Abtak Media Google News

જામનગર શહેરમાં સ્ટ્રીટ લાઈટોના ધાંધિયાના કારણે અનેક વિસ્તારોમાં અંધારપટ જેવી સ્થિતિ સર્જાયેલી છે. જામનગર મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા અલ્તાફભાઈ ગફારભાઈ ખફીએ મ્યુનિ. કમિશનરને આવેદનપત્ર પાઠવી સ્ટ્રીટ લાઈટોની વ્યવસ્થા સુચારૂ રૂપે ચાલે તે માટે કડક પગલાં લેવા માંગણી કરી છે.

આ આવેદનપત્રમાં જણાવ્યા પ્રમાણે જામનગર શહેરમાં વાસ્તવિક્તાની દૃષ્ટિએ જોઈએ તો હાલ શહેરમાં અંધારપટ છવાઈ ગયેલો છે, અને છેલ્લા ૬ મહિનાથી તો અંધકારરૃપી વાદળો છવાઈ ગયા છે. આખા શહેરમાં લાઈટના પ્રશ્નોનું ક્યાંય નિરાકરણ જોવા મળતું નથી.

લોકોની વારંવાર ફરિયાદ હોવા છતાં અધિકારીઓ સરખા જવાબ આપતા નથી. આના ઉપરથી એવું લાગે છે કે, અધિકારીઓ કંપની કે કોન્ટ્રાક્ટર સાથે મિલીભગત કરી રહ્યા છે જેનું પરિણામ જામનગરની પ્રજા ભોગવી રહી છે. લાઈટની ઓનલાઈન ૧૦૦૦ કરતા પણ વધારે ફરિયાદો હોવા છતાં પણ લોકોના મોબાઈલમાં ’કમ્પ્લેઈન સોલ્વ’ના મેસેજ આવી જાય છે પણ ખરેખર વાસ્તવિક્તામાં આ ફરિયાદો સોલ્વ થઈ જ નથી અને લોકો જ્યારે અધિકારીઓ સાથે ફોનમાં વાત કરતા હોય છે ત્યારે લોકો સાથે સંતોષપૂર્વક જવાબ આપતા નથી.

જામનગર મહાનગરપાલિકા પાસે પૂરતી ગાડી અને પૂરતા કોન્ટ્રાક્ટર હોવા છતાં શહેરના મોટાભાગના વિસ્તારોમાં અંધારપટ છવાયેલો છે. હાલમાં જ્યારે ટ્રાફિકનો મુદ્દો જામનગર કોર્પોરેશન દ્વારા ચલાવવામાં આવી રહ્યો છે

ત્યારે અધિકારીઓ અને સત્તાધીશોએ એ પણ યાદ રાખવું જરૂરી છે કે જ્યારે જામનગર મહાનગરપાલિકા ટેક્સ ઉઘરાવવામાં પાછીપાની નથી કરતી તો પ્રજાને આપવામાં આવનારી સુવિધોઓ માટે આંખ આડા કાન કેમ કરે છે?

થોડા સમયમાં પવિત્ર શ્રાવણ માસ શરૃ થઈ રહ્યો છે, જ્યારે લોકો મોડે સુધી બહાર ફરવા નીકળતા હોય તે ઉપરાંત વહેલી સવારે મંદિરોમાં દર્શનાર્થે જતા હોય ત્યારે અસામાજિક તત્ત્વો પણ તત્પર હોય છે. જેથી કરીને નાગરિકોને તહેવારોમાં અંધકારમાં ઉજવવા ન પડે તેની કાળજી રાખી તાત્કાલિક ધોરણે સમગ્ર શહેરમાં બંધ પડેલી લાઈટો ચાલુ કરવાની જરૂર છે.

જામનગર મહાનગર કોર્પોરેશનમાં જે નવા નગરસીમ વિસ્તારો ભળેલા છે તેમાં તો માત્ર ને માત્ર પાંચ ટકા લાઈટનું કામ થયું છે અને તેને લીધે રાત્રિના સમયે સાપ, વીંછી, જેવા અનેક જીવજંતુ રાત્રિના સમયે લોકોના ઘર સુધી પહોંચી જતા હોય છે.

તાજેતરમાં જ વોર્ડ નં. ૧ર મા એવા સર્પ કરડવાના ઘણા કિસ્સાઓ બહાર આવ્યા છે જેમાં આ જીવજંતુ કરડવાથી લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. લોકોના જનજીવન ઉપર આડઅસર થયેલી છે. માટે આવા કિસ્સાઓમાં જવાબદાર કોણ ગણાશે?

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.