Abtak Media Google News

મિત્ર સાથે થયેલા ઝઘડાના કારણે નવ શખ્સોએ ધોકા અને લાકડીથી હુમલો કરી ઢીમઢાળી દીધું

સુરેન્દ્રનગરના બસ સ્ટેશન પાસે મિત્ર સાથે થયેલા ઝઘડાના કારણે નવ શખ્સોએ ધોકા અને લાકડીથી હુમલો કરી ભરવાડ યુવાનની હત્યા કર્યાનું પોલીસમાં નોંધાતા પોલીસે નવ શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી શોધખોળ હાથધરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ સુરેન્દ્રનગરના ગોકુલનગરમાં રહેતા ભરત ભોપા મુંધવા નામના ૨૩ વર્ષના ભરવાડ યુવાન બસ સ્ટેશન પાસે હતો ત્યારે પારસ ઉર્ફે પક્કો ઘનશ્યામ મુળીયા, ભાવેશ શંકર મેણીયા, સહદેવ રમેશ દેહગામીયા અને છ જેટલા અજાણ્યા શખ્સોએ ધોકા અને લાકડીથી હુમલો કરી હત્યા કર્યાની ગોપાલ મેતાભાઇ મુંધવાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

મૃતક ભરત મુંધવા અને તેના મિત્ર વિજય વચ્ચે બે દિવસ પહેલાં ઝઘડો થયો હોવાથી વિજય પર ભરત મુંધવા હુમલો કરવાનો હોવાના ડરના કારણે વિજયએ પોતાના મિત્રોને ભરત મુંધવાને સમજાવવા મોકલ્યા હતા ત્યારે તેઓને ઉગ્ર બોલાચાલી થતા નવેય શખ્સોએ ધોકા અને લાકડીથી હુમલો કરી હત્યા કર્યાનું ફરિયાદમાં જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.