Abtak Media Google News

‘મનરેગા’નું ભૂત ફરી ધૂણ્યું

બનાસકાંઠા જિલ્લામાં પાંચ મૃત વ્યકિતઓને વહિવટી તંત્ર ચોપડે રોજગારી મેળવતા હોવાનું બતાવી પૈસા ચુકવતું ’તું: કૌભાંડ છતું થતા ભારે ચકચાર

એક મોટા ભ્રષ્ટાચારના પર્દાફાશનો મૃત વ્યકિતને કામ અને પૈસાની ચુકવણીની ફાળવણી મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરેન્ટી એકટ મનરેગા યોજનામાં મૃતકના નામે થઈ હોવાનું બહાર આવ્યું છે. બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના બલંદરા ગામના પાંચેક વ્યકિતઓ કે જે ૨૦૧૬ થી ૨૦૧૯ દરમિયાન મૃત્યુ પામ્યા હતા તે મનરેગાની સાઈટ ઉપર કામ કરતા હોવાનું અને તેમના નામે જીલ્લા વહિવટી તંત્ર દ્વારા પૈસા પણ ચુકવાઈ ગયા હતા. તેમના સુધી કયારેય તપાસ થઈ નથી. પ્રાદેશિક ધોરણે મનરેગા યોજનામાં ચાલતા ભ્રષ્ટાચારનો પર્દાફાશ એકાદ મહિના પહેલા થવા પામ્યો હતો. બલંદરા કે જે ગુજરાત અને રાજસ્થાનની સરહદે ૨૬૦૦ની વસ્તીનું ગામ આવેલ છે ત્યાંના ભ્રષ્ટાચારનો પર્દાફાશ ત્યાં સ્થાનિક કાર્યકર પરમાર અને ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ પર્દાફાશ કર્યો હતો.

બનાવટી જોબકાર્ડ આદિવાસી ગામના ૮૦૦ માણસના નામે બન્યા હતા જેમાં ઓછામાં ઓછા પાંચ વ્યકિતઓને કામ કરતા બતાવાયા હતા. તેમના હાથની સહીઓ અને વેતન મેળવ્યાનું બતાવાયું છે. જેઓ અગાઉ ગુજરી ચુકયા છે. આ કેવી રીતે બન્યુ ગરીબોના ભાગના પૈસા લેનારાઓને સજા થવી જોઈએ તેવી માંગ મેવાણીએ કરી હતી. કામ ઉપર બતાવાયેલા મૃત વ્યકિતની ઓળખ ભેરા વસીયા, મલમા ગોરાણા, હિમા ગોરાણા, કાલા ગોરાણા અને વાલિ શ્રીમાળી કે જેઓ ૨૦૧૬ થી ૨૦૧૯ દરમિયાન મૃત્યુ પામ્યા છે પરંતુ અંદાજે તેમના નામે દર અઠવાડિયે ૯૦૦ રૂા. એપ્રિલ-૨૦૨૦ સુધી ચુકવવામાં આવ્યા છે. મનરેગા રેકોર્ડમાં સામેલ વસિયાના પિતા હિરાભાઈએ જણાવ્યું હતું કે, મારો પુત્ર માર્ગ અકસ્માતમાં ખેતરેથી ઘર આવતી વખતે ૨૧ વર્ષની વયે મૃત્યુ પામ્યો હતો તે પોતાની પાછળ પાંચ બાળકો અને પત્નિની મુકી ગયો છે તેમના ભરપોષણ કરવા માટે હું રાત દિવસ મહેનત કરી રહ્યો છું અને તેમના નામે પૈસા ખવાઈ જતા હોય તે ગરીબીના નામે એક મોટી મજાક છે. મનરેગા યોજનામાં પુરાવા વગરનો ભ્રષ્ટાચાર જાલમાં ગોરાણાના ભત્રીજા મુન્નાએ જણાવ્યું હતું તેના કાકાએ કયારેય મનરેગામાં કામ કર્યું જ નથી. મારા કાકા પેટના દુ:ખાવાથી ઓકટોબર-૨૦૧૮માં મૃત્યુ પામ્યા હતા તે કયારેય મનરેગાની સાઈટ પર ગયા જ નથી. સ્થાનિક તંત્રએ જણાવ્યું હતું કે, આ યોજનામાં કોઈ ભ્રષ્ટાચાર ચાલતા હોવાના કોઈ પુરાવા મળ્યા જ ન હતા. સ્થાનિક ભ્રષ્ટાચાર ચાલતો હોવાની વિગતો આપી ચુંટાયેલા લોક પ્રતિનિધિઓની આડમાં આ કૌભાંડ ચાલતો હોવાનો આક્ષેપ કર્યો હતો. મનરેગાના જીલ્લા સમીક્ષક રવિન્દ્રસિંહ વાળાએ જણાવ્યું હતું કે, મૃત વ્યકિતનું નામ અને તેનો પગાર બનાસકાંઠા જીલ્લા વહિવટી તંત્રના અધિકારીના હાથે કરવામાં આવ્યું છે. તેમના વિરુઘ્ધ ફરિયાદ પણ દાખલ થઈ છે. તેનાથી વધુ મને કંઈ ખબર નથી તેમ વાળાએ તેમના નિવેદનમાં જણાવ્યું હતું.

ડમી કાર્ડની તપાસ શરૂ થતા એક પછી એક મૃત વ્યકિતઓને કાર્ડ ફાળવાયા હોવાના પાંચ કિસ્સા સામે આવ્યા હતા. આ માટે નિમાયેલી જીલ્લા કલેકટરની અધ્યક્ષતાવાળી તપાસ સમિતિની તપાસ દરમિયાન જીલ્લા કલેકટર રજા ઉપર જતા બાકી તપાસ ડિસા વિભાગના ડીવાયએસપી કુશળ ઓજાએ હાથ ધરી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ તપાસમાં નિવેદનો લેવાનું શરૂ કર્યું છે પરંતુ મૃત વ્યકિતઓના પગાર ચુકવણાના કેસની તપાસ ચાલી રહી છે. સામાજીક કાર્યકર કિરણ પરમારનું જેણે આ કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો તે પહેલા જમાલપુર માર્કેટીંગ યાર્ડમાં કામ કરતો હતો. લોકડાઉન દરમિયાન તે ગામડે આવ્યો ત્યારે તેને આ કૌભાંડ ચાલતો હોવાની જાણ થઈ હતી. તેણે ૨૦૧૪માં પાંચ મૃતકોના નામે જોબકાર્ડ ઈસ્યુ થયા હતા. શકય છે કે આ જોબકાર્ડ જેના નામે ઈસ્યુ થયા હોય તે પરિવારને ખબર ન હોય અને તેમના મૃત્યુ પછી પણ ભ્રષ્ટાચાર ચાલ્યુ રહ્યું હોય પરમારે એવો આક્ષેપ કર્યો છે કે આ કૌભાંડના પર્દાફાશ પછી ગામના સરપંચ દ્વારા તેને ધમકી પણ આપવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.