Abtak Media Google News

ચાંદની ઘૂંટીને એકરસ કરી હોય એવો ચંદ્રમા આભ અને ધરતીને રૂપેરી બનાવે અને દૂધ પૌવાનું અમૃતનું પૂણ્યભીનું પાન કરાવે: રાસ રમાડે: સૌને નોતરે!

શાસ્ત્રમાં એવો ઉલ્લેખ છે કે, શ્રરા રામ સીતાજી અને લઘુ બંધુ લક્ષ્મણની સાથે સ્વગૃહે પૂન: પધાર્યા તે વખતનાં હર્ષોલ્લાસનો શીતળ-મધૂર અવસર ચાંદની ઘૂંટીને એકરસ કરી હોય એવો ચંદ્રમાં હોંશે હોંશે આભ અને ધરતીને રૂપેરી બનાવે અને ચાંદનીની શીતળતામાં ઝબકોળેલા દૂધ-પૌવાના અમૃતનું પૂણ્યભીનું પણ કરાવે, રાસે રમવા પ્રેરેને સૌને નોતરે…

એમ પણ કહેવાયું છે કે, શરદ પૂનમની શીતળમધૂર રાત્રીએ કાંસાના વાટકાને શુધ્ધ ઘીના દીવાની વાટ ઉપર મૂકીને એની કાલીમાભીની ધ્રૂમ્રસેરને ઝીલીએ તો એ કાલીમાના અને કપૂરના આધારે આંખોમાં આંજવાનું આંજણ બનાવીએ તો એનાં અંજનથી આંખોનું તેજ વધે છે અને તે ચેરાને વિશેષ સુન્દરતા પણ બક્ષે છે.

આને લગતા હર્ષોલ્લાસની કિલ્લોલ ભીની સાંકળ છેક, દીવાળી, દીપોત્સવીના તહેવારો સુધી પહોચે છે. અને વિક્રમ સંવતના કેલેન્ડર મુજબ નૂતન વર્ષનાં પ્રભાતનો ‘ઉઘાડ’નું દર્શન કરાવે છે. અને બંધુ ભગિનીના માંગલ્યભીના અને વહાલભીના હેતભીના ‘ભાઈબીજ’ના તહેવારની અણમોલ બક્ષીસ આર્પે છે.

શરદ ઋતુને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ‘પ્રતિકૂળ’ માનવામાં આવી છે. ‘શતંજીવ: શરદ:્યના શુભાશિષના પાયામાં આ ભાવના સંમિશ્રીત હોવાનું કહેવાય છે!

આર્યાવર્ત-હિન્દુસ્તાન ભરતખંડ અને ભારત આમતો વેદસંસ્કૃતિ અને વેદવાણીના પુરસ્કર્તા હતા.

ભૌતિકવાદનો ઝંઝાવાત જયારે આપણને અનેક પ્રકારે ભીંસતો જાય છે. ત્યારે સ્વતંત્રતા પ્રાપ્તી માટે ચિંતક ટોલ્સ્ટોયે ગાંધીજીને આપેલું માર્ગદર્શન યાદ કરવા જેવું છે. તમે તમારા ધર્મગ્રંથોમાંથી પ્રેરણા મેળવો..’ આજે પણ આ વાત આટલી જ જરૂરની છે.

વેદ, ઉપનિષદ અને આપરા ધર્મગ્રંથોમાં જીવન અંગેજે માર્ગદર્શન છે તે મનુષ્યને સર્વપ્રકારે સંસ્કારી, સુખો અને આનંદી કરવા સમર્થ છે. વેદકાલીન સદાચારી સમાજની વાતથી પ્રારંભ કરીને લેખકે અર્વાચીન ભૌતિકવાદમાં થયેલા માનવજાતના ચારિત્ર્યપતનની વાતો વિસ્તૃત રીતે સમજાવ્યા બાદ વિશ્ર્વમા અનેક દેશોમાં આવી રહેલા નવજાગૃતિના મોજાનો ઉલ્લેખ કર્યો. છેલ્લે એક હૈયાધારણ રૂપે વાત કરી કે, ભારતની સંસ્કૃતિના ઉધ્ધાર માટે ભગવાન જાતે અવતરે છે.

