Abtak Media Google News

“જે આરોપીના જેલમાં ગયા પછી પાંચ-છ દિવસ સુધી કોઈ જામીન થતા ન હતા પરંતુ તેનું મૃત્યુ થતા આખી જ્ઞાતિ ઉભી થઈ ગઈ!”

કડવા અનુભવો-૨

મેરી ભી આવાજ સૂનો….

ભૂજના સીવીલ હોસ્પિટલમાં અકે બાજુ મૃતક આરોપી તાતૂન કાતુની લાશનું પોસ્ટમોર્ટમ ચાલુ હતુ તો બીજી તરફ તેના જ્ઞાતીજનો અને કુટુંબીજનો આ કિસ્સામાં ખૂનનો ગુન્હો દાખલ કરાવવા મથામણ કરી રહ્યા હતા ત્યાં એક બાજુ પીઆઈ જયદેવ અને પીઆઈ દેસાઈ વાતો કરી કપરો સમય પસાર કરી રહ્યા હતા.

પીઆઈ દેસાઈએ જયદેવને આશ્ર્વાસન આપી પોતે વિરમગામ પોલીસ સ્ટેશનમાં હતા ત્યારનો તેમનો અનુભવ વર્ણવતા કહ્યું કે ‘શું કહું બાપુ? હું તો આવા એક કિસ્સામાં વગર કારણે પાંચેક વર્ષ ખૂબજ હેરાન થયેલો બનેલુ એવું કે આજ જ્ઞાતીના એક આરોપીને અમે પકડીને કાયદેસરની કાર્યવાહી પૂરી કરી તેને અદાલત સમક્ષ રજૂ કરી દીધેલો આથી તેનું જેલ વોરંટ ભરાતા તેને જેલમાં મોકલી દીધેલો પરંતુ આવા લોકો તો પેલા હાથી જેમ જીવતા લાખના મુઆ પછી સવા લાખના માફક તે જીવતો હતો ત્યાં સુધી તો તેના કોઈ જામીન પણ પડયા નહિં. તે આરોપી જેલમાં ગયા પછી પાંચ કે છ દિવસ બાદ જેલમાં જ મૃત્યુ પામ્યો હવે તે પણ કસ્ટડીયલ ડેથ જ ગણાય? પછી તપાસો અને ઈન્કવાયરીઓ ચાલુ થઈ જે આરોપીના કોઈ જામીન થતા ન હતા તેને બદલે આખી જ્ઞાતી આવીને ઉભી થઈ ગઈ પોસ્ટ મોર્ટમમાં કાંઈક સામાન્ય ઈજાના નીશાનો આવ્યા અને ‘ભાવતુ હતુ અને વૈધે કહ્યા’ પ્રમાણે તેના કુટુંબીજનોએ પોલીસ એટલે કે મારી ઉપર જ આક્ષેપોનો મારો કર્યો. પરંતુ મામલો એવો ગુંચવાયો કે ડોકટરોની પેનલ મૃતકની અંતિમવિધી થઈ ગયા પછી ઈજાનો ચોકકસ સમય ગાળો જણાવી શકતા નહતા તેમનું કહેવું હતુ કે ઈજા રૂઝાવાનો સમયનો આધાર શારીરીક તંદુરસ્તી અને રોગપ્રતિકારક શકિત ઉપર અવલંબે છે આમાં તો પોલીસ અધિકારીઓનાં મંતવ્યો પણ અલગ અલગ થયા, અમુક કહે પીઆઈની ધરપકડ થવી જોઈએ તો અમૂક કહે આમ ફકત શંકાના આધારે જ ધરપકડ થાય તો પોલીસની સલામતી જ શું ? પાચેક દિવસની જેલ કસ્ટડીમાં પણ અન્ય કેદીઓ કે જેલસંત્રીઓ સાથે ઝડફો થઈ હોય તેવી ઈજાઓને અઠવાડીયા બાદ હલકુ નામ હવાલદારનું ગણી તેના ઉપર ઓઢાડી દેવાય નહિ, આરોપીને મેજીસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો તે પણ લક્ષમા લેવું જોઈએ મેં કેટલાયના પગ પકડયા અને માંડ માંડ તે આફતમાંથી બહાર નીકળ્યો હતો. જયદેવે આ વાત સાંભળીને વિચાર્યું કે તો તો આ તાતૂન કાતુ પ્રકરણ પણ સીધી રીતે તો પૂરૂ નહિ થાય.

