Abtak Media Google News

વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતા ભારતમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાથી લઈને વિધાનસભા અને લોકસભા સુધીના પંચસ્તરીય શાસન વ્યવસ્થામાં દરેક નાગરિકને પાંચ વર્ષમાં પાંચ વખત મતદાન કરવાનો અવસર મળે છે. ભારતનું ચૂંટણી તંત્ર આધુનિક વિશ્વના ઘણા નવોદિત લોકતાંત્રીક દેશો માટે આદર્શ બની રહી છે. મતદાન એ ચૂંટણી વ્યવસ્થાની પાયાની ધરોહર ગણાય છે અને મતદાન અંગેની નાગરિકોની જાગૃતિએ લોકતંત્રનો પ્રાણ ગણાય છે. કોઈપણ સંજોગોમાં નાગરિકને પોતાનો મતનો ઉપયોગ કરવો જ જોઈએ. નાગરિકના તટસ્થ મતથી જ આદર્શ પંચાયતી વ્યવસ્થાના પાયા નખાય છે. ગઈકાલે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીઓ અને જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતમાં થયેલા મતદાનમાં ધ્યાને આવે તેવી એક વાતમાં શહેરો કરતા ગામડાઓમાં મતદાન સવાયુ નોંધાયું છે. નગરપાલિકા માટે ૫૬.૪૧ ટકા, તાલુકા પંચાયતમાં ૬૪.૧૧ અને જિલ્લા પંચાયતમાં ૬૩.૩૫ ટકા મતદાન થયું હતું. રાજ્યમાં યોજાયેલી કોર્પોરેશનની ચૂંટણીથી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓનું મતદાન અને તેમાં પણ ગ્રામ્ય વિસ્તારનું મતદાન સવિશેષ રહેવા પામ્યું છે. સામાન્ય રીતે રાજકારણમાં શહેરી મતદારોને વધુ જાગૃત કરવામાં આવે છે. પરંતુ લોકશાહીમાં છેવાડાના નાગરિકના મતોનું ખુબજ મહત્વ રહેલું છે. કૃષિ પ્રધાન ભારતની ૮૧ ટકા વસ્તી ગ્રામ્ય વિસ્તારમાં વસે છે. તેમાં પણ મોટાભાગના લોકો કૃષિ ક્ષેત્રે સંકળાયેલા છે. શહેરી વિસ્તારની વસ્તી કરતા ગ્રામ્ય વિસ્તારની વસ્તી લોકતંત્ર માટે વધુ નિર્ણાયક ગણાય છે. સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીમાં પ્રારંભીક તબક્કે નિરસતાનો માહોલ જોવા મળ્યો હતો પરંતુ ગ્રામ્ય વિસ્તારોના મતદારોને સવાયુ મતદાન લોકતંત્ર માટે ખરેખર ગૌરવરૂપ ગણાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.