રયત્ન કરી રહી છે.ત્યારે આવનારા દિવસોમાં રાજકોટ મહાનગર પાલિકામાં કોણ બાજી મારશે? તે જોવું રહ્યું.

ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેરના ૧૮ વોર્ડના ભારતીય જનતા પાર્ટીના ૭૨ ઉમેદવારો માટે કુલ ૭૮૪ જેટલા અપેક્ષિત વ્યક્તિઓ સેન્સ પ્રક્રિયામા આવ્યા હતા. ભાજપ અગ્રણીઓ પુષ્પદાનભાઈ ગઢવી, ગીરીશભાઈ શાહ, જાગૃતિબેન પંડ્યા,મહેન્દ્રસિંહ સરવૈયા, દિલીપભાઈ ત્રિવેદી ,આદ્યશક્તિબેન મજમુદાર ,બાબુભાઈ બોખીરિયા,ભરતસિંહ ગોહિલ, બીજલબેન પટેલ,નરહરિભાઈ અમીન, માધાભાઈ બોરીચા અને નિમુબેન બાંભણીયા દ્વારા સેન્સ લેવામાં આવી હતી ત્યારે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના અગ્રણીઓ દ્વારા “ટીકીટ” માટે કોઈ પણ પ્રકારની ભલામણ ચલાવવામાં નહીં આવે તેવી જાહેરાત પણ કરવામાં આવી છે. ભાજપ દ્વારા પેઈજ સમિતિની રચના કરી પેઈજ પ્રમુખો પણ બનાવવામાં આવ્યા છે.જેમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ પેઈજ પ્રમુખ બન્યા છે. પેઈજ સમિતિ દ્વારા ગ્રાઉન્ડ લેવલે ભાજપે માઇક્રો પલાનિંગ કર્યું છે ત્યારે કોંગ્રેસ દ્વારા નગરજનોને વિકાસરૂપી અંધારા માંથી બહાર આવવા માટે જાગૃત કરવામાં આવી રહ્યા છે.

વોર્ડ નંબર 10માં લોકોના સંપર્કમાં રહીને પ્રજાલક્ષી કાર્યો કરે તેવા નગરસેવકની અપેક્ષા
વોર્ડ-૧૦

શિક્ષિત, લોકોના સંપર્કમાં રહીને પ્રજાલક્ષી કાર્યો કરે તેવા નગરસેવકની અપેક્ષા: પાટીદાર સમાજ

Patidar

વોર્ડ નંબર ૧૦ના પાટીદાર સમાજના આગેવાનોએ કહ્યું હતું કે, વિસ્તારમાં અમુક કાર્યો જેવા કે, રોડ-રસ્તા, મેટલિંગ, પેવિંગ સહિતના કાર્યો થયા છે.હજુ પણ રોડ રસ્તાના કામો ચાલુ છે. અગાઉ રોડ રસ્તાની સમસ્યા ખૂબ વધુ હતી પણ છેલ્લા કેટલાક સમયથી રોડ રસ્તાના કાર્યો થયા છે. વીજ કનેક્શનની પણ સારી સુવિધા ઉપલબ્ધ છે. પરંતુ પાયાની સવલતો ઉપરાંત જે સવલતો આપવામાં આવી છે તેની જાળવણી બિલકુલ થતી નથી. આજે વોર્ડ નંબર  ૧૦માં જ્યોતિનગર ચોકમાં જે બગીચો છે તેની સાફ સફાઈ પણ થતી નથી. રોડ રસ્તા પર સાફ સફાઈ પણ સમયસર થતી નથી. આ વિસ્તાર મુખ્યમંત્રીનો મત વિસ્તાર છે તેમ છતાં અહીં નાની નાની પાયાની સવલતો માટે પણ લોકોએ હેરાન થવાનો વારો આવે છે જે ખૂબ પીડાદાયી છે. આગેવાનોએ કહ્યું હતું કે, હાલ સુધી દર પાંચ વર્ષે અમે ચારેય બેઠક પર ભાજપના કોર્પોરેટરને મત આપીને મનપાની ગાદીએ મોકલતા હતા પરંતુ ગત વર્ષે અમે ચોક્કસ ભાજપની જગ્યાએ કોંગ્રેસનો વિકલ્પ પસંદ કરીને પરિવર્તન લાવવાનો પ્રયત્ન કર્યો હતો પણ દુર્ભાગ્યવશ વોર્ડમાં ફક્ત એક જ કોંગી કોર્પોરેટર હોવાથી અન્ય ભાજપના કોર્પોરેટર તેમણે ગણકારતા નથી પરિણામે લોકોના કામો થતા. આગેવાનોએ એવું પણ કહ્યું હતું કે, અમે એવો નગરસેવક ઇચ્છીએ છીએ કે, જે લોકોની સમસ્યાઓને સમજી શકે અને સમજ્યા બાદ તેનું નિરાકરણ પણ કરી શકે. ફક્ત મીઠી મીઠી વાતો કરીને મત ખંખેરીને લઈ જનાર કોર્પોરેટરની અમારે કોઈ જ જરૂર નથી. અમુક આગેવાનોએ એવો આક્ષેપ પણ કર્યો હતો કે, ત્રણ ભાજપના કોર્પોરેટર પૈકી બે કોર્પોરેટરો તો વિસ્તારમાં દેખાયા જ નથી. પાટીદાર સમાજ અને તેમાં પણ જ્યોતિનગર વિસ્તારમાં હાલના તબક્કે કોંગ્રેસ તરફી વાતાવરણ જોવા મળી રહ્યું છે.