પોલીસ વિરોધની રેલી…!

ભૂજમાં તાતૂન ખાસ જ્ઞાતીનો હોઈ મામલો તંગ તો બનતો જતો હતો બીજીબાજુ ઉચ્ચ અધિકારીઓ પણ મુંઝાતા હતા કે આવતીકાલની રેલીમાં કાયદો અને વ્યવસ્થા જળવાશે કે કેમ? કારણ કે મુખ્ય માંગણી પોલીસ વિરૂધ્ધ ગુન્હો નોંધવા માટેની હતી પરંતુ તે માટે કોઈ સંજોગો હતા નહિ કે ગુન્હો પોલીસ વિરૂધ્ધ દાખલ થાય આવી રેલીઓ વિવિધ કારણોસર કાયદો અને વ્યવસ્થા માટે ખૂબજ જોખમકારક બનતી હોય છે. સામાન્ય રીતે આવી રેલીના બંદોબસ્તમા રહેલા પોલીસ જવાનો અને અધિકારીઓએ તો કાનમાં રૂના પૂમડા ભરાવવા પડતા હોય છે. કોઈ પોલીસના આત્મસન્માન કે માનવ અધિકારની નોંધ લેતુ નથી અગાઉ જણાવ્યા પ્રમાણે જયારે ખજ્ઞબ વફત ક્ષજ્ઞ ઙતુભવજ્ઞહજ્ઞલુ માફક ટોળામાં તો શાણી વ્યકિત પણ બુધ્ધી ગીરવે મૂકી દેતી હોય છે. તેવો નિષ્ણાંતોનો મત છે. પછી ટોળા શાહીમાં શુ ન બને તેજ પ્રશ્ર્ન રહે છે. પોલીસ રેલી દરમ્યાન કાંઈ કાર્યવાહી ન કરે તો પણ દોષિત અને કરે તો પોલીસનું દમન ! આવા સંજોગો હોય છે.

આવી રેલી અને તે પણ પોલીસ કાર્યવાહી વિરોધની હોય સહજ રીતે આ મુશ્કેલ બંદોબસ્ત ગણાય, પણ આશ્ર્ચર્યજનક રીતે વડી કચેરી દ્વારા આ રેલી આમતો જયદેવ વિરોધની રેલી જ ગણાય તેના બંદોબસ્તનું સુકાન જયદેવને સોંપાયું ! ભૂજમાં અનેક અધિકારીઓ હતા પણ આ હુકમ અભૂતપૂર્વ કહી શકાય તેવો હતો.

જયદેવને થયું કે પોલીસ વડા જયદેવની મર્દાનગીનું પરીક્ષણ કરતા હોય તેમ લાગે છે, જો કે કાંઈ દલીલ કરે તો પણ નામર્દાઈનું લક્ષણ જ ગણાય જે જયદેવ માટે મોત સમાન હતુ હા વધારે હાની રોકવા વ્યુહાત્મક પીછેહઠ કરવી તે જુદી વાત છે. પરંતુ શરૂથી જ દલીલ કરવી તેને વ્યાજબી લાગ્યું નહિ એક બે મિત્રોએ ટકોર પણ કરી કે હજુ સુધી તમારૂ તપેલુ ચડે તેવો કોઈ સુરાગ મળ્યો નથી તો આ રેલીમાં તો તમે કોઈ અપશબ્દ સહન કરવાના નથી અને સમગ્ર પોલીસ દળને તો જોયા જેવી થવાની છે તે વાત પાકકી છે. જયદેવે કહ્યું પડશે તેવા દેવાશે.

બીજે દિવસે સવારે નવ વાગ્યાથી રેલી શરૂ થઈ બેનરો અને સુત્રોચ્ચાર સાથે કલેકટર કચેરીએ જવા પ્રસ્થાન કયુર્ં. પરંતુ ચમત્કાર થયો રેલીમાં કોઈ અપશબ્દ નહિ ફકત પોલીસ વિરૂધ્ધ ગુન્હો દાખલ કરવાની જ માંગણી તથા સરકાર તરફથી મળતી સહાય અંગે ન્યાય માટેની માંગણી કરતા હતા રેલી હમીરસર તળાવની પાળે થઈ, ધીંગેશ્ર્વર મહાદેવ, પોલીસ સ્ટેશન થઈ સ્વામીનારાયણ મંદિર પસાર કર્યું પણ રેલીમાં કોઈ અજુગતો વાણી વીલાસ થયો નહિ રેલી દ્વારા કલકેટર કચેરીએ આવેદન પત્ર આપી વિસર્જન કર્યું.

