Abtak Media Google News

૮.૨૮ લાખ ખેડુતોને રૂ.૬૧૭.૯૨ કરોડ ની રકમ તેમના ખાતા માં સીધી જમા કરાવી દેવાઈ

નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યુ છે કે, ગુજરાતમાં આ વર્ષે લાંબા સમય સુધી છેલ્લા દાયકાઓમાં ન થયેલ હોય તેવો વરસાદ થયો છે. આ વરસાદને કારણે ઘણા વિસ્તારોમાં ખેતીને ફાયદો થયો છે અને કેટલાક વિસ્તારોમાં પાકને નુકશાન પણ થયુ છે. જેને ધ્યાને લઇને રાજય સરકારે ખેડૂતોને પાક નુકશાની સંદર્ભે સહાયરૂપ થયા રૂા.૩૭૯૫ કરોડની માતબર રકમનું પેકેજ જાહેર કર્યુ હતુ. આ પેકેજનો લાભ લેવા માટે ઓનલાઇન અરજી કરવા તા.૩૧ ડીસેમ્બર ૨૦૧૯ નિયત કરાઇ હતી પરંતુ બાકી રહી ગયેલા ખેડૂતો આ પેકેજનો લાભ લઇ શકે તે માટે આ મુદ્દત હવે ૧૪ જાન્યુઆરી ૨૦૨૦ સુધી લંબાવવામાં આવી છે. તો બાકી રહેલા ખેડૂતોએ સમયસર ઓનલાઇન અરજી કરી પેકેજનો લાભ લેવા રાજય સરકાર દ્વારા અનુરોધ કરાયો છે.

7537D2F3

નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે ઉમેર્યું કે, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી રાજય મંત્રીમંડળની બેઠકમાં ખેડૂતોના હિત માટેનો આ મહત્વનો નિર્ણય લેવાયો છે. તેમણે ઉમેર્યું કે, અત્યાર સુધીમાં કુલ ૩૦.૨૮ લાખ ખેડૂતોએ ઓનલાઇન અરજી કરી છે તે પૈકી ૮.૨૮ લાખ ખેડૂતોને રૂા.૬૧૭.૯૨ કરોડની સહાય ખેડૂતોના ખાતામાં સીધે સીધી આર.ટી.જી.એસ. દ્વારા જમા કરાવી દેવામાં આવ્યા છે બાકી રહેતા ખેડૂતોની અરજીની ચકાસણીની કામગીરી ચાલુ હોઇ, તે ખેડૂતોને પણ સત્વરે સહાય ચૂકવી દેવામાં આવશે. આ માટે નાણાં વિભાગ દ્વારા સંબંધિત જિલ્લા કલેકટરઓને નાણાંની ફાળવણી કરી દેવામાં આવી છે.

પટેલે ઉમેર્યું કે, એક ઇંચથી વધુ વરસાદ પડેલ રાજ્યના ૨૯ જિલ્લાના ૧૨૫ તાલુકાના અંદાજીત ૯૪૧૬ ગામના અંદાજે ૨૮.૬૧ લાખ ખેડુત ખાતેદારોને એસ.ડી.આર.એફ. ના ધોરણ મુજબ હેક્ટર દીઠ રૂ.૬૮૦૦/- લેખે વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં અંદાજે રૂ.૨૪૮૧ કરોડની સહાય અપાશે. તે જ રીતે રાજ્યના ૨૩ જિલ્લાના અંદાજે ૪૨ તાલુકા એવા છે કે જ્યાં તાલુકા મથકે ઓછો વરસાદ નોંધાયો છે પરંતુ કૃષિ વિભાગના ક્લસ્ટરમાં મુકાયેલ ઓટોમેટીક વેધર સ્ટેશનના આંકડા મુજબ એક ઇંચથી વધુ વરસાદ નોધાયેલ છે. આ તાલુકાઓના અંદાજીત ૧૪૬૩ ગામના અંદાજીત ૪.૭૦ લાખ ખેડુત ખાતેદારોને એસ.ડી.આર.એફ. ના ધોરણ મુજબ હેક્ટર દીઠ રૂ.૬૮૦૦/- લેખે વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં અંદાજીત રૂ.૩૯૨ કરોડની સહાય ચૂકવાશે અને આ તાલુકાના બાકી રહેતા  અંદાજિત ૧૬૭૬ ગામો કે જ્યાં એક ઇંચથી ઓછો વરસાદ પડેલ છે તેવા અંદાજીત ૫.૯૫ લાખ ખેડૂત ખાતેદારોને ખાતા દીઠ રૂ.૪૦૦૦/- લેખે અંદાજિત રૂ. ૨૩૮ કરોડની સહાય અપાશે. રાજ્યના ૨૧ જિલ્લાના બાકી રહેતા ૮૧ તાલુકાના ૫૮૧૪ ગામોમાં પણ છુટા છવાયા કમોસમી વરસાદથી નુકશાન થયેલ હોય, રાજ્ય સરકારે ઉદારનીતિ અપનાવી આ ૮૧ તાલુકાનાં અંદાજીત ૧૭.૧૦ લાખ ખેડુત ખાતેદારોને ખાતા દીઠ રૂ.૪૦૦૦/- લેખે રૂ. ૬૮૪ કરોડની સહાય અપાશે.

7537D2F3

તેમણે ઉમેર્યું કે, રાજયના કુલ ૩૩ જિલ્લાના ૨૪૮ ગ્રામ્ય તાલુકાઓના અંદાજીત ૧૮૩૬૯ ગામોના અંદાજીત ૫૬.૩૬ લાખ ખેડૂત ખાતેદારોને રૂ. ૩૭૯૫ કરોડનું માતબર પેકેજ મંજૂર કરવામાં આવ્યું છે. અત્રે ખાસ નોંધપાત્ર હકીકત એ છે કે ગુજરાત રાજયમાં રાજ્યની સ્થાપનાથી માંડી આજ સુધીમાં પ્રથમ વખત રાજ્યના બધા જ તાલુકાના બધાજ ખાતેદાર ખેડૂતોને રાજ્ય સરકારે આર્થિક સહાય કરી હોય તેવું આ પ્રથમ સહાય પેકેજ છે. કુલ રૂ. ૩૭૯૫ કરોડના આ સહાય પેકેજમાં એસ.ડી.આર.એફ. અંતર્ગત રૂ.૨૧૫૪ કરોડ અને રાજ્યના બજેટમાથી રૂ. ૧૬૪૧ કરોડ ચૂકવાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.