Abtak Media Google News

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ જીએસએફસીના આત્મનિર્ભર ભારત અંતર્ગત ઉત્પાદિત

કેલ્શિયમ નાઇટ્રેટ અને બોરોનેટેડ કેલ્શિયમ નાઇટ્રેટના વેચાણનો શુભારંભ કરાવ્યો

જીએસએફસી દ્વારા  આત્મનિર્ભર ભારત અભિયાન  અંતર્ગત ૧૦૦ ટકા આયાત કરાતા આ બંને રસાયણોનું દેશમાં પ્રથમ  વખત ઉત્પાદન કરાયું

કેન્દ્રીય શિપિંગ (સ્વતંત્ર હવાલો) અને રસાયણ તથા ખાતર રાજ્ય મંત્રી મનસુખ માંડવિયાએ આજે નવી દિલ્હી ખાતેથી જીએસએફસી દ્વારા ઉત્પાદિત સ્વદેશી કેલ્શિયમ નાઇટ્રેટ અને બોરોનેટેડ કેલ્શિયમ નાઇટ્રેટના વેચાણનો શુભારંભ કરાવ્યો હતો. આ બંને ઉત્પાદનો ભારતમાં સો ટકા આયાત કરવામાં આવતા હતા, જેનું જીએસએફસી દ્વારા સૌપ્રથમ વખત દેશમાં ઉત્પાદન કરવામાં આવ્યું છે.  કાર્યક્રમ દરમિયાન મંત્રીએ તેના વેચાણની શરૂઆત હિમાચલ પ્રદેશના સોલન અને ગુજરાતના ભાવનગર ખાતે કરાવી હતી.

માંડવિયા પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, આત્મનિર્ભર ભારત અંતર્ગત જી.એસ.એફ.સી એ સામે ચાલીને આ ઉત્પાદનોની ઓળખ કરી અને તેનું નિર્માણ કરીબતાવ્યું એ ખરેખર પ્રશંસનીય છે. તેમણે જણાવ્યું કે તેઓ કેન્દ્ર સરકાર હેઠળના જાહેર સાહસોને પણ સંબંધિત ઉત્પાદનોની ઓળખ કરવા અને તેમનું દેશમાં જ નિર્માણ સંભવ બનાવવા માટેની કાર્યયોજના પર કામ કરવા નિર્દેશ આપશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતની વિભાવના વિશે જણાવતાં તેમણે કહ્યું કે ભારત વસુધૈવ કુટુંબકમની ભાવનાને વરેલો દેશ છે. આત્મનિર્ભર ભારતનો અર્થ દુનિયા સાથે છેડો ફાડી દેવો એવો નથી થતો, પરંતુ દેશમાં રહેલી તાકાતને ઓળખીને, તેને દિશા આપીને, આત્મનિર્ભરતા તરફ આગળ વધવું, એવો થાય છે. તેમણે કહ્યું કે જી.એસ.એફ.સી દ્વારા નિર્મિત આ બંને ઉત્પાદનોની સો ટકા આયાત થતી હોવાથી કંપનીને તેના વેચાણમાં સફળતા મળશે તેમાં કોઈ બેમત નથી. વળી તેનાથી દેશના ખેડૂતોને આયાતી માલ કરતાં વધુ ગુણવત્તાસભર અને સસ્તું ખાતર મળશે. તેમણે તેમણે કહ્યું જી.એસ.એફ.સીએ સાબિત કરી બતાવ્યું છે કે નિયત હોય તો કોઇ કામ અઘરું નથી. આત્મનિર્ભર ભારતના સપનાંને સાકાર કરવાની પહેલમાં નિષ્ઠાથી જોડાવા બદલ હું જીએસએફસીના તમામ અધિકારીઓ અને કર્મચારીઓને અભિનંદન પાઠવું છું.

જીએસએફસીના સીએમડી અરવિંદ અગ્રવાલે જણાવ્યું કે, આત્મનિર્ભર ભારતને અમલ કરવાના અભિયાનનું નામ જી.એસ.એફ.સીએ ન્યુ પ્રોડક્ટ ડેવલપમેન્ટ પ્રોગ્રામ રાખ્યું છે. કંપનીએ ખાતર તેમજ ઔદ્યોગિક પ્રોડક્ટના ક્ષેત્રમાં ૩૯ રસાયણોની ઓળખ કરી છે. જેની આપણા દેશમાં ૬૦ થી ૧૦૦ ટકા આયાત થાય છે. આમાંથી ૨૧ એવી પ્રોડક્ટ છે જે જીએસએફસીની હાલની પ્રોડક્ટ લાઇન સાથે બંધબેસે છે, તેનું ઉત્પાદન કરવાનું નક્કી કરાયું છે. જેમાં આઠ ઇન્ડસ્ટ્રીયલ કેમિકલ્સ, ૧૧ ફાર્મા અને બાયોટેક ઇન્ટરમીડીએટ, એક પાણીમાં દ્રાવ્ય ખાતર તથા મિથેનોલનો સમાવેશ થાય છે.

આ કાર્યક્રમમાં જીએસએફસીના ઉચ્ચ અધિકારીઓ, સોલન અને ભાવનગરના ખેડૂતો અને વિક્રેતાઓ તથા અન્ય જાહેર સાહસોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.