Abtak Media Google News

ખોડલધામમાં પ્રાણપ્રતિષ્ઠા બાદ પહેલી નવરાત્રી હોવાથી માઈભકતોમાં અનેરો ઉત્સાહ: દેરડીથી ખોડલધામ પદયાત્રાના માર્ગ પર શણગાર: માતાજીના રથની આગેવાનમાં માઈ ભકતો પહોંચશે ખોડલધામ: ખોડલધામમાં ભકતો માટે ફરાળ અને નાસ્તાની વ્યવસ્થા

લેઉવા પટેલ સમાજના આસ્થાના પ્રતિક સમાન ખોડલધામ મંદિરનાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને એક વર્ષ પૂર્ણ થયું છે. માની આરાધનાના પર્વ એવી પહેલી નવરાત્રી ખોડલધામ મંદિરમાં ર્માં ખોડલના બેસણા બાદ આવી રહી છે. પ્રાણ પ્રતિષ્ઠા બાદની આ પ્રથમ નવરાત્રીના પહેલા દિવસે પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેતપુર નજીકના દેરડી ગામથી ખોડલધામ સુધી પદયાત્રા નીકળશે. જેમાં મોટી સંખ્યામાં માઈ ભકતો જોડાશે.

નવરાત્રીના પ્રથમ નોરતે દેરડી ગામથી સવારે ૮:૦૦ કલાકથી ખોડલધામ-કાગવડ સુધીની પદયાત્રાનો પ્રારંભ થશે. આ રથયાત્રામાં મોટી સંખ્યામાં લેઉવા પટેલ સમાજના લોકો સહભાગી થશે. ખોડલધામ પદયાત્રામાં માતાજીના રથની આગેવાની પાછળ ભાવિકો દેરડીથી કાગવડ પહોંચશે. ખોડલધામ પહોંચ્યા બાદ માઈ ભકતો માટે ફરાળ અને નાસ્તાની વ્યવસ્થા રાખવામાં આવી છે. પદયાત્રાના આખા રુટ પર સ્વયંસેવકોની ફોજ તૈનાત રહેશે.

શ્રી ખોડલધામ ટ્રસ્ટ દ્વારા સતત છ વર્ષથી આસો મહિનાની નવરાત્રીના પહેલા નોરતે પદયાત્રા નીકળે છે. આ વખતે પણ દેરડી ગામથી ખોડલધામ મંદિર સુધીની ચાર કિલોમીટરની પદયાત્રા નીકળશે. પદયાત્રા સમયે સમસ્ત કાગવડ ગામ અને પદયાત્રાનો માર્ગ શણગારવામાં આવશે. પદયાત્રાને લઈને અત્યારથી જ લોકોમાં અનેરા ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

નોરતાની પ્રથમ આરતીમાં ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલ, પ્રમુખ પરેશભાઈ ગજેરા અને ટ્રસ્ટીઓ તથા લેઉવા પટેલ સમાજના લોકો બહોળી સંખ્યામાં જોડાશે. નવરાત્રી દરમિયાન દરરોજ ખોડલધામ પરિસરના હવનકુંડમાં હવન કરાશે તથા ભકતો દ્વારા દરરોજ ધ્વજારોહણ કરવામાં આવશે.

ખોડલધામ ટ્રસ્ટે ૨૦૭૭થી આસો મહિનાના પહેલા નોરતે ખોડલધામ સુધીની પદયાત્રાનો પ્રારંભ કર્યો હતો. જે ક્રમ આ વર્ષના આસો મહિનાના પહેલા નોરતે પણ ચાલુ રહેશે. આ વર્ષે જેતપુર તાલુકાના દેરડી ગામથી જય ર્માં ખોડલના નારા સાથે પ્રસ્થાન કરશે. નવરાત્રીના નવે-નવ દિવસ દરમ્યાન માતાજીને અવનવા શણગાર કરવામાં આવશે અને સાથોસાથ મંદિર પરીષર લાઈટીંગથી ઝળહળી ઉઠશે. ખોડલધામ ટ્રસ્ટ દ્વારા આ વર્ષે સમાજના લોકો પારીવારીક માહોલમાં રાસ-ગરબે રમી શકે એ માટે ચાર જીલ્લામાં નવરાત્રીનું આયોજન કરેલ છે. જેમાં જુનાગઢ, જામનગર, અમરેલી અને રાજકોટના ચાર ઝોનમાં ખેલૈયાઓ મન મુકીને ગરબે ધુમશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.