Abtak Media Google News

મચ્છરોના બ્રિડીંગને અટકાવવા તથા તેના નાશ માટે ફોગીંગ, દવા છંટકાવ, લીમડાનો ધુમાડો કરાયો: વનસ્પતિ દુર કરવા કામ કરતી એજન્સીઓ દ્વારા ગાંડીવેલનો જડમુળથી નિકાલ શરૂ

રાજકોટ માર્કેટીંગ યાર્ડ મચ્છરો મામલે આજે સતત ત્રીજા દિવસે બંધ રહેવા પામશે.મચ્છરો હટાવવાનો વિરોધ સતત ચાલુ રહેતા ગઈ કાલે કલેકટર કોર્પોરેશન સહિતની ટીમ માર્કેટીંગ યાર્ડ ખાતે પહોંચી હતી અને આ સમસ્યાનો કાયમી નિવેડો લાવવા પગલા ભર્યા હતા.ગઈકાલે આ અંગે અધિકારીઓના બેઠક મળ્યા બાદ ગઈકાલથી જ મચ્છરોને હટાવવાની કામગીરી શરૂ કરવવામાં આવી છે.

મચ્છરોનો ત્રાસ તાત્કાલિક દુર થાય તે માટે ગઈકાલે સાંજે જ મચ્છરોના બ્રિડીંગને અટકાવવા તથા તેના નાશ માટે ફોગીંગ,દવા છંટકાવ અને લીમડાનો ધુમાડો સહિતની કામગીરી હાથ ધરવામાં આવી હતી.આ ઉપરાંત ગઈ કાલે જ વનસ્પતિ હટાવવાનું કામ કરતી એજન્સીઓનો સંપર્ક કરી એજન્સીઓ મારફત નદી ઉપરાંત આસપાસમાં ઉગી નીકળેલ ગાંડીવેલને દુર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.આ ગાંડીવેલ દુર થતાં મચ્છરોની કાયમી સમસ્યા હલ થશે.મચ્છરોનો ત્રાસ માત્ર માર્કેટીંગ યાર્ડના વેપારીઓ, મજૂરો, ખેડુતો પૂરતો જ નથી પરંતુ બેડી ગામ તેમજ આસપાસનાં વિસ્તારમાં પણ આ મચ્છરોનો અસહ્ય ત્રાસ છે.મચ્છરો મામલે વેપારીઓ, મજૂરો, દલાલોના હિંસક આંદોલન બાદ પોલીસે ૨૫ જેટલા વેપારીઓની ધરપકડ કરી હતી. અને આ અટકાયત કરેલા તમામ વેપારીઓએ રાત લોકઅપમાં વિતાવી હતી. તેમજ ગઈકાલે રાત્રે તેઓને છૂટા કરવામાં આવ્યા હતા.ઉગ્ર દેખાવ બાદ વેપારીઓ ગઈકાલે જ મૂકત થતા આજે રાજકોટ માર્કેટીંગ યાર્ડ બંધ રહેશે. યાર્ડ આજે સતત ત્રીજા દિવસે બંધ રહેવા પામતા કરોડોનું ટર્ન ઓવરા ખોરવાયું છે. તેમજ ખેડુતો પણ પોતાનો માલ સમયસર નહિ વેચી શકતા મુશ્કેલીમાં મૂકાયા છે. જોકે આવતીકાલથી માર્કેટીંગ યાર્ડ રાબેતા મુજબ શરૂ થવાની શકયતા છે.

Admin

આજુબાજુના ગ્રામ્ય વિસ્તારને પડતી હાલાકી પણ દુર કરવામાં આવશે:કલેકટર

આ અંગે જણાવતાં જિલ્લા કલેકટર રેમ્યામોહન જણાવે છે કેઆ બાબતને વહિવટીતંત્રએ ખુબ જ ગંભીરતાથી લીધી છે અને વહિવટીતંત્ર, કોર્પોેરેશન, જિલ્લા પંચાયત,આરોગ્ય,સિંચાઈ તથા તમામ વિભાગોની નિષ્ણાંતોની ટીમોને સક્રિય કરી દેવામાં આવી છે.આ વનસ્પતિને દુર કરવા માટે  આ ક્ષેત્રે કામ કરતી એજન્સીઓ અને નિષ્ણાંતોનો સંપર્ક કરી તેમની સહાય લેવામાં આવશે.આ ઉપરાંત સ્થાનિક નિષ્ણાંતો, પેસ્ટકંટ્રોલ મેલેરીયા વિભાગ દ્વારા મચ્છરોના બ્રિડીંગને અટકાવવા તથા તેના નાશ માટે ફોગીંગ દવાના છંટકાવ તથા લીમડાના ધુમાડા કરવા જેવી પ્રવૃતિ તાત્કાલિક હાથ ધરવામાં આવી છે. આ સાથે તમામ જળજન્ય વનસ્પતિને દુર કરવામાં આવશે તથા આજુબાજુના ગામડા અને વિસ્તારોને પડતી હાલાકી પણ દુર કરવામાં આવશે.મચ્છરો કયુલેકસ પ્રજાપતિના છે.

જે વાહકજન્ય બિમારી ડેંગ્યુ, ચિકન ગુનીયા, મેલેરીયાને ફેલાવતા નથી.આમ છતાં આ બાબતને અતિ ગંભીર ગણીને તેનું નિવારણ કરવા તંત્ર કટ્ટીબધ્ધ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.