Abtak Media Google News

કોઠારીયા રોડ પર પરિણીતાએ, બામણબોરમાં યુવાને, નવાગામમાં પ્રૌઢે અને કોઠારીયા સોલવન્ટ પાસે રિક્ષાના ધંધાર્થીએ આપઘાત કરી જીવન ટૂંકાવ્યું

શહેરમાં જુદા જુદા ચાર સ્થળોએ આપઘાતના બનાવ પોલીસ ચોપડે નોંધાયા છે. જેમાં કોઠારીયા રોડ પર પંચમુખી હોટલ પાસે એક વર્ષથી રિસામણે આવેલી પરિણીતાએ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. જ્યારે શહેરના ભાગોળે આવેલા બામણબોરમાં યુવાને સ્મશાનમાં ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. અન્ય બનાવમાં નવાગામમાં રહેતા પ્રૌઢે આર્થિક ભીંસથી કંટાળી ગળાફાંસો ખાઈ મોત મીઠુ કર્યું છે જ્યારે કોઠારીયા સોલવન્ટ પાસે યુવાને પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કર્યાનું પોલીસ ચોપડે નોંધાયું છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ કોઠારીયા રોડ પર પંચમુખી હોટલ પાસે રહેતા પ્રિયાબા હિતેન્દ્રસિંહ જાડેજા નામના ૨૯ વર્ષની પરિણીતાએ બે વર્ષ પહેલા અમરેલીના ગામડામાં લગ્ન કર્યા બાદ છેલ્લા એક વર્ષથી પીયરે રિસામણે આવી હતી. ઘણી વાટાઘાટો છતાં દંપતિ વચ્ચે સમાધાન ન થતાં પ્રિયાબા જાડેજાએ કંટાળીને પોતાના ઘરે દુપટ્ટાવડે પંખા સાથે લટકાઈ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યાની ઘટના ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં નોંધાતા પીએસઆઈ આર.એન.સરવૈયા સહિતના સ્ટાફે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.

અન્ય બનાવમાં શહેરના ભાગોળે આવેલા બામણબોર ગામમાં રહેતા નનાભાઈ અરજણભાઈ દલવાણીયા નામના ૩૫ વર્ષના યુવાને બામણબોરના સ્મશાનમાં ઝાડ પર દોરડા વડે ગળાફાંસો ખાઈ આપઘાત કરતા પરિવારમાં અરેરાટી મચી જવા પામી છે. ઘટનાની જાણ થતાં કુવાડવા પોલીસ મથકના હેડ કોન્સ. ક્રિપાલસિંહ ચુડાસમા સહિતના સ્ટાફે ઘટના સ્થળે પહોંચી આપઘાત પાછળનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે. મૃતક નનાભાઈ દલવાણીયા મજૂરી કામ કરતો હોવાનું અને અપરિણીત હોવાનું પોલીસ પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.

વધુ એક આપઘાતના બનાવમાં નવાગામ વિસ્તારમાં રહેતા અને ડીશ કનેકશનનું કામકાજ કરતા ભુપતભાઈ ઉકાભાઈ ગોહેલ નામના ૫૫ વર્ષીય પ્રૌઢે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ રહ્યો છે. ઘટનાની જાણ થતા કુવાડવા પોલીસ મથકના હેડ કોન્સ બી.ડી.ભરવાડ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી હતી. જેમાં મૃતક પ્રૌઢને છેલ્લા ઘણા સમયથી કામકાજ ચાલતું ન હોવાથી આર્થિક ભીંસથી કંટાળી ગળાફાંસો ખાઈ આપઘાત કર્યાનું પ્રાથમિક તારણ જાણવા મળ્યું છે.

વધુ એક બનાવમાં કોઠારીયા સોલવન્ટ પાસે શક્તિનગર શંકરના મંદિરની બાજુમાં રહેતા કેતનભાઈ અશોકભાઈ ડાભી નામના ૨૭ વર્ષના યુવાને પોતાના ઘરે બારી સાથે ટુવાલ વડે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવતા પરિવારમાં અરેરાટી મચી જવા પામી છે. ઘટનાની જાણ થતાં તાલુકા પોલીસ મથકના એએસઆઈ ટી.આર.બુહા સહિતના સ્ટાફે ઘટના સ્થળે જઈ મૃતદેહ પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ મૃતક કેતન ડાભી બે ભાઈ અને એક બહેનમાં સૌથી નાનો હોવાનું અને રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન કરતો હોવાનું જાણવા મળ્યું હતું.

ડિપ્રેશનના કારણે ભાવિ તબીબનો આપઘાતનો પ્રયાસ

5478 1

અન્ય વ્યક્તિઓના વ્યવહાર અને મેણા-ટોણા જેવી પરિસ્થિતિ સર્જાતા કોઈપણ સુખી માણસ ડિપ્રેશનનો ભોગ બનતો હોય છે અને તેના કારણે આપઘાત કરી જીવન ટૂંકાવા જેવી પરિસ્થિતિ સુધી પહોંચી રહ્યો છે. બોલીવુડના ઉભરતા સીતારા સુશાંતસિંહ રાજપૂત ડિપ્રેશનનો ભોગ બની પોતાના ફલેટમાં જ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યાની ઘટનાથી પુરો દેશ શોક વ્યકત કરી રહ્યો છે. ત્યારે શહેરમાં મવડી વિસ્તારમાં રહેતા અને ૩ માસ પહેલા જ રશિયાના મોસ્કો શહેરમાંથી એમ.ડી. ફિઝીશયનનો અભ્યાસ પૂર્ણ કરી વતન આવેલા ભાવી યુવાન તબીબ ડિપ્રેશનનો ભોગ બનતા પોતાના ઘરે ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કરતા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.ભવિષ્યનો પ્રકાશ જોયા વગર જ વર્તમાનના અંધકારમાં ડિપ્રેશનનો ભોગ બની પોતાના ઉજ્જવળ ભવિષ્ય પર આપઘાત કરીને પાણી ફેરવતા હોવાની ઘટના અવાર-નવાર બનતી રહે છે. બોલીવુડ સ્ટાર સુશાંતસિંહ રાજપુત આવા જ ડિપ્રેશનનો ભોગ બની પોતાનું જીવન ટૂંકાવતા તેના પરિવાર અને ચાહકો શોકમાં ગરકાવ થઈ ગયા છે. ત્યારે આવો જ એક કિસ્સો શહેરમાં મવડી મેઈન રોડ પર શ્રીનાથજી સોસાયટીમાં રહેતા અને ૩ માસ પહેલા જ રશિયાના મોસ્કો શહેરથી એમ.ડી. ફિઝીશનનો અભ્યાસ પૂર્ણ કરી પોતાના ઘરે આવેલા અજયસિંહ ગંભીરસિંહ ઝાલા નામના ૨૪ વર્ષના યુવાને માનસીક તણાવના કારણે પોતાના ઘરે ફીનાઈલ પી આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.