Abtak Media Google News

મહાપાલિકા દ્વારા ઓરી રૂબેલા રસીકરણ અભિયાનમાં ૧૦૪ % કામગીરી: કુલ ૩,૪૫,૯૨૨ બાળકોને રસીકરણ કરાવી સમગ્ર ગુજરાતમાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું

ગુજરાત સરકાર દ્વારા ભારત સરકારના ઓરી રૂબેલા રસીકરણ અભિયાનમાં ૦૯ માસથી ૧૫ વર્ષ સુધીના બાળકો માટે મીઝલ્સ રૂબેલા રસીકરણની કામગીરી ૧૬ જુલાઈ ૨૦૧૮થી ચાલુ કરવામાં આવેલ હતી. આ અભિયાનમાં રાજયના ૩૩ જીલ્લા તથા ૮ મહાનગરપાલિકાના ૦૯ માસથી ૧૫ વર્ષ સુધીના ૧.૫૨ કરોડથી વધારે બાળકોને એમઆર રસીકરણ કરવાનું અભિયાન હતું.

આ કામગીરીમાં ગુજરાતના જુદા જુદા જીલ્લા, કોર્પોરેશનની સારી તથા નવા અભિગમની રાજય સરકાર તથા યુનિસેફ દ્વારા પ્રકાશીત બુકલેટમાં રાજકોટ મહાનગરપાલિકાની ગુજરાત રાજયમાં સર્વશ્રેષ્ઠ કામગીરી માટે મળેલ એવોર્ડ માટે કરેલ જુદી જુદી કામગીરીને બિરદાવેલ છે. આંતરરાષ્ટ્રીય સંસ્થા યુનિસેફ દ્વારા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ઓરી રૂબેલા રસીકરણ અભિયાનમાં પાયારૂપ પાંચ ઙ જેમાં પી-(પ્રીપેડનેશ) પૂર્વ તૈયારી, પી-(પોલીટીકસ) રાજકીય સહકાર, પી-પ્રેસ (મીડિયાનું પોઝીટીવ કવરેજ તથા મેસેજ) પી-(પબ્લિક) રાજકોટની જનતાની જાગૃતતા, પી-(પીડીયાટ્રીશયન) રાજકોટના બાળ નિષ્ણાંત ડોક્ટરનો સહકાર.

આ અંગે વિશેષ માહિતી આપતા આરોગ્ય સમિતિ ચેરમેન જયમીનભાઈ ઠાકરે જણાવ્યું હતું કે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આખા રાજયમાં કરેલ એવોર્ડ વિજેતા સર્વશ્રેષ્ઠ કામગીરી માટે નીચેની વિગતોએ નોંધ લેવાયેલ છે.

મેયર બીનાબેન આચાર્ય, સ્ટેન્ડિંગ કમીટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, આરોગ્ય સમિતિ ચેરમેન જયમીનભાઈ ઠાકર દ્વારા આ કાર્યક્રમની પૂર્વ તૈયારી રૂપે શિક્ષણ સંસ્થાના આચાર્યો, ટ્રસ્ટીઓ, જુદી જુદી સામાજીક તથા ધાર્મિક સંસ્થાના અગ્રણીઓ, પ્રાઈવેટ પ્રેકટીશનરો તથા પ્રેસ મીડિયા સાથે સતત મીટીંગો, સંકલન કરી ઓરી રૂબેલા અભિયાન અંગે જાગૃત કરેલ હતા.

એમઆર એટલે એમ-મારૂ આર-રાજકોટ મારૂ રાજકોટ – એમઆર મુક્ત રાજકોટ સુત્ર ઘરે ઘરે ના વાલીઓમાં વહેતું કરી રાજકોટ મહાનગરપાલિકામાં ૧૦૦ % કામગીરી સફળતાપૂર્વક કરી હતી.

રાજકોટ શહેરના સમાજ શ્રેષ્ઠાઓ, શિક્ષણ સંસ્થાના ટ્રસ્ટીઓ, વર્તમાનપત્રોના તંત્રીઓ વિગેરે ૮૦૦ જેટલા લોકોને મેયર, સ્ટેન્ડીંગ ચેરમેન તથા આરોગ્ય સમિતિના ચેરમેને લખેલ પત્રની કામગીરીને બિરદાવેલ છે.

મેયરના અધ્યક્ષસ્થાને જુદા જુદા ધર્મના ધર્મગુરૂઓ, ધાર્મિક સંસ્થાના વડાઓ સાથે કાર્યક્રમ પહેલા અને કાર્યક્રમ દરમ્યાન સતત મીટીંગ સંકલન કરી સંસ્થાઓમાં જ ઓરી  રૂબેલાનું રસીકરણ તેમની અનુકુળતાએ કરાવી ૧૦૦% સફળતા મેળવેલ હતી. પદાધિકારીશ્રીઓના ધાર્મિક સંસ્થાઓના વિશ્વાસ સંપાદન કરી પ્રથમ વખત બિનરાજકીય રાષ્ટ્રીય કાર્યક્રમમાં જોડેલ હતા તેની નોંધ લેવાયેલ છે.

રાજકોટ શહેરના આ.પી.એ. (ઈન્ડીયન પીડીયાટ્રીક એસોસિએશન)નો રસીકરણ અભિયાન પહેલા વાલીઓમાં જાગૃતતા તથા વિશ્વાસ સંપાદનની અદભૂત કામગીરીને બિરદાવેલ હતી. કાર્યક્રમ દરમ્યાન વાલીઓના પ્રશ્ન કે ગેરમાન્યતાઓનું સુવ્યવસ્થિત ખંડન કરી કાર્યક્રમમાં સહકારની બાબતોની નોંધ લેવાયેલ હતી.

રાજકોટ મહાનગરપાલિકાની પ્રચાર-પ્રસાર, પૂર્વતૈયારી તથા અમલીકરણની કામગીરીને યુનિસેફ દ્વારા ચકાસવામાં આવેલ હતી. ગુજરાતમાં ૩૩ જીલ્લા તથા આઠ મહાનગરપાલિકામાં સર્વશ્રેષ્ઠ કામગીરી બદલ એવોર્ડ આપવામાં આવેલ હતો. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ શ્રેષ્ઠ કામગીરી બદલ પદાધિકારીઓને અભિનંદન પાઠવેલ હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.