જયદેવ ઉપરથી બીજી સંભવિત આફત પણ ટળી હવે આ કસ્ટડીયલ ડેથની જયુડીશીયલ ઈન્કવાયરી માટે પોલીસ વડાએ રીપોર્ટ કર્યો, જોગાનુજોગ આ જયુડીશીયલ ઈન્કવાયરી અગાઉ જણાવેલ લાકડા પ્રકરણમાં જયદેવને રૂા. ૪૭૦૦૦ જેટલો દંડ ભરવાનો હુકમ કરેલ તેમણે જ સંભાળી જયદેવને આ બાબતની ખબર પડતા તે ચમકયો પણ સમગ્ર ઘટના, તેના સંજોગો અને તેની જે તપાસ થઈ તે જોતા ગમે તે થાય પોતે તો ઠીક પણ પોલીસ જવાનો પણ આ તાતૂનના મૃત્યુ માટે જવાબદાર ઠરે તેમ ન હતા. આથી નખત્રાણાના ડીવાયએસપી પંડયાએ કરેલ તમામ તપાસના કેસ કાગળો પૂરાવા તાતૂનના મૃત્યુ પહેલા તેનાભાઈનું કુદરતીક્રમમાં મીડીયા જગતે લીધેલ નિવેદન જે ટીવી ઉપર જીવંત પ્રસારણ સહિતના પૂરાવા મોકલી આપ્યા બેચાર મહિનાતો કેસ કાગળોનો અભ્યાસ ચાલ્યો.

અંધેરી નગરી જેવો ન્યાય !

સાતેક મહિના બાદ જયદેવની બદલી ભૂજ સીટી પોલીસ સ્ટેશનથી ગાંધીધામ પોલીસ સ્ટેશનમાં થઈ તે દરમ્યાન જ કચ્છ જિલ્લા પોલીસ વડાની પણ બીજા જીલ્લામાં બદલી થઈ ગઈ અને ભૂજ ખાતે નવા પોલીસ વડા નિમાયા ભૂજના મેજીસ્ટ્રેટ સાહેબે જયદેવને નિવેદન લખાવવા માટે બોલાવતા જયદેવે જે ઘટનાક્રમ મુજબ બનાવ બનેલો એટલે કે જયારે પોતાને જાણ થઈ ત્યાંથી છેક સુધીની વિગત લખાવી દીધી. ડી સ્ટાફ કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ તથા બનાવની શરૂઆતથી છેક હોસ્પિટલ સુધી હાજર રહેલ ચોરીની ફરિયાદ કરનાર દુકાનદારનો પણ જવાબ થયો તપાસ ધીમેધીમે ચાલ્યે જતી હતી.

વળી પાછી પાંચ છ મહિનામાં જયદેવની બદલી ગાંધીધામ પોલીસ સ્ટેશનમાંથી સીપીઆઈ અંજાર કેમ્પ આદીપૂર તરીકે થઈ અહીં જયદેવે આદીપૂર, કંડલા અને અંજાર પોલીસ સ્ટેશનનું સુપરવિઝન કરવાનું હતુ એક દિવસ જયદેવને ભૂજ પોલીસ વડાની એક કારણ કે દર્શક નોટીસ મળી જેમાં આક્ષેપ હતો. કે ચોરીના આરોપી તાતુન કાતુના મૃત્યુ પ્રકરણમાં પીઆઈ જયદેવ પણ જવાબદાર હતો તેવું જયુડીશીયલ ઈન્કવાયરીમાં પ્રતિપાદન કરવામાં આવેલું હતુ અને તેમાટે ખાતાકીય પગલા કેમ ન લેવા?

