રૂ.૫૦૦ની ચોરી કરી હોવાની શંકા કરી ૧૦ થી ૧૨ સિનિયર વિદ્યાથીઓએ માર મારતા કિશોરની હાલત ગંભીર
આદર્શ નિવાસી શાળાની હોસ્ટેલમાં છાત્રને ૧૦ દિવસ ગોંધી રખાયો છતા સંચાલકો સમગ્ર બનાવથી અજાણ
રાજુલામાં આવેલ આદર્શ નિવાસી શાળામાં ધો.૯માં અભ્યાસ કરતા મહુવા તાલુકાના રાણીવાડા ગામના કેશાભાઈ ધાપાના પુત્ર વિજયભાઈ ધાપા (ઉ.વ.૧૫)ને આદર્શ નિવાસી શાળાની હોસ્ટેલમાં રહેતા અન્ય સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા ઢોર માર મારીને ૧૦ દિવસ જેટલા સમય માટે ગોંધી રાખેલ હતો અને તેને ધમકી પણ મારેલ હતી કે કોઈને ફરિયાદ કે કોઈપણ કહીશ તો હજુ પણ અમો મારીશું. આ વિદ્યાર્થીને માર મારવામાં આવતા તેને રાજુલા હોસ્પિટલમાં દાખલ કરેલ અને તેને કીડનીમાં તકલીફ થયેલ હોય જેથી ભાવનગર રીફર કરેલ છે.
આ અંગેની જાણવા મળેલ હકિકત મુજબ વિજય કેશાભાઈ ધાપા કે જેઓ જાતે કોળી છે અને આજ હોસ્ટેલમાં રહેતા બીજા સિનિયર ૧૦ થી ૧૨ વિદ્યાર્થીઓ દ્વારા વિજયને ઢોર માર મારેલ અને ૧૦ દિવસ સુધી ગોંધી રાખેલ પરંતુ આ આદર્શ નિવાસી શાળાના પ્રિન્સીપાલ તેમજ શિક્ષકો દ્વારા આ વિદ્યાર્થી કયાં છે તેની કોઈ દરકાર કરેલ નથી. આદર્શ નિવાસી હોસ્ટેલમાં પણ પ્રિન્સિપાલ અને હોસ્ટેલ સંચાલકોની બેદરકારી સામે આવેલ છે. જયારે આ અંગેની પોલીસ ફરિયાદમાં જણાવેલ વિગત મુજબ એક વિદ્યાર્થીના ૫૦૦ ખોવાયેલ હોય જે પૈસા બાબતે ખોટી શંકા કરીને આ વિદ્યાર્થીને ઢોર માર મારેલ છે.આ અંગે વધુ જાણવા મળેલ વિગત મુજબ વિજય ધાપા સામાન્ય પરીવારમાંથી આવે છે અને જ્ઞાતિએ કોળીને તથા તેને માર મારવા વાળા સિનિયર વિદ્યાર્થીઓ પણ તેજ જ્ઞાતિ હોય અમુક રાજકીય આગેવાનો આવા બનાવમાં પણ તેના પિતા કેશાભાઈ ધાપાને દબાણ કરી રહ્યાનું જાણવા મળેલ છે. આ બનાવની યોગ્ય તટસ્થ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠેલ છે અને જવાબદાર પ્રિન્સીપાલ અને સંચાલકો સામે પણ બેદરકારી દાખવવા અંગે પગલા ભરવાની માંગણી ઉઠેલ છે.