Abtak Media Google News

સત્ય સાંઇ હાર્ટ હોસ્પિટલ ખાતે બે વર્ષમાં ઓડિશા રાજયના ૧૦૧૯ બાળકોની નિ:શુલ્ક સફળ સર્જરી

સત્ય સાંઈ હાર્ટ હોસ્પિટલ દર્દો દૂર કરનારું એક મંદિર છે જેણે નાના બાળકોના હૃદયની બીમારી તદ્દન નિ:શુલ્ક દૂર કરવાનું ભગીરથ કાર્ય હાથ ધર્યું છે.

વર્ષ ૨૦૨૦ની ૨૦મી નવેમ્બર એક મહત્વનો દિવસ ત્યારે રહ્યો જ્યારે સત્ય સાંઈ હાર્ટ હોસ્પિટલ અને ઓડિશા રાજ્ય સરકાર વચ્ચે સમજૂતી કરાર આવનારા બે વર્ષ માટે લંબાવવામાં આવ્યો જે બે વર્ષ અગાઉ એટલે કે ૧૮ નવેમ્બર ૨૦૧૮ના રોજ પહેલીવાર થયો હતો. સત્ય સાંઈ હાર્ટ હોસ્પિટલ, અમદાવાદ ખાતે ઓડિશા રાજ્યને તેના આર્થિક રીતે પછાત વર્ગના અને જરૂરિયાતમંદ બાળકોના હૃદયની ખામી દૂર કરતી કાર્ડિયાક સર્જરી તદ્દન નિ:શુલ્ક રીતે કરાવવાની તક મળશે.

સત્ય સાંઈ હાર્ટ હોસ્પિટલ ખાતે અત્યાર સુધી ઓડિશા રાજ્યના ૧૦૧૯ બાળકોની નિ:શુલ્ક સફળ સર્જરી થઈ ચૂકી છે અને હવે ભવિષ્યમાં વધુ પરિવારો તેમના બાળકોના ખિલખિલાટ ચહેરા જોઈ શકશે.

Img 20201126 Wa0016

આ પ્રસંગે ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયક,  ન્યાયમૂર્તિ વિનીત સરન (સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ), ન્યાયમૂર્તિ  મોહમ્મદ રફિક (ઓડિશા હાઇકોર્ટના ન્યાયમૂર્તિ), ન્યાયમૂર્તિ (નિવૃત્ત)  કલ્પેશ ઝવેરી, અધિક મુખ્ય સચિવ (સ્વાસ્થ્ય વિભાગ, ઓડિશા સરકાર) અને એમડી (એનએચએમ) તથા અન્ય સરકારી અધિકારીઓ ઉપસ્થિત હતા.

ઓડિશા સરકારે ૧૮ નવેમ્બર ૨૦૧૮ના રોજ રાજ્યના બાળકોના હૃદયમાં રહેલી ખામીને દૂર કરવા માટે એક ડગલું આગળ વધવાનો નિર્ણય કર્યો હતો. સમજૂતી કરાર મુજબ ઓડિશા સરકાર જરૂરિયાતમંદ બાળકોને શોધીને તેમના પરિવહનનો ખર્ચ ભોગવશે. એક ઉમદા માનવ સેવાને અનુસરીને તેને આગળ વધારતાં સત્ય સાંઈ હાર્ટ હોસ્પિટલે આ બાળકોની સર્જરી તદ્દન નિ:શુલ્ક અને તે પણ પ્રેમ, નિ:સ્વાર્થ સમર્પણ અને ૧૦૦ ટકા તબીબી સંભાળ સાથે કરી આપવાનો નિર્ણય કર્યો હતો.

કોવિડ મહામારીના સમયગાળા દરમિયાન પણ હોસ્પિટલ દૈવી કૃપા સાથે કામ કરી રહી હતી. હવે ધીરેધીરે ફરી એકવાર ઓડિશાથી બાળકો આવવાના શરૂ થશે.

સત્ય સાંઈ હાર્ટ હોસ્પિટલના મેનેજિંગ ટ્રસ્ટી મનોજ ભીમાણીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, “હૃદયની બીમારીઓથી મુક્ત સમાજનું સર્જન કરવા માટે અમારી હોસ્પિટલે નાના બાળકોના હૃદયની ખામી દૂર કરવાનું એક અભિયાન છેડ્યું છે.

ઓડિશા રાજ્ય સ્વામીજી અને સાંઈ હોસ્પિટલના હૃદયની અત્યંત નજીક હતું અને ઓડિશાના બાળકો પણ ખુબ જ ખાસ છે. ઓડિશા રાજ્ય સાથે હોસ્પિટલે સૌથી પહેલી સમજૂતી કરી હતી અને એ પછી રાજસ્થાન અને મધ્ય પ્રદેશ સરકાર સાથે પણ આ પ્રકારની સર્જરી કરવાની સમજૂતી પર હસ્તાક્ષર થયા છે.

ન્યાયમૂર્તિ મોહમ્મદ રફિકજીએ જણાવ્યું હતું કે, માનવતાની સેવા એ જ સર્વોચ્ચ ધર્મ છે અને સાંઈ હાર્ટ હોસ્પિટલ આ નિ:સ્વાર્થ સેવાનું સર્વોત્તમ ઉદાહરણ છે. આ દિશામાં અથાગ પ્રયાસો કરવા બદલ તેમણે હોસ્પિટલ તથા ઓડિશા સરકારના મક્કમ નિર્ધારના વખાણ કર્યા હતા.

આ ઉમદા કાર્ય સાથે ઘનિષ્ઠ રીતે જોડાયેલા ન્યાયમૂર્તિ (નિવૃત્ત)  કલ્પેશ ઝવેરીએ અદ્દભૂત રાજ્ય ઓડિશાના સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ માટે શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, સાંઈ હાર્ટ હોસ્પિટલ કોઈપણ પ્રકારની અપેક્ષા વગર બાળકોના હૃદયની ખામીઓ દૂર કરવા માટે સંપૂર્ણ રીતે સમર્પિત છે.

સર્જરી અને સર્જરી થાય એ પહેલા તથા એ પછીની સારસંભાળ સંપૂર્ણપણે નિ:શુલ્ક કરવામાં આવે છે. જ્યારે બાળક અને તેમની સાથે પ્રશાંતિ મેડિકલ સર્વિસિઝ એન્ડ રિસર્ચ એન્ડ ફાઉન્ડેશન સુધી આવનારા તેમના સ્વજનનો પરિવહનનો ખર્ચ ઉઠાવી ઓડિશા સરકાર મહત્વની મદદ પૂરી પાડે છે.

સમજૂતી કરાર રિન્યૂ થવાથી માનવતાની સર્વોત્તમ સેવા કરવાના લક્ષ્ય તરફ વધુ એક પગલું સમીપ જશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.