Abtak Media Google News

જીએસટી કરચોરીમાં કાયદાકીય છટકબારીઓનો લાભ લેતા આરોપી સામે સુપ્રીમનું કડક વલણ

દેશના અર્થતંત્રને મજબૂત કરવા મોદી સરકારે જીએસટી કરમાળખાનો અમલ કર્યો હતો. પરંતુ, કરચોરો જીએસટી કરમાળખામાં છીંડા શોધવા લાગ્યા છે. આવા જીએસટીના ગુન્હેગારોને આગોતરા જામીન ન આપવા સુપ્રીમ કોર્ટે દેશની તમામ હાઈકોર્ટનો આદેશ કર્યો છે. સુપ્રિમ કોર્ટે ગઈકાલે તેલંગાણા હાઈકોર્ટના જીએસટી કરચોરીને લગતા કેસમાં આરોપીઓને આગોતરા જામીન ન આપવાના ચૂકાદાને માન્ય રાખ્યો હતો.

તેલંગાણા હાઈકોર્ટની ખંડપીઠે એપ્રિલ ૨૦૧૮ના રોજ આપેલા ચૂકાદામા જીએસટીના અધિકારોને વિસ્તૃત બનાવતા ચૂકાદામાં જીએસટી એકટ ૨૦૧૭ અન્વયે જીએસટીનો ભંગ કરનાર ગુનેહગારોને કોઈપણ પ્રકારની વચગાળાની રાહત માટેની અરજી ફગાવી દીધી હતી. સુપ્રિમ કોર્ટે થયેલી સુનાવણીમાં તેલગાણા હાઈકોર્ટનાં ચૂકાદા સામેની અપીલ ફગાવી દઈને જીએસટીના ગુનેહગારોને જામીન ન આપવાનો ઈન્કાર કરી દીધો હતો.

કેન્દ્ર સરકારે સુપ્રિમ કોર્ટમાં બોમ્બે હાઈકોર્ટના અનેક ચૂકાદાઓને રજૂ કર્યા હતા. જેમાં બોમ્બે હાઈકોર્ટે જીએસટીના કેસમાં ધરપકડ પૂર્વે આગોતરા જામીન મંજૂર કર્યા હતા. એફઆઈઆર વગર જીએસટી નિયમ ભંગ કરનારની ધરપકડ ન કરી શકાય તેવા બોમ્બે હાઈકોર્ટના ચૂકાદા સામે સુપ્રિમ કોર્ટમાં દાદ માંગી હતી.

સરકાર તરફથી બોમ્બે હાઈકોર્ટનાં જીએસટી કેસમાં રાહતના ચૂકાદાઓ સામે સુપ્રિમમાં ગયેલા સોલીસીટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતુ કે સંસદે સી.જીએસટી કાયદો સીઆરપીથી સ્વાયત રાખ્યો છે. અને તેને સ્વાયત્ત કાયદાકીય પ્રક્રિયાની સત્તા આપવામાં આવી છે. સુપ્રિમ કોર્ટની વેકેશન બેંચના મુખ્ય ન્યાયમૂર્તી રંજન ગોગોઈ અને ન્યાયમૂર્તિ અનિ‚ધ્ધ બોઝએ જણાવ્યું હતુકે દેશની અલગ અલગ હાઈકોર્ટ અલગ અલગ દ્રષ્ટિકોણથી નિર્ણય લે, પરંતુ અમારે કાયદાની મૂળભૂત જોગવાઈઓને ધ્યાને લેવું જોઈએ.

જીએસટી કેસના ગુનેહગારોને આગોતરા જામીન આપવાના હાઈકોર્ટના નિર્ણયને પ્રાથમિક તબકકે હસ્તક્ષેપ ન કર્યો તેમ છતા હવે ભવિષ્યમાં આવી માંગણીઓને વ્યાજબી ન ઠેરવાય તે માટે સુપ્રિમકોર્ટે ૨૭મીમેએ આપેલા ચૂકાદામાં તેલંગાણા હાઈકોર્ટના ચૂકાદો અને બોમ્બે હાઈકોર્ટના ચૂકાદાને ધ્યાનમાં રાખી ને સુપ્રીમ કોર્ટે જીએસટી કેસના ગુનેહગારોને આગોતરા જામીન ન આપવા અને સી. જી.એસ.ટી.ની જોગવાઈ મુજબ જીએસટી કમિશ્નરને કલમ ૧૩૨ સીજીએસટી ધારા અન્વયે આરોપીને અટકાયતમાં લેવાની સત્તા હોવાનું ઠેરવ્યું હતુ.

જીએસટી નિયમ ભંગ કરનાર ગુનેહગારોમાં આગોતરી જમીન અરજી ગ્રાહ્ય રાખવાના હાઈકોર્ટના ચૂકાદાઓમાં હસ્તક્ષેપ ન કર્યો પણ હવે પછી સીજીએસટી એકટ મુજબ જીએસટીનાં ગુનેહગારોને કોઈ છટકબારી ન મળે તે માટે સુપ્રિમ કોર્ટે ખાસ તાકીદ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.