Abtak Media Google News

એરફોર્સનાં જ કવાર્ટરમાં ચોરી થતાં ચકચાર.

જામનગરના એરફોર્સમાં ફરજ બજાવતા એક કર્મચારીના બંધ રહેણાંક મકાનમાં કોઈ તસ્કરોએ હાથફેરો કરી અંદરથી રૂ.દોઢ લાખની માલમતા ચોરી કરી ગયાની ફરિયાદ સિટી સી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.

આ બનાવની વિગત એવી છે કે, જામનગરના એરફોર્સ-૧માં ફરજ બજાવતા અને એરફોર્સ કવાર્ટરમાં રહેતા મુળ બિહારના વતની પ્રશાંતકુમાર પ્રેમનાથ વર્મા દિવાળીના તહેવારોની રજા દરમ્યાન પોતાના વતનમાં પરીવાર સાથે ગયા હતા. જામનગર પરત ફરતા તેમના રહેણાંક મકાનમાં મુખ્ય દરવાજાનો નકુચો તુટેલો જણાયો હતો. જયારે અંદર પણ ઘરવખરી વેરણ-છેરણ નજરે પડી હતી.

તેઓએ પોતાના રૂમની અંદર રહેલા કબાટનું નિરીક્ષણ કરતા કબાટના લોકરમાં રાખેલા અંદાજે રૂ.દોઢેક લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના ગાયબ થઈ ગયાનું માલુમ પડયું હતું. કોઈ તસ્કરોએ તેમના બંધ રહેણાંક મકાનને નિશાન બનાવી અંદરથી હાથફેરો કરી લીધો હોવાથી તેમણે સીટી સી ડીવીઝન પોલીસ મથકમાં ચોરીની ફરિયાદ નોંધાવતા સીટી સી ડીવીઝનના પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને વધુ તપાસ હાથધરી છે. એરફોર્સના કવાર્ટરમાં ચોરી થતા ચકચાર જાગી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.