Abtak Media Google News

ગાંધીનગરથી આજે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે ગુજરાત યુનિવર્સિટી ખાતે પ્રજ્ઞાપીઠમ GU-JIO UPSC ટ્રેનિંગ સેન્ટરનું ઇ-લોકાર્પણ કરાયું

ધાર્મિક અને શૈક્ષણિક સંસ્થાના શુભ સમન્વયથી શરૂ થનાર આ નવીન UPSC તાલીમ સેન્ટરમાં દેશના શ્રેષ્ઠ વહીવટકર્તા IAS, IPS, IFS જેવા ઉચ્ચ અધિકારીઓ તૈયાર કરાશે તેમ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાત યુનિવર્સિટી ખાતે પ્રજ્ઞાપીઠમ GU-JIO UPSC ટ્રેનિંગ સેન્ટરનું ઇ-લોકાર્પણ કરતાં ગાંધીનગરથી જણાવ્યું હતું.  મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે આજે ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પ્રજ્ઞાપીઠમ GU-JIO  UPSC ટ્રેનિંગ સેન્ટરનું ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રી જણાવ્યું હતું કે, જ્યારે નરેન્દ્રભાઇ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી જ ગુજરાતે તમામ ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ સાધી છે તેમણે ગુજરાત સહિત સમગ્ર દેશને વિકાસની રાજનીતિ આપીને સુરાજ્યથી રામ રાજ્ય પ્રસ્થાપિત કર્યું છે. અગાઉ માત્ર શાસન કરવા માટે ચૂંટણીઓ જીતાતી હતી પણ દેશને સારી દિશામાં ચલાવવાની કોઇની ચિંતા કરી નથી. જ્યારે નરેન્દ્રભાઇ મોદીએ દેશને વિકાસની રાજનીતિ આપી છે. આપણે પણ ધર્મ અને શિક્ષણના સમન્વયથી સારા વહીવટકર્તા તૈયાર કરી શકીશું. પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે નહીં પણ જીવમાત્રાના કલ્યાણ માટે વહીવટ કરવામાં આવે તો દેશ ખૂબ પ્રગતિ કરે છે.

તેમણે કહ્યું હતું કે, આપણે ઉપનિષદથી ઉપગ્રહ સુધીની સફળ યાત્રા પૂર્ણ કરી છે. પ્રજ્ઞાપીઠમમાં જ્ઞાનના નવા નવા આયામો અને સંશોધનો સાકાર થશે. આવિષ્કારના આ યુગમાં માનવ હિતની ચિંતા કરવી પડશે. સમાજ અને દેશ હિતમાં કામ કરે તેવા યુવાનો તૈયાર કરવા પડશે. આ નવીન UPSC સેન્ટરના માધ્યમથી જ્ઞાતિ, જાતિ, ધર્મ અને પ્રાંતથી ઉપર ઉઠીને દેશને સંસ્કારી IAS, IPS, IFS અધિકારીઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે તેમ જણાવીને મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, આવનાર પેઢી માટે સરકારી સેવામાં ઉચ્ચ કારર્કિદી બનાવવાનો આ શ્રેષ્ઠ સમય છે. ગુજરાત યુનિવર્સિટી, જૈન ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન અને રાજ્ય સરકારના સંયુક્ત પ્રયાસોથી શરૂ થયેલ આ UPSC તાલીમ સેન્ટરનું મહત્તમ લાભ લેવા યુવાનોને અનુરોધ કરીને તમામને મુખ્યમંત્રીએ શુભેચ્છાઓ પાઠવી હતી.    શિક્ષણમંત્રી  ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, GU-JIO અને રાજ્ય સરકારના સંયુક્ત પ્રયાસોથી સ્થપાનાર આ ઈંઅજ તાલીમ સેન્ટર યુવાનો માટે લેન્ડમાર્ક સાબિત થશે. તેમણે કહ્યું હતું કે, ધાર્મિક સંસ્થા ધર્મના પ્રચાર માટે કાર્ય કરતી હોય છે પણ ઉંઈંઘએ દેશની ભાવી પેઢીની ચિંતા કરીને સંસ્કારી અને શ્રેષ્ઠ વહીવટકર્તા તૈયાર થાય તે માટે આ સેન્ટર શરૂ કર્યુ છે તે બદલ હું તમામને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. તેમણે કહ્યું હતું કે, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વમાં ગુજરાત સરકાર નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અમલમાં અગ્રેસર ભૂમિકા ભજવી રહી છે. સ્ટાર્ટઅપ રેકિંગમાં પણ ગુજરાતે સતત બીજા વર્ષે પણ પ્રથમ નંબર મેળવ્યો છે. ચૂંટાયેલા પ્રતિનિધિઓ માત્ર ૧૦-૧૫ વર્ષ દેશની સેવા કરે છે જ્યારે પસંદગી પામેલા અધિકારીઓ ૨૫-૩૦ વર્ષની સેવા કરતાં હોય છે. તેઓ સમાજના લોકોની પીડા સમજશે તો ભવિષ્યમાં અધિકારી બનશે ત્યારે તેની સાચી ચિંતા કરી શકશે. આ સેન્ટરના માધ્યમથી સમાજ અને દેશને સંસ્કારી અધિકારીઓ મળશે તેમ તેમણે ઉમેર્યું હતુ.

