Abtak Media Google News

બે જુથ વચ્ચે ખેલાયેલા ધીંગાણામાં ત્રણની લોથ ઢળી’તી: ૧૨ સામે ગુનો નોંધાયો‘તો

મોરબી શહેરમાં નજીવી બાબતે બે જુથ વચ્ચે ખેલાયેલા લોહીયાળ ધિંગાણામાં ત્રિપલ મર્ડરના ગુનામાં સંડોવાયેલા અને હાલ જેલ હવાલે રહેલા એક ડઝન શખ્સો પૈકી સાત શખ્સોની ચાર્જશીટ બાદની જામીન અરજી અદાલતે ફગાવી નામંજુર કરતો હુકમ કર્યો છે.

વધુમાં શહેરમાં ગત તા.૧૨/૮/૨૦૧૮ના રોજ બે જુથ વચ્ચે લોહીયાળ ધિંગાણું ખેલાયેલું જેમાં મોહસીન દિલાવરખાન પઠાણ, દિલાવરખાન હુસેનખાન પઠાણ અને અફઝલ અકબર પઠાણના મોત નિપજતા બનાવ હત્યામાં પલટાયો હતો. જેમાં ૧૨ શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી ધરપકડ કરી તપાસ પૂર્ણ થતા જેલ હવાલે કર્યા હતા.

હાલ જેલ હવાલે રહેલા ધનજીભાઈ ઉર્ફે દામજી મનસુખભાઈ ડાભી, પ્રવિણભાઈ ઉર્ફે પવો શીવાભાઈ ડાભી, જયંતીભાઈ નારણભાઈ ડાભી, અિશ્ર્વનભાઈ જીવરાજભાઈ ડાભી, ભરતભાઈ જીવરાજભાઈ ડાભી, શીવાભાઈ રામજીભાઈ ડાભી અને મનસુખભાઈ રામજીભાઈ ડાભીએ જામીન મુકત થવા માટે જામીન અરજી કરેલી જે જામીન અરજીમાં પોતે નિર્દોષ છે તથા બનાવ સમયે તેઓ અન્ય જગ્યાએ હોય તેમજ પોતાની પાસેથી કોઈ હથિયારો મળેલ નથી, તેઓને ખોટી રીતે સંડોવી દેવામાં આવેલ છે તેમ જણાવેલું.આ બનાવના મુળ ફરિયાદી અને સરકાર પક્ષની જામીન અરજી સામે વાંધા રજુ કરવામાં આવેલા જેમાં ફરિયાદમાં આરોપીઓના નામનો ઉલ્લેખ છે.

દાર્શનીક સાહેદો આ બનાવને સમર્થન આપે છે.આરોપીઓના કપડા પર લોહીના ડાઘાઓ મળી આવેલ છે અને આરોપીઓ જાહેરનામાનો ભંગ કરી જીવલેણ હથિયાર ધારણ કરેલ હોય જે ઈજાના કારણે લઘુમતી કોમના ત્રણેય વ્યકિતઓના ખુન થયેલ હોય જેથી જામીન અરજી રદ કરવા અરજ કરેલ હતી.આરોપીઓને જામીન મુકત કરવાની ન્યાયીક વિવેક બુદ્ધિની સતાનો ઉપયોગ કરવા હાલના તબકકે મને ન્યાયોચીત જણાતું ન હોય જેથી મોરબી ન્યાયધીશ આર.એ.ઘોઘારીએ જામીન અરજી નામંજુર કરવાનો હુકમ ફરમાવેલો છે.

મુળ ફરિયાદી તરફે એડવોકેટ દરજજે લલિતસિંહ જે.શાહી, ભુવનેશ એલ.શાહી, કૃણાલ એલ.શાહી, ચંદ્રકાંત એમ.દક્ષીણી, યોગેશ બારોટ, તેજશ પટેલ, સુરેશ ફળદુ, હિતેષ ગોહેલ તેમજ મોરબીના જિલ્લા સરકારી વકીલ વી.સી.જાની રોકાયેલા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.