Abtak Media Google News

મોટાભાગની અરજીઓ રિજેક્ટ થતી હોય જેની ફરિયાદ કરવા અરજદારોને રૂબરૂ  ધક્કો તો ખાવો જ પડે છે: વેબસાઈટની અનેક મર્યાદાથી લોકો અકળાયા

કલેકટર કચેરીમાં ઇમરજન્સી પાસ અને પરિવહનની છૂટ  મેળવવા માટે સવારથી રાત સુધી મોટી સંખ્યામાં લોકોની

અવર-જવર: ઓનલાઇન કામગીરીને સુધારવાની તાતી જરૂર

જિલ્લા કલેકટર તંત્ર દ્વારા ઇમરજન્સી પાસ અને પરિવહનની છૂટ મેળવવા માટે મેન્યુઅલ કામગીરી બંધ કરીને માત્ર ઓનલાઈન કામગીરી જ ચાલુ રાખી છે. જો કે આ ઓનલાઇન કામગીરીમાં અનેક ક્ષતિઓ હોવાથી લોકો પરેશાન થઈને અકળાય ઉઠ્યા છે. ઉપરાંત ઓનલાઇન કામગીરીની ફરિયાદ કરવા આવતા લોકોથી દરરોજ કલેકટર કચેરીએ ભીડ જામે છે.

Dsc 0340

હાલ લોકડાઉન અમલમાં હોય કઈ સેવા કે દુકાનો ખુલ્લી રાખવી અને કઈ સેવા કે દુકાનો બંધ રાખવી તે અંગે જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ જાહેરનામા મુજબ જે દુકાનોને છૂટ મળી છે. તેઓને ઇમરજન્સી પાસ મેળવવાનો રહે છે. ઉપરાંત સરકાર દ્વારા જે લોકો અન્ય રાજ્યમાં કે જિલ્લામાં ફસાયા છે તેઓને પોતાના વતન જવા માટે માટે કલેકટર તંત્રની મંજૂરી લેવી પડે છે. આમ ઇમરજન્સી પાસ અને અન્ય જિલ્લા કે રાજ્યના પરિવહન માટેની મંજૂરી મેળવવા જિલ્લા કલેકટર કચેરી ખાતે શરૂઆતના દિવસોમાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડતા હતા.

જેથી તંત્ર દ્વારા સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ અને લોકો ભેગા ન થાય તે માટે અરજી પ્રક્રિયા ઓનલાઇન કરી દેવામાં આવી હતી. હાલ કલેકટર તંત્ર દ્વારા સત્તાવાર રીતે માત્ર ઓનલાઇન કામગીરી જ કરવામાં આવે છે. મેન્યુઅલ ફોર્મ લેવાનું બંધ કર્યાનું જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે બીજી તરફ લોકો ઓનલાઇન વેબસાઇટમાં અરજી કરી કરીને થાકી રહ્યા છે પણ અરજી મંજુર થતી ન હોવાની ફરિયાદો ઉઠી રહી છે.

જો કે મોટા ભાગના કિસ્સામાં ઓનલાઈન ફોર્મ ભર્યા બાદ તે રિજેક્ટ થઈ જતું હોવાની ફરિયાદો ઉઠી છે. આ પ્રશ્ન અંગે ફરિયાદ કરવા છેલ્લા ઘણા દિવસથી લોકો જિલ્લા કલેકટર તંત્રને રજુઆત કરી રહયા છે. દરરોજ મોટી સંખ્યામાં લોકો કલેકટર કચેરીએ પહોંચીને પોતાની હૈયાવરાળ ઠાલવી રહ્યા છે. હાલ તો આ ઘટનામાં એક જ વિકલ્પ દેખાઈ રહ્યો છે. કલેકટર તંત્ર દ્વારા ઓનલાઇન પ્રક્રિયાની કામગીરીમાં સુધારો કરવામાં આવે તો લોકોને કલેકટર કચેરી સુધી ધક્કો ન ખાવો પડે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.