પરમ પૂ.  નયનપદ્મ સાગરજી મહારાજ આર્શીવચન આપતાં જણાવ્યું હતું કે, ગુજરાત તમામ ક્ષેત્રે ભારતનું રોલમોડલ રહ્યુ છે. મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઇ પટેલ, નરેન્દ્રભાઇ મોદી અને અમિતભાઇ શાહ જેવા નેતા ગુજરાતે આપ્યા છે. મુખ્યમંત્રી ના નેતૃત્વમાં ગુજરાતે તમામ ક્ષેત્રે ખૂબ જ પ્રગતિ કરી છે ત્યારે આ UPSC સેન્ટરના માધ્યમથી ગુજરાતના મહત્તમ યુવાનો સનદી સેવામાં પસંદગી પામીને દેશની સેવા કરશે તેવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ગુજરાત યુનિવર્સિટી,  અને રાજ્ય સરકારના સહયોગથી શરૂ થયેલ આ સેન્ટરમાં શ્રેષ્ઠ ફેકલ્ટી ઉપલબ્ધ કરાવીને ગુજરાતના યુવાનોને આપણે ચોક્કસ સફળતાના શિખરો સુધી લઈ જઈશું તેમ તેમણે ઉમેર્યું હતુ.

7D0A9969

વિદૂષી આર્યા સાધ્વી મયાણાજીએ આર્શીવચન આપતાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં સૌપ્રથમ રાજકોટ અને આજે ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ ખાતે શરૂ થયેલા આ UPSC તાલીમ સેન્ટરના માધ્યમથી ગુજરાતના દિકરા-દિકરીઓ ભારત સરકારની ઉચ્ચ સરકારી સેવામાં સ્થાન પામીને દેશ સેવા કરી શકશે. તેમણે કહ્યું હતું કે, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વમાં ગુજરાત સરકારે કોરોના જેવી મહામારીમાં પણ માનવસેવા શ્રેષ્ઠ કામ કર્યુ છે જેની નોંધ સુપ્રીમ કોર્ટે પણ લીધી છે.

ઉચ્ચ અને ટેકનિકલ વિભાગના અગ્રસચિવ-પ્રજ્ઞાપીઠમના ચેરપર્સન  અંજુ શર્મા આ સેન્ટરની માહિતી આપતાં કહ્યું હતું કે, રાજ્યમાં પ્રથમવાર શૈક્ષણિક, ધાર્મિક અને રાજ્ય સરકારના પ્રયાસોથી UPSC તાલીમ સેન્ટર શરૂ થવા જઈ રહ્યું છે જે રાજ્યના યુવાનોના માટે ગૌરવની બાબત છે. આ સેન્ટરમાં નેશનલ કક્ષાની શ્રેષ્ઠ ફેકલ્ટીની સેવાઓ વિના મૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ સિવાય નિવૃત IAS અધિકારીઓ પણ પોતાના અનુભવનો લાભ વિદ્યાર્થીઓને આપશે. આ સેન્ટર ખાતે ભવ્ય લાઇબ્રેરી, હોસ્ટેલ સહિત તમામ સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ  હિમાંશુ પંડ્યાએ સ્વાગત પ્રવચન કર્યુ હતુ.

આ ઇ-લોકાર્પણ પ્રસંગે ગાંધીનગર ખાતે રાજ્ય શિક્ષણ મંત્રી  વિભાવરીબેન દવે, અમદાવાદ ખાતે ઉપકુલપતિ ડો. જગદીશ ભાવસાર ફાઉન્ડેશનના  ઝવેરચંદ સહિત ઓનલાઇનના માધ્યમથી મોટી સંખ્યામાં શિક્ષણવિદો-વિદ્યાર્થીઓ જોડાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.