Abtak Media Google News

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આંકડાશાસ્ત્ર ભવનના નવા બિલ્ડીંગનું લોકાર્પણ કરાયું

આજરોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આંકડાશાસ્ત્ર ભવનનું લોકાર્પણ રાજકોટ મ્યુનિસિપલ કમિશનર ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રો.પ્રતાપસિંહ ચૌહાણ, રજીસ્ટાર ધીરેન પંડયા અને આંકડાશાસ્ત્ર ભવનના હેડ ડો.ગીરીશ ભીમાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત આંકડાશાસ્ત્ર ભવનના વિદ્યાર્થીઓએ પણ આ પ્રસંગે હાજરી આપી હતી. અત્યાર સુધી આંકડાશાસ્ત્ર ભવન પરીક્ષા વિભાગની સામેની બિલ્ડીંગમાં હતું. પરંતુ વિદ્યાર્થીઓને અદ્યતન સુવિધા સાથે ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત થાય અને બધી જ પ્રકારની સવલતો મળી રહે તેવા હેતુથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આર્ટ ગેલેરી ખાતે આંકડાશાસ્ત્ર ભવનનું આજરોજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વધુને વધુ બાળકો આંકડાશાસ્ત્ર ભવનમાં જોડાય તેવી કુલપતિએ શુભેચ્છા આપી હતી. હાલમાં આંકડાશાસ્ત્ર ભવનમાં ૧૨૫ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. રાજકોટ મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરીએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આંકડાશાસ્ત્ર ભવનનું લોકનિર્માણ થયું અને ભવનનું અનાવરણ કરવાનો આજનો કાર્યક્રમ હતો. આંકડાશાસ્ત્ર ભવન સૌરાષ્ટ્ર યુનિવસિર્ટીના અન્ય ભવનો કરતા પ્રથમ નંબરનું ભવન છે. કુલપતિએ આંકડાશાસ્ત્રના વિદ્યાર્થીને અદ્યતન બિલ્ડીંગ આપ્યું છે. ગુજરાતમાં આપણી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની એક માત્ર એ ગ્રેડની યુનિવિર્સટીની છે. દેશભરમાં ૨૭મો નંબર આપણી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પ્રાપ્ત કર્યો છે. અહીં અભ્યાસ કરનાર તમામ આંકડાશાસ્ત્ર ભવનના વિદ્યાર્થીઓની સંખ્યા પણ વધી છે. મોટી સંખ્યામાં આંકડાશાસ્ત્ર ભવનમાં વિદ્યાર્થી અભ્યાસ કરે છે અને આગામી સમયમાં પણ હજુ વધુ વિદ્યાર્થી આ ભવન તરફ વળશે આ તકે હું યુનિવર્સિટીના કુલપતિ પ્રો.પ્રતાપસિંહ ચૌહાણ અને આંકડાશાસ્ત્ર ભવનના હેડ ડો.ગીરીશ ભીમાણી તેમજ તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવું છું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.