Abtak Media Google News

જમીન કૌભાંડકારોનું હવે આવી બનશે: આકરો કાયદો તૈયાર

ભારતીય નોંધણી ધારા દસ્તાવેજ રજિસ્ટ્રેશન એકટ ૧૯૦૮ની જોગવાઇઓમાં મહત્વપૂર્ણ સુધારા સુચવતું ગુજરાત સુધારા વિધેયક-ર૦ર૦ આગામી વિધાનસભા સત્રમાં થશે મંજૂર

ખોટા નામે જમીન પચાવી પાડીને બીજાના નામે વેચાણ કરનારા તત્વોની હવે ખેર નહિ રહે. કારણકે રૂપાણી સરકારે જમીન કૌભાંડકારો સામે આકરી કાર્યવાહી કરવાનો વ્યૂહ બનાવી લીધો છે. આ માટે આકરો કાયદો પણ તૈયાર કરવામાં આવ્યો છે. જે આગામી વિધાનસભા સત્રમાં મંજુર થશે અને કૌભાંડકારોનું કાઉન્ટ ડાઉન શરૂ થશે.

રાજ્યમાં જમીન કૌભાંડ પુરબહારમાં સામે આવી રહ્યા હોય ઉપરાંત ભુમાફિયાઓ દ્વારા સામાન્ય લોકોની મિલકતો પચાવી પાડવાના કિસ્સાઓ પણ સમયાંતરે જોવા મળતા હોય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આ દુષણને ડામવા માટે કવાયત હાથ ધરી છે. લેન્ડ ગ્રેબિંગ-ખોટા દસ્તાવેજોથી જમીન પચાવી પાડવી તથા પાવર ઓફ એટર્નીના દુરૂપયોગથી થતા દસ્તાવેજો સામે હવે કડક હાથે કામ લેવા મુખ્યમંત્રીએ અડગ નિર્ધાર કર્યો છે.

મિલકતની તબદીલી માટે તેમજ દસ્તાવેજોની નોંધણી માટેનો ભારતીય નોંધણી અધિનિયમ ૧૯૦૮નો કાયદો છે. તેની કેટલીક જોગવાઇઓમાં મહત્વપૂર્ણ સુધારા સુચવતું ગુજરાત સુધારા વિધેયક-૨૦૨૦ વિધાનસભામાં મૂકાયું છે તે આગામી વિધાનસભા સત્રમાં મંજૂર થઈને કાયદો બની જશે. આ કાયદાથી સરકાર દસ્તાવેજ નોંધણીની કામગીરી પારદર્શી, સરળ અને ચોકસાઇપૂર્ણ બનાવશે.

નવા કાયદાથી માફિયાઓ મિલ્કત ધારકોની મિલ્કત હવે છેતરપિંડીથી હડપ નહિ કરી શકે. મિલ્કત ધારકોના, સામાન્ય માનવીના, ખેડૂતના હક્કોના રક્ષણ માટે મુખ્યમંત્રીએ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી કૌભાંડોને નાથવા કમર કસી છે. આ નવા કાયદાથી હવે સામાન્ય નાગરિક જો ઇચ્છે તો કોઇ વકીલ-દસ્તાવેજ લખનારની મદદ વગર પોતાની જાતે જ ઓનલાઇન દસ્તાવેજ નોંધણી માટે રજૂ કરી શકશે. જેથી ભળતી વ્યકિત-ખોટી વ્યકિત દસ્તાવેજ નોંધણી નહિ કરાવી શકે. ઇલેકટ્રોનીક માધ્યમથી દાબ-દબાણ કે છેતરપીંડીથી દસ્તાવેજ પર રોક લાગશે. દસ્તાવેજ બનાવવાના ખર્ચ-સમયની બચત થશે.

દસ્તાવેજ નોંધણી માટે રજુ કરતી વખતે પોતે મિલ્કત માલિક હોવાના આધાર-પુરાવા રજુ કરવા પડશે. ખોટી વિગતો આપનાર-પાવર ઓફ એટર્નીનો દુરૂપયોગ કરનાર-દાબ-દબાણથી-છેતરપીંડીથી દસ્તાવેજ કરનારને ૭ વર્ષની કેદ-મિલ્કતની બજાર કિંમત જેટલા દંડની કડક સજા થશે.સાચા મિલ્કત માલિકની ઓળખ સરળ બનશે. સરકારી-જાહેર સંસ્થાની-શૈક્ષણિક સંસ્થા-ધર્માદા ચેરિટેબલ ટ્રસ્ટની મિલ્કત વેચાણ વ્યવહાર માટે અધિકૃત વ્યકિતને સક્ષમ અધિકારીની પૂર્વમંજૂરી આવશ્યક રહેશે. આમ નવા કાયદાથી જમીન કૌભાંડકારોના પગ નીચે રેલો આવશે તે નક્કી છે.

શું હશે નવા કાયદામાં ??

અરજદાર પોતાની જાતે જ ઓનલાઇન દસ્તાવેજ નોંધણી માટે રજૂ કરી શકશે

જમીન કૌભાંડ આચરનારને ૭ વર્ષની કેદ-મિલ્કતની બજાર કિંમત જેટલા દંડની કડક સજા થશે

સરકારી,જાહેર સંસ્થા, શૈક્ષણિક સંસ્થા, ધર્માદા કે ચેરિટેબલ ટ્રસ્ટની મિલ્કતના વેચાણના માટે સક્ષમ અધિકારીની પૂર્વમંજૂરી લેવી પડશે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.