જયદેવને થયું કે આતો ગજબ કહેવાય આરોપી તાતૂનકાતુ ને પકડયો બીજાએ, ફરિયાદ ત્રીજાની અને તપાસ ચોથાએ કરી, જયદેવે તો તાતૂનને જોયો પણ નહતો. જયદેવતો જયારે તાતૂનને હોસ્પિટલમાં સારવારમાં દાખલ કર્યો. પછી જ ચિત્રમાં આવ્યો હતો. પરંતુ આતો પોલીસ ખાતું કોઈ પણ પ્રશ્ર્નનું તત્કાલ નિરાકરણ કરવા માટે નીચેના તાબાના કર્મચારીઓ ઉપર ગમે તે રીતે ‘ઠીકરૂ ભાંગી શકાય’ પછી ભલે લાંબાગાળે પણ કોઈને કાંઈ શિક્ષા ન થાય પરંતુ પોલીસ પણ એક માનવ છે તેને પણ પોતાનું આત્મ સન્માન હોય કે નહિ? આ કાર્યવાહી ચાલે ત્યાં સુધી બે ત્રણ વર્ષ વગર કારણે માનસીક અપમાન ત્રાસ, બીન જરૂરી દોડાદોડી જો જાતે આ ખાતાકીય તપાસ ચલાવે તો ઠીક નહિ તો બીજા નિષ્ણાંતને મિત્ર તરીકે રાખી તેમની વ્યવસ્થા તો કરવાની ને? વળી તે પણ દેખાતી કસુર કે કારણ વગર, ફકત ખાતા અને અધિકારીઓની સગવડતા ખાતર જ!

જયદેવે આ નોટીસનો જવાબ કરવા માટે જયુડીશિયલ ઈન્કવાયરીનાં અહેવાલની નકલ ખાતા પાસે માંગી પરંતુ રાબેતા મુજબ તે મળી નહિ. જુઓ ખાતાની જડતા, કાયદેસરની કાર્યવાહીમાં પણ અસહકાર ! આથી જયદેવ રાઈટ ટુ ઈન્ફોર્મેશન એકટ મુજબ રૂા.૨૦ના સ્ટોપ પેપર ઉપર અરજી કરી માગણી કરતા તે અહેવાલની નકલ અને બીજા કાગળોની નકલો પણ મળી જયદેવે આ કારણ દર્શક નોટીસનો જવાબ કાયદા મુજબ જ ભૂજ પોલીસ વડાને મોક્લ્યો.

(૧) આ કસ્ટડીયલ ડેથની ઈન્કવાયરી ક્રીમીનલ પ્રોસીજર કોડ કલમ ૧૭૬ મુજબ આરોપીના મોતના કારણની તપાસ કરવાની હતી.

(૨) જયુડીશીયલ ઈન્કવાયરીના અહેવાલમાં સ્પષ્ટ જણાવેલ છે કે આરોપી તાતૂન કાતુનું મૃત્યુ તો કુદરતી જ હતુ.

(૩) અહિ જયુડીશીયલ ઈન્કવાયરીનું કાર્ય પૂરૂ થતું હતુ પરંતુ તેમાં આગળ વધીને જણાવ્યું હતુ કે આ કામના આરોપીને અટક નહિ કરવા બાબત પોલીસે બેદરકારી અને નિષ્કાળજી દાખવેલ છે. આરોપીને સીધો જ અટક કરી લેવાની જરૂરત હતી તેને અટક નહિ કરી ને મોટી ગફલત કરી છે.

આરોપીને અટક કરવો તે ગુન્હો દાખલ થયા બાદની તપાસની કાર્યવાહીનો ભાગ હતો આ કિસ્સામાં તો હજુ એફ.આઈ.આર. જ દાખલ થતી હતી એટલે કે ગુન્હો દાખલ થાય પછી પૂરાવો મેળવીને આરોપીની ધરપકડ થાયને ? તેમ છતાં આ આખા બનાવ દરમ્યાન જયદેવની ત્યાં હાજરી જ નહતી તો તે કઈ રીતે જવાબદાર ?

સમગ્ર બનાવ કઈ રીતે બન્યો તેતો અગાઉ જણાવેલ જ છે. આરોપીને મુદામાલ સાથે પોલીસ સ્ટેશનમાં લાવીને એક બાજુ પી.એસ.ઓ. ફરિયાદીની એફ.આઈ.આર નોંધતા હતા તથા કાર્યવાહી કરનાર ડી સ્ટાફ હેડ કોન્સ્ટેબલ કબ્જે થયેલ મુદામાલની પાવતી નોંધતા હતા.

