Abtak Media Google News

થાઈલેન્ડ ગુફામાંથી વૈજ્ઞાનિક ઢબે ૧૨ બાળકો અને તેમના ફુટબોલ કોચને સહી સલામત રીતે બહાર કાઢવાના કાર્યમાં ભારતીય નિષ્ણાંતનો મહત્વનો ફાળો

થાઈલેન્ડની ગુફામાં ફસાયેલા તમામ બાળકો અને તેમના કોચને સહિ સલામત બહાર કઢાયા છે. રેસ્કયુ ઓપરેશન સકસેસફુલ નીવડયું છે. પાછલા બે અઠવાડિયાથી ગુફામાં ફસાયેલા તમામને બચાવવા યુદ્ધસ્તર પર રેસ્કયુ ઓપરેશન ચાલી રહ્યું હતું. સમગ્ર દુનિયામાં આ ફુટબોલ બાળકો અને તેમના કોચ માટે દુવાઓ થઈ રહી હતી ત્યારે ગઈકાલે ખબર આવી હતી કે રેસ્કયુ ટીમે થાઈલેન્ડ ગુફામાંથી તમામનો અદભુતપૂર્વ બચાવ કરી લીધો છે. આ બચાવ કાર્યમાં એક ભારતીય નિષ્ણાંતનો મહત્વનો ફાળો રહ્યો છે. થાઈ નેવી સીલ યુનિટે પોતાના ફેસબુક પેઝ પર જણાવ્યું છે કે, તમામ ૧૨ બાળકો અને તેમના કોચને ગુફામાંથી સુરક્ષિત રીતે બહાર કાઢી લેવાયા છે ત્યારબાદ એમ્બ્યુલન્સ દ્વારા તમામ બાળકોને હોસ્પિટલ ખસેડાયા હતા.

ઉલ્લેખનીય છે કે, ૨૩ જુનના રોજ ૨૫ વર્ષીય ફુટબોલ કોચ એકાપોલ-ચાનર્થ્વાગ ૧૧ થી ૧૬ વર્ષના ૧૨ બાળકોની ટીમ વાઈલ્ડ બોર્સ સાથે પ્રેકિટસ કરી પાછા ફરી રહ્યા હતા તે સમયે ભારે વરસાદથી થતા પોતાના આત્મસંરક્ષણ અર્થે તેઓ થાઈ ગુફામાં રોકાયા હતા પરંતુ અતિભારે વરસાદથી ગુફામાં પણ પાણી ભરાઈ ગયું અને તેઓ ખરાબ રીતે ફસાઈ ગયા હતા. ૨૩ જુનથી ગઈકાલે આ તમામને બહાર કઢાયા હતા. આ અગાઉ સોમવાર સુધી ૮ બાળકોને બહાર કઢાયા હતા પરંતુ કોચ સહિત પાંચ બાળકો ગુફામાં ૪ કિલોમીટર અંદર ફસાયેલા હતા. તેથી તેઓને બચાવવું ઘણુ મુશ્કેલ હતું. આમાંથી બે બાળકોને ન્યુમોનિયા પણ થઈ ગયું છે. ૧૭ દિવસથી બાળકો અને કોચ ભુખ્યા હતા હવે બહાર નિકળીને તમામ બાળકો પુરા છે.

જણાવી દઈએ કે, આ અદભૂતપૂર્વ રેસ્કયુ વિજ્ઞાનની મદદથી કરાયું છે જેમાં સિંહ ફાળો એક ભારતીય નિષ્ણાંતનો પણ રહેલો છે. જેઓએ પુનાના હેડકવાર્ટરમાંથી ઘણા ટેકનીકલ મદદ પુરી પાડી હતી. ભારતીય દુતાવાસે ક્રિલોરકર બ્રધર્સ લીમીટેડસના નિષ્ણાંતોની મદદ લેવાની ભલામણો કરતા આ ઓપરેશન સફળ રીતે પાર પડાયું છે. આ વિશે થાઈલેન્ડના નેવી સીલ યુનિટે કહ્યું કે, આ ચમત્કાર, વિજ્ઞાન કે કંઈ બીજુ છે તે વિશે અમે ચોકકસ નથી પરંતુ તમામ લોકોનો જીવ બચી જતા બધા ખુશ છીએ.

 

થાઈલેન્ડ ગુફામાંથી બચાવકાર્ય શા માટે અઘરૂ?

થામ લુઆંગ નાંગ નોન ગુફામાંથી ફુટબોલ ટીમનું રેસ્કયુ ઓપરેશન ખુબ જ અઘરું છે. આ પાછળના ઘણા મહત્વના કારણો છે. થાઈ ગુફા ૧૦ કિલોમીટર લાંબી છે જે થાઈલેન્ડની ચોથી સૌથી મોટી ગુફા છે અને થાઈલેન્ડ તેમજ મ્યાનમારની સીમાની વચ્ચે આવેલા દોઈ નાંગ નોન પર્વત શૃંખલા નીચે આવેલી છે. ગુફાની અંદર ઘટ્ટ અંધારું છે તેમજ રસ્તો એટલો સાંકડો છે કે એક માણસને નીકળવું પણ મુશ્કેલ છે અને તેમાં પણ વરસાદી માહોલમાં ગુફામાં પાણી ઘુસી જતા મુશ્કેલી વધુ ઘેરી બને છે અને આજ કારણસર જુલાઈથી નવેમ્બર સુધી ગુફામાં કોઈપણને જવા દેવામાં આવતા નથી. પરંતુ ભારે વરસાદની સ્થિતિ સામે સ્વબચાવ માટે ફુટબોલ ટીમ ગુફામાં પ્રવેશી હતી ત્યારબાદ બહાર નિકળી શકી ન હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.