Abtak Media Google News

ઘઉં, ચોખા, તુવેરદાળ, સીંગતેલ અને ચા સહિતની રાહત કિટ જરૂરીયાતમંદ પરીવારોને આપવામાં આવશે

તાજેતરમાં સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારીના કારણે હજારો લોકો મૃત્યુ પામેલ છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ આ મહામારીથી બચવા માટે ૨૧ દિવસ સુધી સમગ્ર દેશમાં  લોકડાઉન જાહેર કરેલ છે. ગુજરાત રાજયના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણી  ગુજરાત રાજયના લોકોની સ્વાસ્થ્યની સતત ચિંતા કરી રહ્યાં છે અને આ પરિસ્થિતિમાં ગુજરાતની જનતાને જીવન જરૂરીયાતની ચીજ-વસ્તુઓ સરળતાથી મળી રહે તે માટે સુંદર આયોજન કરવામાં આવેલ છે. મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણી દ્વારા ગરીબોને કરીયાણાની વસ્તુઓ ફ્રી  આપવાનો સંવેદનશીલ નિર્ણય કરેલ છે. સાથે સાથે વિવિધ સામાજીક-સેવાકીય સંસ્થાઓ દ્વારા પણ જરુરીયાતમંદને ભોજનની વ્યવસ્થા અને ચીંતા કરી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હરહંમેશ શિક્ષણની સાથે પોતાના સામાજીક ઉત્તરદાયિત્વના ભાગરૂપે કોઈપણ કપરી પરિસ્થિતિમાં સમાજને મદદરૂપ થવા કટિબદ્ધ છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. નીતિનભાઈ પેથાણી, ઉપકુલપતિ ડો. વિજયભાઈ દેશાણી તથા સર્વ સિન્ડિકેટ સભ્યઓ દ્વારા કોરોનાની મહામારીમાં લોકડાઉનની પરિસ્થિતિમાં જરુરીયાતમંદ પરિવારોને ૧૦૦૦ રાહત કીટ આપવાનો સંવેદનશીલ નિર્ણય કરવામાં આવેલ છે. આ રાહત કીટનો અંદાજીત ખર્ચ રુ. ૫.૫૦ થી ૬:૦૦ લાખ થનાર છે.  આ રાહત કીટમાં ૫ (પાંચ) કિલો ઘઉં અથવા ઘઉંનો લોટ, ૨.૫ (અઢી) કિલો ચોખા, ૧ (એક) કિલો તુવેર દાળ, ૧ (એક) કિલો મગની ફોતરા વાળી દાળ, ૧ (એક) કિલોગ્રામ શીંગતેલ, ૧ (એક) કિલો ગ્રામ ચા જરુરીયાતમંદ લોકોને આપવામાં આવશે. આ રાહત કીટ રાજકોટ બી.એ.પી.એસ. સ્વામીનારાયણ મંદિર દ્વારા પૂજય સંત અપૂર્વમુની સ્વામીજીના માર્ગદર્શન હેઠળ  તૈયાર કરવામાં આવનાર છે. આ રાહત કીટનું જરુરીયાતમંદોને વિતરણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા કરવામાં આવશે. આ પરિસ્થિતિમાં લોકહિતના  આ નિર્ણયમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્યઓ સર્વ ડો. મેહુલભાઈ રુપાણી, ડો. નેહલભાઈ શુકલ, ડો. ગીરીશભાઈ ભીમાણી, ડો. ભાવીનભાઈ કોઠારી, પ્રો. પ્રતાપસિંહ ચૌહાણ, ડો. ભરતભાઈ રામાનુજ, ડો. વિજયભાઈ પટેલ, ડો. વિમલભાઈ પરમાર, ડો. ધરમભાઈ કાંબલીયા, ડો. અનિરૂધ્ધસિંહ પઢીયાર, ડો. હરદેવસિંહ જાડેજા, ડો. પ્રવિણસિંહ ચૌહાણ તથા ડો. ભરતભાઈ વેકરીયા એ એકસુરમાં પોતાની સહમતી દર્શાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.