સુપ્રીમ કોર્ટના ડીબાસુના રૂલીંગ અને સને ૨૦૦૩ના પરિપત્ર મુજબ એટલે કે ફોજદારી કાર્યવાહી રીતી અધીનીયમ મુજબ એફ.આઈ.આર. દાખલ થાય પછી આરોપી વિરૂધ્ધ પૂરતો પૂરાવો મેળવી તપાસ કરનાર અધિકારી તેનાથી એક પદ ઉપરી અધિકારીની આરોપી ને અટક કરવા માટેના પૂરાવા સહિત અરજી કરી મંજૂરી મેળવ્યા બાદ જ આરોપીને અટક કરવો તેવો સુપ્રિમ કોર્ટનો પણ સખ્ત આદેશ હતો. આરોપીને અટક કરી તેના કુટુંબીજનો અને ડીસ્ટ્રીકટ કંટ્રોલ રૂમને પણ તે જાણ કરવાની હોય છે.

આ કિસ્સામાં તો હજુ એફઆઈઆર નોંધવાની ચાલુ હતી પૂરાવો મેળવવાની કાર્યવાહી ચાલુ હતી. અને તે પછી ઉપરી અધિકારીની મંજૂરી પણ લેવાની બાકી હતી. આ કાર્યવાહી દરમ્યાન જ આરોપી બેભાન થઈ જતા હોસ્પિટલમાં સારવારમાં દાખલ કરવો પડયો અને સારવાર દરમ્યાન જ તેનું મૃત્યુ થયેંલુ આવા સંજોગોમાં કાયદો સુપ્રીમ કોર્ટનાં આદેશ અને પરીપત્રોને અવગણીને આરોપીને અટક કઈ રીતે કરી શકાય? અહીં તો પોલીસની તમામ તૈયારી હતી સવાલ ફકત સમયનો હતો. તે તો ઠીક પરંતુ આ સમગ્ર કાર્યવાહીમાં તો જયદેવ ત્યાં હાજર જ ન હતો તેતો જમવા માટે ગેસ્ટહાઉસ ગયો હતો તો તેની જવાબદારી કઈ રીતે ? ફકત થાણેદાર તરીકે જ? શું થાણેદાર હોવું તે કસુર છે? જો તે કસુર કહેવાતી હોય તો પછી આવા થાણેદાર પાસે સમાજ લોકશાહીના મૂલ્યો સાચવવાની શું અપેક્ષા રાખી શકે? જો સાચા અને ન્યાયીક અધિકારીઓ દંડાતા હોય તો બીજા કર્મચારીઓ તેનો ખોટો દાખલો રાખે કે આમેય ખાતામાં આવું જ ચાલતું હોય તો શા માટે ડરી ડરીને ચાલવું થવા દો જે થવું હોય તે! આવા કારણો જ પોલીસ દળના મોરલને નીચે ઉતારનારા છે !

જયદેવે તેને મળેલ કારણ દર્શક નોટીસનો જવાબ સુપ્રિમ કોર્ટનાં ડી.બાસુના રૂલીંગ તથા સૂપ્રિમ કોર્ટની ગાઈડ લાઈન મુજબ આરોપીનેકઈ રીતે અટક કરવો તેનો સન ૨૦૦૩નો પરિપત્ર સાથે મોકલી આરોપી નહિ અટક કરવા કે મોડો અટક કરવામાં કોઈ જ જવાબદાર નથી. આખી પ્રક્રિયા કાયદેસર ચાલુ હતીને અકસ્માતે બનાવ બનેલનું જણાવી પોલીસ વડાને મોકલી આપ્યો.

નિર્દોષ અને નવાણીયા કુટાઈ ગયા !

