Abtak Media Google News

ગુજરાત આત્મનિર્ભર પેકેજ અન્વયે વિવિધ પોલિસીઓની પૂર્ણ થતી અવધિ લંબાવવા મુખ્યમંત્રીનો મહત્વપૂર્ણ નિર્ણય

રાજ્ય સરકારે સોલાર પાવર પોલિસી-ર૦૧પને ૩૧મી ડિસેમ્બર-ર૦ર૦ સુધી લંબાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. ઊર્જામંત્રીએ સોલાર પાવર પોલિસીની સમયાવધિ લંબાવવાના આ નિર્ણયની માહિતી આપતાં કહ્યું કે, વિશ્વવ્યાપી કોરોના-કોવિડ-૧૯ની મહામારીની સ્થિતીમાં રાજ્ય સરકારે વિવિધ પોલિસીઓને મૂળ સ્વરૂપમાં અવધિ લંબાવવા રૂ. ૧૪ હજાર કરોડના ગુજરાત આત્મનિર્ભર પેકેજ અન્વયે જાહેરાત કરેલી છે.

સૌરભભાઇ પટેલે આ સંદર્ભમાં કહ્યું કે, રાજ્યની સોલાર પાવર પોલિસી-ર૦૧પની મુદત પણ તા.૩૧ માર્ચ-ર૦ર૦ના પૂર્ણ થઇ હતી તેને આગામી તા.૩૧ ડિસેમ્બર-ર૦ર૦ સુધી લંબાવવામાં આવી છે.

સોલાર પાવર પોલિસી-ર૦૧પની આ સમયાવધિ લંબાવવાને પરિણામે હવે રાજ્યના સોલાર પાવર પ્રોજેકટ ડેવલપર્સ કેપ્ટીવ પાવર પ્રોજેકટ, થર્ડ પાર્ટી સેલ માટેના સોલાર પાવર પ્રોજેકટ તેમજ એમએસએમઈ એકમો, ઔદ્યોગિક, વાણિજ્યીક હેતુ અને સરકારી કચેરીઓ, મકાનો પરના રૂફટોપ સોલાર પાવર પ્રોજેકટ વગેરે સ્થાપિત કરી શકશે.

સૌરભભાઇ પટેલે કહ્યું કે, ગુજરાત દેશભરમાં સોલાર પાવર જનરેશનમાં અગ્રીમ હરોળનું રાજ્ય છે તેમજ ૧૦૭૧૧ મેગાવોટની રિન્યુએબલ એનર્જીની સ્થાપિત ક્ષમતા સામે ૩૦પ૭ મે.વો. ક્ષમતા આપણે પૂર્ણ કરી છે.

ઊર્જામંત્રીએ ઉમેર્યુ કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશમાં કલીન-ગ્રીન એનર્જીના ઉત્પાદન અને વ્યાપને પ્રોત્સાહન આપવાના અપનાવેલા અભિગમ અન્વયે ર૦રર સુધીમાં ગુજરાતમાં ૮ હજાર મેગાવોટ સૌર ઊર્જા ઉત્પાદનનો લક્ષ્યાંક પાર પાડવામાં આ સોલાર પોલિસીની લંબાવવામાં આવેલી સમયાવધિ નવું બળ પુરૂં પાડશે.

તેમણે ઉમેર્યુ કે, આ પોલિસીનો સમયગાળો લંબાવવાના પરિણામે રાજ્યની વીજ વિતરણ કંપનીઓ તેના રિન્યુએબલ પાવર ઓબ્લીગેશન માટેના લક્ષ્યાંકો પણ પૂર્ણ કરી શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.