Abtak Media Google News

માનસ-વૃંદા રામકથાના છઠ્ઠા દિવસે પૂજય બાપુએ શ્રીમદ્દ ભાગવતને સુક્ષ્મ સ્પર્શ કરી કૃષ્ણ-રૂકમણીના સ્નેહ સંબંધનું વર્ણન કર્યુ હતું.

સોરઠનાં પરમ પવિત્ર તીર્થ શ્યામધામ ખાતે “માનસ-વૃંદા” રામકથાના છઠ્ઠા દિવસની કથાનાં ગાનનો આરંભ કરતા પૂજ્ય બાપુએ શ્રીમદ ભાગવતનો સુક્ષ્મ સ્પર્શ કરતા, તલગાજરડી અદામાં શ્રીકૃષ્ણ અને રુકમિણીના સ્નેહ સંબંધનું વર્ણન કર્યું. વિદર્ભરાજ સમ્રાટ ભીષ્મકને સંતાનમાં પાંચ કુમાર અને એક ક્ધયા હતાં. સુશીલ અને સુંદર એવી ક્ધયા રુક્મિણી પોતાની કૌમૌર્યાવસ્થાના પ્રારંભથી જ ભગવાન શ્રીકૃષ્ણને સમર્પિત થઈ જાય છે. જેને કદી જોયા નથી, કોઈ સંપર્ક કે સંવાદ નથી, તેમ છતાં અંતર્-દ્રષ્ટા, અંતર્ જ્ઞાની અને અંતર્યામી ભગવાન કૃષ્ણ પણ રુકમિણીનું પોતાના મનથી સ્મરણ કરતા રહે છે.

બાપુએ રૂક્મિણીએ શ્રીકૃષ્ણ લખેલ પત્રના બે શ્લોકનું પઠન કર્યું. બાપુએ મહુવાના ભવાનીમાતાનાં મંદિરેથી અપહરણ કર્યું હોવાની લોક વાયકાનો પણ ઉલ્લેખ કર્યો. બાપુએ અપહરણના સંદર્ભમાં કહ્યું કે માતા સીતાએ રાવણને સંદેશો નહોતો મોકલ્યો, છતાં તે સીતાનું અપહરણ કરે છે -તે આસુરીવૃત્તિ છે. જ્યારે રૂક્મિણીજી તો શ્રીકૃષ્ણને નિમંત્રણ મોકલે છે.

પૂજ્ય બાપુએ કહ્યું કે રામચરિત માનસમાં આઠ સ્થાને વૃંદા- તુલસીનો ઉલ્લેખ છે. આ ચોપાઈઓનું ગાન કરીને બાપુએ કહ્યું કે માનસના સાત કાંડ પૈકી કિષ્કિંધાકાંડમાં તુલસીનો ઉલ્લેખ નથી, કારણ કે ત્યાં સતિ તારા ખુદ જ વૃંદા- તુલસી સ્વરૂપા છે. એ જ રીતે લંકાકાંડમાં પણ તુલસીનો ઉલ્લેખ નથી. કારણકે ત્યાં તો તુલસી સ્વરૂપા- ભક્તિ સ્વરૂપા- માતા સીતા સાક્ષાત્ અશોકવાટિકામાં બેઠા છે. ઉપરાંત રાવણપત્ની સતિ મંદોદરી પણ તુલસી સ્વરૂપા છે, એટલે ત્યાં તુલસીનો ઉલ્લેખ નથી.

સુંદરકાંડના સંદર્ભમાં- લંકામાં પ્રવેશ કરતાં હનુમાનજી વિભીષણનાં ઘરે તુલસીના વૃંદ જુએ છે.

અહીં ’રામાયુધ’ શબ્દનો પ્રયોગ છે. બાપુએ કહ્યું કે આપણાં બધાં જ દેવદેવીઓના હાથમાં વિવિધ પ્રકારનાં શસ્ત્રો છે. પરંતુ એ શસ્ત્રો શાસ્ત્રોનું સૂચન કરે છે.

ભગવાન રામે ધર્મરથમાં જે આયુધોનું વર્ણન કર્યું છે, એ બધા વિભીષણનાં ઘરની દિવાલ પર ચિત્રિત થયેલાં છે.

જેમાં- ઢાલ વૈરાગ્યનું, કૃપાણ સંતોષનું, ફરસો દાનનું અને તલવાર કુશાગ્ર બુદ્ધિનું પ્રતિક છે. ધનુષ્ય શ્રેષ્ઠ વિજ્ઞાનનું પ્રતિક છે.

પૂજ્ય બાપુએ કહ્યું કે તલગાજરડાની દ્રષ્ટિએ રામચરિત્ માનસમાં નવ વખત તુલસી છે. આઠ વખત ચોપાઈઓ રૂપે એનો ઉલ્લેખ છે. નવમા તુલસી પ્રચ્છન્ન રૂપે છે. રામચરિતમાનસ પોતે જ જંગમ તુલસી તરુવર છે- માનસ જ વૃંદા છે.આ પ્રગટ તુલસી નથી  પ્રછન્ન તુલસી છે- પૂર્ણ તુલસી છે. એને જળ પાવું નથી પડતું. એનો પાઠ કરવો. માનસમાં અઢાર પ્રકારની ભક્તિનું વર્ણન છે, ભક્તિની વિધાઓનાં અઢાર નામ છે. પરમ સતિ વૃંદામાં આ અઢારે પ્રકારની ભક્તિનાં દર્શન થાય છે.

કથાનાં સમાપનમાં પૂજ્ય બાપુએ કહ્યું કે “કોરોના કાળમાં કથા વેક્સિન છે”. રામકથા ભવરોગની ઔષધિ છે. હરિનામ સંકીર્તન સાથે પૂજ્ય બાપુએ આજની કથા માં પોતાની વાણીને વિરામ આપ્યો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.