પરંતુ જયદેવને વડી કચેરીમાંથી જ માહિતી મળી કે તમામને ખાતાકીય તપાસના ચાર્જશીટ આપવાની તજવીજ ચાલે છે. આથી જયદેવે સુપ્રિમ કોર્ટ ઓફ ઈન્ડીયાના રૂલીંગ એઆઈઆર અઈંછ ૯૪ જઈ ૧૩૪ૠનું મેળવી તેના વિવિધ પેરાઓ તરફ ધ્યાન દોરી આરોપીની ધરપકડ કરતા પહેલા તપાસની કાર્યવાહી માટેના માર્ગદર્શક મુદાઓ લક્ષમાં લેવા જણાવ્યું અને જણાવ્યુ કે તાતૂનકાતૂના કિસ્સામાં પોલીસે આ સુપ્રિમ કોર્ટની માર્ગદર્શક રેખા; ડીબાસુનું રૂલીંગ અને રાજય પોલીસ વડાના સન ૨૦૦૩નાં પરિપત્ર મુજબ કાર્યવાહી કરેલ છે. કોઈ જવાને કોઈ જ કસુર કરેલ નથી તેમાં પણ પોતે તો કોઈ ચિત્રમાં જ નથી છતાં જો ખાતુ અમોને ખાતાકીય તપાસનો ચાર્જ આપવા માગતુ હોય તો અમોને આ જયુડીશીયલ ઈન્કવાયરીના અહેવાલમાં જે સીઆરપીસી ક. ૧૭૬ની મર્યાદા બહારનો બીન જરૂરી અને ખોટો નિર્દેશ થયો છે તેની સામે ઉપલી અદાલતમાં અપીલમાં જવા દેવા માટે ન્યાયના હિતમાં મંજૂરી આપવાનો પોલીસવડાને રીપોર્ટ કર્યો.

આથી ચીલાચાલુ કાર્યવાહી તો ખોરંભે પડી, જયદેવે અપીલમાં જવાની મંજૂરી માંગતા તેની વિરૂધ્ધની ખાતાકીય તપાસની કાર્યવાહી તો પડતી મુકાઈ પરંતુ ખૂબ મોડે મોડે ડી સ્ટાફ હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલને ખાતાકીય તપાસના ચાર્જશીટ અપાયા ! બીચારી પોલીસ, કાયદેસર કાર્યવાહી કરી છતા ડી.પી. જયદેવને ખૂબજ રંજ થટો કે નવાણીયા નિદોર્ષ કુટાઈ ગયા અને પોતે તેને બચાવી શકયો નહિ. ભગવાન આ ખાતાને સદબુધ્ધી આપે કે ભવિષ્યે પોલીસ કાયદેસરની કાર્યવાહી પણ કેમ કરે? તેવો દાખલો બેઠો

જયદેવને થયું કે આ સત્યમેવ જયતે કે અસત્યમેવ જયતે? જયદેવે બંને ડી સ્ટાફના જવાનોને સંપૂર્ણપણે કાયદાકીય અને વાસ્તવિક હકિકતોથી વાકેફ કરી, તેમની ફેવરનાં તમામ દસ્તાવેજો પરિપત્રો, સુપ્રિમ કોર્ટના રૂલીંગોની નક્લો આપી આખરે ત્રણેક વર્ષની માનસીક મેરેથોન દોડ બાદ આ જુઠ્ઠાણાનો પણ અંત આવેલો અને બંને જવાનો આ ખાતાકીય તપાસમાંથી દોષમૂકત જાહેર થયેલા જેમાં આખરે તો કાંઈ થયું નહિ પરંતુ જો જવાન લાગણીશીલ આત્મસન્માન વાળો હોય તે આટલા લાંબા સમય સુધી માનસીક રીતે રીબાતા હોય છે તેથી તેની કાર્યદક્ષતા ઉપર અવળી અસર પડતી હોય છે. તથા તેઓ ખાતામાં ચર્ચાનો વિષય પણ બનતા હોય છે. અમુક તો કહેતા હોય છે કે ‘આ પેલા તાતૂન પ્રકરણ વાળા’ આમ ખોટી રીતે ભોગ બનનાર જવાનનું મનોબળ તો નીચે પડતું હોય છે. પણ અન્ય જવાનો જે આવી વાત જાણેને કાયદેસરની કાર્યવાહીની ફલશ્રુતિ ને જાણે તો તેમનું પણ મનોબળ નીચું પડે, કારણ કે કાયદેસરની કાર્યવાહી કરતા મેડલ મળવો તો ઠીક કયાંક ભાલે ભરાઈ જવું ન પડે ! આ જોતા નથી લાગતુ કે ન્યાય “અંધેરી નગરી અને ગંડુ રાજા જેવો થયો હોય ? (ક્રમશ:)

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.