વૈદાદિ શાસ્ત્રો, મંદિરો અને સાધુઓ આ ત્રણ સંસ્થાઓ સંસ્કૃતિની ગંગોત્રી છે. આજે ભારતમાં જે કંઈ ધાર્મિક અને સંસ્કારી વાતાવરણ દેખાય છે. તે આપણી પુરાણી આ ત્રણ સંસ્થાઓએ પુષ્ટ કરેલી સંસ્કૃતિના અવશેષો છે. જો ભારતમાંથી આ ત્રણ સંસ્થાઓને સદંતર વિરામ આપવામાં આવે તો ભારત જંગલ કરતા વધુ ભુંડુ બની જાય.

માને મા કહેવાય, બહેનને બહેન કહેવાય, દીકરીને દીકરી કહેવાય આવો વિવેક શાસ્ત્રોએ શીખવ્યો છે. ચારિત્ર્યના પાઠો શાસ્ત્રોએ આપ્યા છે. રાવણ પાસે બધુ હતુ, સાગરો ઉપર આધિપત્ય હતુ, પણ ચારિત્ર્ય નહોતું તો નાશ થયો. તેનું પતન થયું સંપતિ કે સત્તા એ શકિત નથી પણ ચારિત્ર્ય એ મહાશકિત છે. શાસ્ત્રે આપણને જીવનનું ધ્યેય સમજાવ્યું છે. જીવનનાં દ્દંન્દ્દોમાં ટક રહેવા માટે આધ્યાત્મિક શકિત આપી છે. અક્ષરરૂપ પોતાને માનીએ એટલે સર્વ દ્દન્દ્દો શમી જાય.

આપણા બધાના ગરીબ-અમીર એમ સૌ દેશવાસીઓનાં આગામી દિવસો અત્યંત મહત્વના અને ‘આ પાર કે પેલે પાર’ના જંગ ખેલવો પડે એવા બનવાના છે. દરેક વ્યકિતએ આ જંગ હારી ન જવાય એ માટે પોતાની જાતને સમર્થ બનાવવી જ પડશે.

ઈશ્ર્વરનું સ્મરણ કરીને પોતાની જાતને સુધારવી પડશે અને વધુ પરિશ્રમ કરવો પડશે. મુસીબતમાં ઘેરાયેલા ગરીબોને યાદ કરવા પડશે. અશકત અને અસહાય લોકોને મદદનો હાથ લંબાવવા સક્ષમ બનવું પડશે. આપણને એક દિવસથી વધારે જીવન નથી મળતું કે નથી મળતી ઈચ્છીત આવતીકાલ, આજના બધશ જ કાર્યો સચ્ચાઈપૂર્વક કરતા રહીને દરેક દિવસને જો છલોછલ ભરી દઈએ તો આપણી સામે શુભ પરિણામો અને વરદાનોનો ઢગલો થતો રહેશે.

પરંતુ આપણા નેતાઓ બધુ કરવાને બદલે અવળે માર્ગે ચઢી ગયા છે. કવિ પ્રદીપજીએ લખ્યું છે: દેખ તેરે સંસાર કી હાલત કયાં હો ગઈ ભગવાન, કિતના બદલ ગયા ઈન્સાન.’

આપણે સાથે મળીને આ હાલતને સુધારવી છે અને આસો વદ અમાસની કાળી ડિબ્બાંગ રાતને શ્રધ્ધાના અસંખ્ય દીપ પ્રગટાવીને અજવાળા -ઉજાસથી ભરી દેવી છે. ‘શરદપૂનમ’ના રૂપભીના અવસરને સાક્ષી બનાવીને એવી પ્રતિજ્ઞા લઈએ કે, અજ્ઞાનની સામે જ્ઞાનનાં દીપ પ્રગટાવીને આ દેશને આપણે ઝડપભેર સુવર્ણયુગમાં પ્રવેશ કરાવશું !.

શરદપૂનમની રાતે આપરે હોંશે હોંશે રાસે રમશું અને રામકૃષ્ણનો જયજયકાર કરશું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.