Abtak Media Google News

તા. ૧૫ થી ૧૯ ફેબ્રુઆરી દરમિયાન બોર્ડની જેમજ પરીક્ષા લેવાશે

પ્રથમ પચાસમાં સ્થાન પામનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પુરસ્કાર

વિદ્યાર્થીઓ પરીક્ષાના ડરથી મુક્ત થાય અને બોર્ડની પરીક્ષામાં સારૂં પરિણામ પ્રાપ્ત કરી શકે તેવા ઉદ્દેશથી આત્મીય ગ્રુપ ઓફ ઇન્સ્ટીટયુશન્સ દ્વારા ધો. 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે ઓપન રાજકોટ મોક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.   તા. ૧૫ ફેબ્રુઆરીથી ૧૯ ફેબ્રુઆરી દરમિયાન આ મોક પરીક્ષામાં રાજકોટની કોઈપણ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ભાગ લઇ શકશે.  એક સાથે અગિયાર સો વિદ્યાર્થીઓ પરીક્ષામાં ભાગ લઇ શકે તે પ્રકારે આત્મીય દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.  આ પરીક્ષામાં બોર્ડની પરીક્ષા જેવો જ માહોલ ઉભો કરવામાં આવનાર છે.  આ પરીક્ષામાં ભાગ લેનાર દરેક વિદ્યાર્થીને આદર્શ પ્રશ્નપત્ર સંપુટ ભેટ સ્વરૂપે આપવામાં આવશે.

આત્મીય ગ્રુપ ઓફ ઇન્સ્ટીટયુશન્સના નિયામક ડૉ. જે.એન.શાહે જણાવ્યા પ્રમાણે કારકિર્દી નિર્માણના પ્રથમ પડાવરૂપ ધો. 10 અને 12ની  પરીક્ષાનો વિદ્યાર્થીઓને ડર લાગતો હોય છે.  મોટા ભાગના વિદ્યાર્થીઓ સ્કુલ અને પોતાના માર્ગદર્શકોની સલાહ પ્રમાણે છેલ્લા દિવસોમાં પ્રેક્ટીસ પેપર લખતા હોય છે.  આથી વિદ્યાર્થીઓને પ્રેક્ટીસ થાય અને ડર પણ નીકળી જાય એવા ઉદ્દેશથી આ પરીક્ષાનું આયોજન પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામીની પ્રેરણાથી કરવામાં આવ્યું છે.  બોર્ડની રીતે જ પ્રવેશ, પેપર વિતરણ, સ્ટીકર્સ, સપ્લીમેન્ટરી, ચેકિંગ વગેરે વ્યવસ્થા કરવામાં આવી છે.

સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવાના ભાગરૂપે યોજાનાર આ ઓપન રાજકોટ મોક પરીક્ષામાં કોઈપણ સ્કુલના વિદ્યાર્થીઓ ભાગ લઇ શકશે.  આ પરીક્ષામાં પ્રથમ ક્રમે પાસ થનાર વિદ્યાર્થીને અગિયાર હજાર, દ્વિતીય ક્રમે રહેનાર વિદ્યાર્થીને સાડા સાત હજાર, તૃતીય ક્રમે રહેનાર વિદ્યાર્થીને પાંચ હજાર પ્રોત્સાહન સ્વરૂપે આપવામાં આવનાર છે.  આ ઉપરાંત પ્રથમ પચાસ ક્રમમાં સ્થાન પામનાર બીજા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પુરસ્કાર આપવામાં આવશે.

વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા માટે નિષ્ણાંતોનું માર્ગદર્શન મળી રહે તેવી પણ વ્યવસ્થા કરવામાં આવી છે.  રજીસ્ટ્રેશન માટે પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફ સાથે સવારે ૯.૦૦થી ૩.૦૦ દરમિયાન આત્મીય કોલેજ, યોગીધામ, કાલાવડ રોડ, રાજકોટ  રૂબરૂ સંપર્ક કરવા અથવા તો વ્હોટસએપ નંબર ૯૮૯૮૩ ૭૪૯૬૧, ૯૯૨૫૦ ૪૧૪૧૬ અને ૯૯૭૮૯ ૯૦૮૯૦ પર ફોટોગ્રાફ, પુરૂં નામ, સરનામું, ફોન નંબર વગેરે મોકલી આપીને રાજીસ્ત્રેષણ કરી શકાશે.

ઓપન રાજકોટ મોક પરીક્ષાનાં સમગ્ર આયોજનને પ્રિ. જી.ડી.આચાર્ય, નલીન ઝવેરી, પ્રો. માંડવીયા વગેરેનાં માર્ગદર્શનમાં આખરી ઓપ અપાઈ રહ્યો છે.  રાજકોટની વિવિધ સ્કુલોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આ મોક પરીક્ષામાં ભાગ લેવા આત્મીય ગ્રુપ ઓફ ઇન્સ્ટીટયુશન્સ દ્વારા જાહેર નિમંત્રણ આપવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.