Abtak Media Google News

એક વર્ષમાં ૭૬૨૪૦ યુનિટની બચત કરીને રેલવેને રૂ.૫.૫૧ લાખનો ફાયદો કરાવ્યો

રાજકોટ મંડળને ઉર્જા સંરક્ષણ માટે ઉજા મંત્રાલયના બ્યૂરો ઓફ એનર્જી એફિશિયન્સી વિભાગ દ્વારા ૨૦૨૦ માટે ઓફિસ બિલ્ડિંગ કેટેગરીમાં ડીઆરએમ ઓફિસ કાર્યાલય-રાજકોટને રાષ્ટ્રીય સ્તર પર દ્વિતિય પુરસ્કાર મળ્યો છે. રાજકોટ ડિવિઝનના સીનીયર ડીસીએમ અભિનવ જેફએ જણાવ્યુ કે મંડળ રેલ પ્રબંધક પરમેશ્ર્વર ફૂંકવાલના ઉર્જાવાન નેતૃત્વ અને કુશળ માર્ગદર્શનમાં રાજકોટ ડિવિઝનને આ સફળતા મળી છે.

નવી દિલ્હી ખાતે વિજ્ઞાન ભવનમાં આયોજિત સમારોહમાં રાજયમંત્રી પાવર એન્ડ રિન્યુએબલ એનર્જી આર.કે.સિંહ દ્વારા વર્ચ્યુઅલ માધ્યમથી રાજકોટ મંડળ રેલ પ્રબંધક પરમેશ્ર્વર ફૂંકવાલને આ પુરસ્કાર પ્રદાન કરવામાં આવ્યો હતો. આ અવસરે પશ્ર્ચિમ રેલવેનાં મહાપ્રબંધક આલોક કંસલ અને રાજકોટ મંડળના વિજ એન્જિનીયર અર્જુન એ. શ્રોફ પણ વર્ચ્યુઅલ માધ્યમથી ઉપસ્થિત રહ્યા હતા. ઉર્જા બચાવના ક્ષેત્રે કાર્યરત રાજકોટ વિભાગના તમામ સ્ટેશનો, સર્વિસ બિલ્ડિંગ સ્ટાફ ગૃહોએ કાર્યક્ષમ એલઈડી, બીએલડીસી પંખા, એ.સી. પંપ, વોટરકૂલર લગાડવામાં આવ્યા છે. વિભાગીય રેલવે મેનેજરની ઓફિસમાં વિવિધ ઉર્જા સંરક્ષણનાં કામોને લીધે વર્ષ ૨૦૧૯-૨૦માં ૭૬૨૪૦ હજાર યુનિટ વીજ વપરાશમાં બચત થઈ હતી. પરિણામે ૫.૫૧ લાખની બચત થઈ છે.

રાજકોટ ડિવિઝન પણ આગામી વર્ષોમાં ઉર્જા કાર્યક્ષમતા અને સ્વચ્છ વાતાવરણમાં સુધારો લાવવા માટે સતત પ્રતિબધ્ધ અને પ્રયત્નશીલ રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.