ભાજપના નગરસેવકોએ દિન રાત એક કરીને પ્રજાના કાર્યો કર્યા: સિદ્ધનાથ મહાદેવ સેવા સમિતિ

Siddhnath Mahadev

વોર્ડ નંબર ૧૦ ખાતેથી સંચાલિત સિદ્ધનાથ મહાદેવ સેવા સમિતિ દ્વારા અનેકવિધ સમાજલક્ષી કાર્યો કરવામાં આવે છે. જેમાં સમયાંતરે બ્લડ ડોનેશન કેમ્પ, વૃક્ષારોપણ, નેચરોપેથી હોસ્પિટલ, અન્નકૂટ તેમજ ખાસ લોકડાઉન સમયે આ સામાજિક સંગઠન દ્વારા દરરોજ ૮ હજાર જેટલી રોટલીઓ તૈયાર કરીને જરૂરિયાતમંદ લોકો સુધી બોલબાલા ટ્રસ્ટના માધ્યમથી પહોંચાડવામાં આવતી હતી. નોંધનીય છે કે, આ સંગઠનમાં ૨૫૦થી વધુ સ્વંયસેવકો જોડાયેલા છે જેમાં મોટા ભાગના નિવૃત સરકારી કર્મચારીઓ છે. આ સંગઠનના પ્રમુખ હેમંતસિંહ ડોડીયા સહિતના સામાજિક આગેવાનોએ કહ્યું હતું કે, છેલ્લા દસ વર્ષમાં વોર્ડ વિસ્તારમાં અનેક કાર્યો થયા છે. ભાજપના નગરસેવકોએ પ્રજાની તમામ સવલતો, જરૂરિયાતોને બખૂબી પૂર્ણ કરી છે. આ વોર્ડમાં પાણીની સમસ્યા અગાઉ ખૂબ હતી પરંતુ ભાજપના નગરસેવકોના પ્રયત્નોથી આ સમસ્યાઓ પણ મહદઅંશે પૂર્ણ થઈ છે. ઉપરાંત વોર્ડને નવો કોમ્યુનિટી હોલ મળ્યો છે જેમાં લોકો ખૂબ ઓછા ભાવે પ્રસંગોની ઉજવણી કરી શકે છે. તેમણે કહ્યું હતું કે, ઉપરાંત સરકારી શાળામાં આપવામાં આવતું શિક્ષણ પણ અન્ય સુવિધાઓ પણ ખૂબ સારી છે. અન્ય વોર્ડની સરકારી શાળાની પરિસ્થિતિ વિશે અમને કોઈ માહિતી નથી પરંતુ આ વોર્ડની સરકારી શાળા ખૂબ સારી રીતે કાર્યરત છે. વોર્ડનું આંગણવાડી, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પણ સતત ધમધમતું રહે છે જેથી લોકોને કોઈ પણ જાતની અગવડતા પડતી નથી. તેમણે કહ્યું હતું કે, આ વોર્ડમાં તંત્રનો સંપર્ક અને સહકાર પણ ખૂબ સારો છે. તંત્ર દ્વારા અવાર નવાર સાફ સફાઈથી માંડીને અન્ય બાબતોની ખરાઈ પણ કરવામાં આવે છે  તેમજ પ્રજાની કોઈ પણ ફરિયાદ મળતાની સાથે જ તેનું નિરાકરણ કરી દેવામાં આવે છે જેથી અમને ભાજપના નગરસેવકો પ્રત્યે કોઈ જ જાતની ફરિયાદ નથી અને અમેં આગામી ચૂંટણીમાં પણ ચાલુ નગરસેવકોને જ તક આપવા માંગીએ છીએ. નોંધનીય બાબત છે કે, આગેવાનોએ કહ્યું હતું કે, આ વોર્ડમાં ભાજપના નગરસવકોનું કાર્યાલય પણ સતત ધમધમતું રહે છે અને નગરસેવકો પ્રજાના સારા અને નરસા પ્રસંગે સાથે ઉભા રહે છે તે બાબત પણ ખૂબ સારી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.