Abtak Media Google News

વાર્ષિક બે લાખની આવક ધરાવતા પરિવારોને માત્ર રૂા. ૧૦૦૦ ડિપોઝિટમાં મળશે પીએનજી ગેસ જોડાણ: ૨૦૨૨ સુધીમાં ૧૮ લાખ ઘરોમાં પાઇપલાઇનથી ગેસ પહોંચાડવાનો લક્ષ્યાંક

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના સીએનજી વાહન ધારકો-ચાલકોને સરળતાથી સીએનજી ગેસ ઉપલબ્ધ થાય અને લાંબી લાઇનોમાં ઊભા રહેવું ન પડે તેવા ઉદાત હેતુથી ગુજરાતમાં મોટી સંખ્યામાં નવા સીએનજી પંપ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે હાલ સીએનજી વાહન ચાલકોને સીએનજી  માટે ફિલીંગ સ્ટેશન- પંપ ઉપર લાઇનમાં ઊભા રહેવું પડે છે તેમાંથી આ નિર્ણયને પરિણામે હવે મુક્તિ મળશે.

સમગ્ર ગુજરાતમાં બે વર્ષમાં ૩૦૦થી વધારે નવા સીએનજી સ્ટેશન ‘સીએનજી સહભાગી યોજના’ અંતર્ગત રાજ્ય સરકાર હસ્તકની ગુજરાત ગેસ લિમિટેડ અને સાબરમતી ગેસ લિમિટેડ દ્વારા સ્થાપવાનું આયોજન છે એમ પણ તેમણે જણાવ્યું હતું.

મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને ગાંધીનગરમાં મુખ્ય સચિવ ડો. જે. એન. સિંહ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ કૈલાસનાથન, અગ્રસચિવ એમ. કે. દાસ, ઊર્જાના અગ્રસચિવ પંકજ જોષી, જીએસપીસીના એમ.ડી. નટરાજન અને ગુજરાત ગેસના સીઈઓ નિતીન પાટીલ તેમજ વરિષ્ઠ અધિકારીઓની યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં આ નિર્ણયો લેવામાં આવ્યા હતાં.

વિજયભાઈ રૂપાણીએ આ ‘સીએનજી સહભાગી યોજના’ અંતર્ગત પર્યાવરણ પ્રિય- પ્રદૂષણમુક્ત પરિવહન સેવાથી સ્વચ્છ ગુજરાત  સ્વસ્થ ગુજરાતની સંકલ્પના સાકાર કરવાની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા દર્શાવી હતી.

આ સીએનજી સ્ટેશનની સ્થાપના રાજ્યના વિવિધ શહેરો તેમજ ધોરીમાર્ગ પર કરવામાં આવશે એટલું જ નહિં, ગુજરાત ગેસ લિમિટેડ અને સાબરમતી ગેસ લિમિટેડ દ્વારા રાજ્યના ઉદ્યોગ સાહસિકોને આ સીએનજી સહભાગી યોજના અન્વયે સીએનજી આધારિત હરિયાળી ક્રાંતિમાં સહભાગી થઈ મોટું વળતર મેળવવાની તક મળવાની છે.

મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં એવું પણ નક્કી કરવામાં આવ્યું કે. રાજ્યમાં હાલ જ્યાં પેટ્રોલ પંપ કાર્યરત હોય તેવા પેટ્રોલ પંપ ધારકો પણ સરળતાએ સીએનજી  પંપ શરૂ કરી શકશે. આ માટે તેમણે કોઇ વધારાની પરવાનગીઓ સરકારમાંથી લેવાની રહેશે નહિં.

The-New-300-Cng-Stations-Will-Be-Spotted-In-The-State-In-Two-Years
the-new-300-cng-stations-will-be-spotted-in-the-state-in-two-years

આ ‘સીએનજી સહભાગી યોજના’ અન્વયે શહેરી-નગરપાલિકા વિસ્તાર તથા હાઈવે પર સહભાગીદારી મોડેલ પદ્ધતિ અંતર્ગત સીએનજી ફ્રેન્ચાઈઝી (સ્વસંચાલિત ડિલર) મોડલ અને પીએસયુ- ઓએમસી ડિલર એમ બે પ્રકારના સીએનજી સ્ટેશનોનો સમાવેશ થાય છે. પીએસયુ-ઓએમસી ડિલર અંતર્ગત ઓનલાઈન સીએનજી સ્ટેશન (પાઈપલાઈન દ્વારા) અથવા ડોટર બુસ્ટર સીએનજી સ્ટેશન (પાઈપલાઈન વિના)નો સમાવેશ થાય છે.

નવા સીએનજી સ્ટેશનનો પ્રારંભ કરવા માટે મુખ્ય સાધનો કંપની દ્વારા પૂરા પાડવામાં આવશે તેમજ અન્ય કાર્ય માટે સહયોગ પણ પૂરો પાડવામાં આવશે. એનઓસી અને સિવિલ કામ અરજીકર્તાએ કરવાનું રહેશે. અરજીકર્તા જે સ્થળે સીએનજી સ્ટેશન સ્થાપવા ઈચ્છતા હોય તે જગ્યાની માલિકી અરજીકર્તાની હોવી આવશ્યક છે, તેમ પણ બેઠકમાં નિર્ધારિત કરવામાં આવ્યું હતું.

વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું કે, ગ્લોબલ વોર્મિંગની વૈશ્વિક સમસ્યાના સહિયારા ઉકેલ તરીકે વાતાવરણમાં કાર્બન ઉત્સર્જનને ઘટાડવા માટે ગુજરાતે હંમેશાં હકારાત્મક દિશામાં પગલાં લીધાં છે. ડીઝલ અને પેટ્રોલની તુલનામાં સીએનજી વધારે પ્રમાણમાં સ્વચ્છ અને સુરક્ષિત ઈંધણ છે. ગુજરાત નેચરલ ગેસના ઉપયોગ ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યું છે.

રાજ્યમાં પાછલા ૨૩ વર્ષમાં ૫૪૨ સીએનજી સ્ટેશન ઊભા કરાયા છે, તેની સામે આગામી બે વર્ષમાં જ નવા ૩૦૦ સીએનજી સ્ટેશન ઊભા કરીને ગુજરાત નેચરલ ગેસ  સુરક્ષિત ઇંધણના ઉપયોગમાં અગ્રેસર રહેશે અને સીએનજી ક્ષેત્રે ગુજરાત દેશને નવી દિશા આપશે.

મુખ્યમંત્રીએ સીએનજી વાહનચાલકો  ધારકોને સરળતાએ સીએનજી ઉપલબ્ધ થાય તે સાથે જ ઘરેલું વપરાશકારો ઘરે ઘરે પાઇપલાઇન દ્વારા ગેસ માટે પીએનજી નેટવર્કને પણ વ્યાપક બનાવવા આ બેઠકમાં માર્ગદર્શન આપ્યું હતું.

તદઅનુસાર, હાલ ૧૩.૫૦ લાખ ઘરોમાં પીએનજી ગેસનો ઉપયોગ થાય છે તે વધારીને આગામી ૩ વર્ષમાં વધુ ૪.૫૦ લાખ ઘરોમાં વિસ્તારી ૨૦૨૨ સુધીમાં ગુજરાત ગેસ લિમિટેડ અને સાબરમતી ગેસ લિમિટેડ દ્વારા ૧૮ લાખ ઘરોન પીએનજી ગેસથી સાંકળી લેવાના આયોજનને પણ ઓપ આપવામાં આવ્યો હતો.

મુખ્યમંત્રીએ રાજ્યમાં ઘરેલું વપરાશકર્તાઓ સંપૂર્ણત: પીએનજી નેટવર્કનો ઉપયોગ કરતા થાય તે માટે વાર્ષિક બે લાખ સુધીની આવક ધરાવતા પરિવારો માટે પીએનજી કનેક્શનની ડિપોઝિટ રૂા. ૧ હજાર તથા બે લાખથી વધુ વાર્ષિક આવક ધરાવતા પરિવારો માટે રૂા. પાંચ હજાર ડિપોઝિટ લેવાય તે અંગે પણ બેઠકમાં સૂચન કર્યું હતું.

આ બેઠકમાં એવી પણ વિગતો આપવામાં આવી હતી કે ગુજરાત પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં પ્રદૂષણમુક્ત નયા ભારતના નિર્માણમાં આ પર્યાવરણ પ્રિય સીએનજી-પીએનજી ગેસના વપરાશથી અગ્રેસર રહ્યું છે.

આ વર્ષે ઇન્ડસ્ટ્રિયલ સેક્ટરના ગેસ વેચાણમાં બે ગણી એટલે કે ૪૦ લાખ એસસીએમડીથી વધીને ૮૦ લાખ એસસીએમડીની વૃદ્ધિ થઈ છે.

ગુજરાત દેશનું એવું પ્રથમ રાજ્ય છે જેના તમામ જિલ્લાઓમાં સિટી ગેસના વિતરણ માટેની અધિકૃત મંજૂરીઓ મળેલી છે.

સમગ્ર દેશમાં ૧૭૬૨ સીએનજી સ્ટેશનો સ્થપાયા છે, તેમાંથી ૩૧ ટકા એટલેકે ૫૪૨ સીએનજી સ્ટેશન સાથે ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે છે.

આ ૫૪૨ સ્ટેશનમાંથી ૩૪૪ સ્ટેશન એટલે કે ૬૨ ટકા સ્ટેશન્સ ગુજરાત ગેસ લિમિટેડ અને સાબરમતી ગેસ લિમિટેડ સંચાલિત છે. આ સીએનજી  સ્ટેશન દ્વારા અંદાજે ૩.૫૦ લાખથી વધુ સીએનજી વાહનોને રોજનો ૧૭.૪૦ લાખ કિ.ગ્રા. સીએનજી ગેસ સરળતાએ ઉપલબ્ધ કરાવવામાં આવે છે.

અત્રે એ નિર્દેશ કરવો આવશ્યક છે કે, સીએનજી ફ્રેન્ચાઇઝી પ્રક્રિયાને ઝડપી અને પારદર્શી બનાવવા ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવશે તેમજ આ સમગ્ર યોજનાની વધુ વિગતો www.cngsahbhaagi.com વેબસાઇટ પરથી પણ ઉપલબ્ધ થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.