Abtak Media Google News

ઘર પાસે જ બે અજાણ્યા શખ્સોએ છરીના ઘા ઝીંકી વેતરી નાખ્યો

શહેરના કોઠારિયા સોલવન્ટ પાસે આવેલા રસુલપરા બરકતીનગરમાં મોડીરાતે રિક્ષા ચાલક યુવાન પર બે અજાણ્યા શખ્સોએ છરીથી હુમલો કરી હત્યા કરી ફરાર થયાની પોલીસમાં ફરિયાદ નોંધાતા તાલુકા પોલીસે હત્યાનો ભેદ ઉકેલવા તપાસ હાથધરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રસુલપરા નજીક આવેલા બરકતીનગરમાં ચારેક દિવસ પહેલાં જ રહેવા આવેલા મૈસુરઅલી યાકુબઅલી પીંજારા નામના ૨૫ વર્ષના રિક્ષા ચાલક યુવાન તેના ઘરે હતો ત્યારે બે અજાણ્યા શખ્સોએ તેને બહાર બોલાવી છરીથી હુમલો કરી હત્યા કર્યાની તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.

મૈસુરઅલી પીંજારા પર બે અજાણ્યા શખ્સોએ છરીથી હુમલો કરતા ગંભીર રીતે ઘવાતા તેને સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો જ્યાં તેને વધુ પ્રમાણમાં લોહી વહી ગયું હોવાથી મોત નીપજ્યાનું ફરજ પરના તબીબે જાહેર કર્યુ હતું.

તાલુકા પોલીસ મથકના પી.આઇ. વી.એસ.વણઝારા, પી.એસ.આઇ. સોલંકી અને હર્ષદસિંહ ચુડાસમા સહિતના સ્ટાફે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથધરતા પોલીસની પ્રાથમિક તપાસમાં હત્યા પાછળ જમીનનો ડખ્ખો કારણભૂત હોવાનું બહાર આવ્યું છે. આમ છતાં હત્યા કોણે અને શા માટે કરી તે અંગે વધુ વિગતો મેળવવા પોલીસે રસુલપરા વિસ્તારમાં સઘન તપાસ હાથધરી છે. મૃતક મૈસુરઅલીને દારૂ પીવાની ટેવ હોવાનું અને તેને ત્રણ પુત્ર હોવાનું પત્ની નુરજહાએ જણાવ્યું છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.