Abtak Media Google News

પત્નીએ હાથ પકડયો પતિએ સીંદરીથી ગળેટૂંપો દઇ કરી હત્યા: સીસીટીવી કેમેરાના વાયર પણ તોડી નાખ્યા’તા

રાજકોટમાં મોરબી રોડ પર બારદાનમાં મળેલી કોહવાયેલી લાશનો ગણતરીથી કલાકમાં ક્રાઇમ બ્રાન્ચે હત્યાનો ભેદ ઉકેલી આરોપી દંપતીની ધરપકડ કરી છે. કુદરતી હાજતે જતી પત્નિ પર ચોકીદાર વૃધ્ધ નજર બગાડતો હોવાથી પત્નિએ વૃધ્ધને પકડી રાખી અને પતિએ દોરીથી ગળેટૂંપો દઇ મોતને ઘાટ ઉતારી લાશ ઢસળીને બારદાનમાં ફેકી દીધાની કબુલાત આપી હતી. અને પરપ્રાંતિય દંપતીએ આસપાસના સીસીટીવી ફુટેજના વાયર પણ તોડી નાખ્યા હતા. જેથી પોતાની ઓળખ છુપાવી શકાય. પરંતુ ક્રાઇમ બ્રાન્ચે ગણતરીની કલાકોમાં જ હત્યાનો ભેદ ઉકેલી દંપતીની ધરપકડ કરી હતી.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મોરબી રોડ પર લતીપ્લોટ પાસેની બારદાન ગલીમાં મંગળવારે સાંજે એક ટ્રક બારદાન ઉતારવા આવ્યો હતો અને ચાલક ટ્રક પાર્ક કરતો હતો ત્યારે તેને દુર્ગધ આવી હતી, માથું ફાડી નાખે તેવી દુર્ગધ કોથળાના ઢગલા નીચેની આવતી હોય ટ્રક ચાલકે શંકાના આધારે ઢગલા નજીક જતાં જ ઢગલા નીચે એક લાશ જોવા મળી હતી. ટ્રકચાલકે લાશ અંગેની જાણ કરતાં બી.ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ ફર્નાન્ડિઝ અને ક્રાઇમ બ્રાંચના પીઆઇ એમ.એમ. ગઢવી સહિતનો કાફલો દોડી ગયો હતો. પોલીસે કોથળાના ઢગલામાંથી લાશ બહાર કાઢી હતી. લાશ કોહવાયેલી હતી અને મૃતકના ગળા પર દોરી બાંધેલી હતી, દોરીથી ટૂંપો દઇ વૃદ્ધની હતયા કર્યાની દૃઢ શંકા સેવાઇ રહી હતી, જો કે મૃતક કોણ છે તે ઓળખ પોલીસ માટે મહત્વની હતી.

દરમિયાન મૃતક મોરબી રોડ પરના ગણેશનગરમાં રહેતા અને બારદાન ગલીમાં જ સિકયુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતાં ગોવિંદભાઇ ભગાભાઇ ચાવડા (ઉ.વ.૬૫)ની હોવાનું ખુલ્યું હતું. ગોવિંદભાઇ તેના પુત્ર સાથે રહેતા હતા અને ચોકીદાર તરીકે નોકરી કરતા હતા. ગત તા.૨૪મીએ નોકરી પર ગયા બાદ ગોવિંદભાઇ લાપતા થઇ ગયા હતા અને આ અંગેની પોલીસમાં જાણ પણ કરવામાં આવી હતી. ક્રાઇમ બ્રાંચની ટીમે હત્યાનો ભેદ ઉકેલવા વિવિધ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા અને ગણતરીની મિનિટમાં જ પોલીસેએ વિસ્તારમાં રહેતા મૂળ ઉતરપ્રદેશના અલીમહમદ છોટુઅલી સાંઇ (ઉ.વ.૨૮)અને તેની પત્ની નનકીબેગમ અલીમહમદ (ઉ.વ.૨૪)ની અટકાયત કરી હતી. પોલીસ સમક્ષ અલીમહમદે કેફિયત આપી હતી કે, તેની પત્ની રાત્રે હાજતે જતી ત્યારે ચોકીદાર ગોવિંદભાઇ ખરાબ નજરે તેની સામે જોતા હતા અગાઉ બે ત્રણ વખત ટપારવા છતાં તેઓની નજર ખરાબ રહેતા તેમની હત્યાનો પ્લાન ઘડયો હતો. તા.૨૪ની રાત્રે ચોકીદાર ગોવિંદભાઇ બેઠા હતા. ત્યારે નનકીબેગમ તેની પાસે ગઇ હતી અને વૃદ્ધના હાથ પકડી લીધા હતા જયારે અલીમહમદે પાછળથી જઇ દોરીથી ટૂંપો દઇ દીધો હતો. હત્યા કર્યા બાદ નનકીબેગમે થોડે સુધી લાશ ઢસડીને કોથળાના ઢગલા નીચે છુપાવી દીધી હતી.

ગોવિંદભાઇ ચાવડાને ગળાટૂંપો દઇ મોતને ઘાટ ઉતાર્યા બાદ લાશ બારદાનના ઢગલામાં ફેકી ઘટના સ્થળની સામે જ સીટીસીવી કેમેરાના આરોપી અલીમહમદે પોતાના બચાવ માટે વાયર તોડી નાખ્યા હતા. સીસીટીવી તોડી નાખતા. પોતાની ઓળખ નહી થાય તેવુ માનતા આરોપી દંપતીને ગણતરી કલાકોમાં ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા હતા. બંન્ને આરોપીના કોરોના રિપોર્ટ કરાવ્યા બાદ દંપતીની ધરપકડ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.