Abtak Media Google News

જાતીવાદ, જ્ઞાતિવાદ, વંશવાદ અને સગાવાદને પોષનારાઓ આજે “મોદી હટાવોના નારા સાથે એક થયા છે જ્યારે ભાજપનું લક્ષ્ય છે ગરીબી હટાવો, આતંકવાદ હટાવો અને ભ્રષ્ટાચાર હટાવો: વિજયભાઈ રૂપાણી

મહેસાણા ખાતે ભાજપાના વિજય વિશ્વાસ સંમેલનને સંબોધતા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યુ હતુ કે, કોંગ્રેસે ૫૫ વર્ષમાં સુધી દેશ પર રાજ કર્યું હતુ. દેશનું ભલુ કરવાને બદલે માત્ર એક પરીવારનું ભલુ થયુ.

કોંગ્રેસ શાસનમાં કૌભાંડો, હતાશા, નિરાશા, અરાજકતા, આતંકવાદી હુમલાઓ તથા પોલીસી પેરાલીસીસને લીધે ભારતની પ્રતિષ્ઠાનું વિશ્વમાં ધોવાણ થયુ હતુ. પાંચ વર્ષમાં નરેન્દ્રભાઇના શાસનમાં નવી ચેતના પ્રગટી છે. જે શક્ય ન હતુ એ હવે શક્ય બન્યુ છે. અગાઉ દેશમાં મુંબઇ, અયોધ્યા, દિલ્લી, અમદાવાદ, જયપુર વગેરે જગ્યાએ બોમ્બ ધડાકાઓ થયા છે. કોઇ કાર્યવાહી થતી નહોતી. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ પુલવામાંના હુમલા બાદ કહ્યું હતુ કે, હું કોઇને છોડીશ નહી અને સેનાને પરાક્રમ કરવા કાશ્મીર સહીત પાકિસ્તાન પર કાર્યવાહી માટે છુટો દોર આપ્યો. આજે લોકોને સુરક્ષાનો અહેસાસ થયો છે મોદી હૈ તો મુમકીન હૈ નો વિશ્વાસ પેદા થયો છે.

મહાગઠબંધન અંગે તેઓશ્રી જણાવ્યુ હતુ કે, એક સામાન્ય ચા વાળો વડાપ્રધાન બને તે આ લોકોને પચતું નથી. જાતીવાદ, જ્ઞાતિવાદ, વંશવાદ અને સગાવાદને પોષનારા આજે મોદી હટાવોના નારા સાથે એક થયા છે. આપણું લક્ષ્ય છે ગરીબી હટાવો, આતંકવાદ હટાવો અને ભ્રષ્ટાચાર હટાવો.

નરેન્દ્રભાઇ મોદીની સરકારે ગરીબો માટે કામ કર્યુ છે. આરોગ્ય માટે આયુષ્યમાન, સૌભાગ્ય યોજના અંતર્ગત ઘેર ઘેર વીજળી, જનધન યોજના, ઉજવલા યોજના હેઠળ ગેસ કનેકશન તથા લાખો ખેડુતોના ખાતામાં સીધા રૂપિયા જમા થયા છે.

કોંગ્રેસના શાસનમાં ગુજરાતને થયેલા અન્યાયને યાદ કરતા જણાવ્યું હતુ કે, ૭ વર્ષ સુધી નર્મદાના દરવાજાની મંજુરી આપી ન હતી. નરેન્દ્રભાઇએ માત્ર ૧૭ દિવસમાં મંજુરી આપી અને નર્મદાનું કામ પૂર્ણ કર્યુ હતુ. કૃડ રોયલ્ટીનો પ્રશ્ન ઉકેલીને ૧૦,૦૦૦ કરોડ મંજુર કર્યા. ગુજરાતને એઇમ્સ આપી આ સિવાય નેશનલ હાઇવેના કામ, ધોલેરા માટે ત્રણ હજાર કરોડ આપ્યા. ૧૦,૦૦૦ કરોડના ખર્ચે બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ શરૂ થઇ ચુક્યો છે. અગાઉ કોંગ્રેસ શાસનમાં થતા ગુજરાતના અન્યાયને હવે ન્યાય મળ્યો છે.

વિજયભાઇ રૂપાણીએ જણાવ્યુ હતુ કે, ૨૦૧૯ની ચૂંટણી એ બે વિચારધારની લડાઇ છે. એક તરફ રાષ્ટ્રવાદની વિચારધારા છે તો બીજી તરફ ભાગલાવાદી વિચારધારા છે. આ ચુંટણી દેશનું ભાગ્ય બદલનારી છે. નીતિ, ધર્મ અને સત્ય સાથે રહીને આ ઐતિહાસિક ચૂંટણીમાં સાક્ષી બનવાનો આપણને સૌને મોકો મળ્યો છે. માં ભારતીને શક્તિ સ્વરૂપે દુર્ગા, ધનધાન્ય સ્વરૂપે અન્નપુર્ણા, સમૃધ્ધિમાં માં લક્ષ્મી, જ્ઞાનમાં માં સરસ્વતી એવી ભારત માતા બને તે માટે આપણે સૌ કૃતનિશ્ચયી બની ભવ્ય ભારતના નિર્માણ માટે કટિબધ્ધ બનીએ. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ વિજય સંકલ્પ સંમેલનમાં વિજયનો શંખનાદ ફૂંકીને ૨૬ બેઠકો જીતવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.