Abtak Media Google News

વહેલી સવારે લાગેલી આગ ઠારવા ફાયર બ્રીગેડના ૩પ ફાયર ફાઇટર સાથે સ્ટાફ દોડી ગયો : સદ્દનશીબે કોઇ જાનહાની ન થઇ

રાજકોટ પાંજરાપોળમાં ગોડાઉનમાં વહેલી સવારે ભીષણ આગ ફાટી નીકળતા રૂપિયા ૨૦ લાખનું ઘાસ બળીને ખાખ થઇ ગયું હતું. બનાવના પગલે ફાયર બ્રિગેડના ૩૫ થી વધુ ફાયર ફાઇટરો સાથેનો કાફલો ઘટના સ્થળે દોડી જ આગને કાબુમાં કરવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.

આ અંગેની વિગત મુજબ રાજકોટમાં સામા કાંઠે ભાવનગર રોડ પાસે આવેલા રાજકોટ મહાજનની પાંજરાપોળની બાજુમાં આવેલ કડબના ગોડાઉનમાં વહેલી સવારે કોઇ કારણોસર ભીષણ આગ ફાડી નીકળી હોવાની જાણ સીકયુરીટીમેને પાંજરાપોળના મેનેજર અરુણભાઇ દોશીને કરતા તેઓએ ફાયર બ્રીગેડને જાણ કરતા ૩પ થી વધુ ફાયર ફાઇટરો સાથેનો કાફલો ધટના સ્થળે દોડી આવી પાણીનો મારો ચલાવી આગને ઠારવા પ્રયાસો કરવામાં આવ્યા હતા.

પાંજરાપોળના ગોડાઉનમાં આશરે રૂપિયા  ૨૦ લાખની કિંમતની કડબની ૧૫૪૬ ગાસડીઓ ભીષણ આગના કારણે બળીને ખાખ થઇ ગયો હતો. બનાવ અંગે પાંજરાપોળના ટ્રસ્ટી યોગેશભાઇ શાહ સાથે સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે સદનસીબે કોઇ જાનહાની થઇ ન હતી અને આગ કેવી રીતે લાગી છે તે અંગે કોઇ માહીતી નથી જયારે પાંજરાપોળના ગોડાઉનમાં કોઇ લાઇટ કનેકશન ન હોવા છતાં આગ કેવી રીતે લાગી તે અંગે તપાસ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.