Abtak Media Google News

આવતીકાલનું ખાતમુહૂર્તએ સૌરાષ્ટ્રના ઉધોગો માટે આંતરરાષ્ટ્રીય ઉડાનની સુવિધા છે: રાજકોટ માટે ભાગ્યવાન પુરવાર થયેલા નરેન્દ્રભાઈ મોદી તથા વિજયભાઈ રૂપાણીની ભેટ સૌરાષ્ટ્રના ભાગ્ય વધુ ચમકાવશે

કાલે સૌરાષ્ટ્રના પાટનગર ગણાતા રાજકોટ માટે એક શુભ દિવસ છે. બીજા શબ્દોમાં કહીએ તો સોનાનો સુરજ ઉગવા જઈ રહ્યો છે. કાલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે નવા આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું ખાતમુહૂર્ત થનાર છે. આ એરપોર્ટ ફકત એક લકઝરી સુવિધા નહી પરંતુ રાજકોટ અને સમગ્ર સૌરાષ્ટ્ર અને એકંદર ગુજરાત માટે વિકાસના નવા દ્વાર ખુલશે. મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીને પણ આ નવી સુવિધા માટે યશ જાય છે. રાજકોટમાં નવું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ જે હિરાસર નજીક બની રહ્યું છે તે આગામી દિવસોમાં ગુજરાતના વિકાસમાં પણ ‘જવેલ ઈન ધ ક્રાઉન’ બની રહેશે.

સૌરાષ્ટ્રના ઉધોગપતિઓ આજે વૈશ્ર્વિક વેપાર સાથે જોડાયેલા છે અને તેના જ કારણે જ રાજકોટમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું વિમાની મથક તેઓ માટે નવી સુવિધા ઉભી થશે. વિદેશ સાથેના સીધા પ્રવાસ ઉપરાંત નિકાસલક્ષી કામગીરી પણ આ એરપોર્ટ મારફત થઈ શકશે અને આ રીતે રાજકોટ અને ગુજરાતના માધ્યમથી દેશના વ્યાપાર ઉધોગમાં એક નવી સુવિધા ઉભી થશે. થોડા સમય પહેલા રાજકોટમાં રેલવે ક્ધટેનર ડેપો માટે પસંદગી થઈ છે. આમ માર્ગ અને આકાશ બંને માધ્યમ મારફતે હવે સૌરાષ્ટ્રની નિકાસને વેગ મળશે. કંડલા બંદર તો તેમાં અગાઉથી જ નંબર-૧ રહ્યું છે. આમ જળ, થલ અને વાયુ ત્રણેય માર્ગે હવે સૌરાષ્ટ્ર તથા કચ્છ આંતરરાષ્ટ્રીય નકશામાં સ્થાન વધુ મજબુત કરશે.

હાલમાં જ ગુજરાતમાં જે એઈમ્સ સ્થાપવાની જાહેરાત થઈ છે. તેમાં રાજકોટની પસંદગી થશે તેવા સંકેતો મળે છે. આમ રાજકોટને આંતરરાષ્ટ્રીય કક્ષાની આરોગ્ય સુવિધા મળશે એટલું જ નહીં તબીબી શિક્ષણ ક્ષેત્રે પણ રાજકોટ હબ બનશે. આવી જ રીતે હાલમાં જ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાજકોટની પાણી સમસ્યાનો કાયમી ઉકેલ લાવતા આજીડેમમાં નર્મદાના અવતરણને વધાવ્યું હતું. જેનાથી છેલ્લા પાંચ દસકાની એટલે કે ગુજરાતના અસ્તિત્વથી રાજકોટ જે પાણીની સમસ્યાથી પીડાઈ રહ્યું હતું તેને કાયમી દેશવટો મળ્યો છે. આમ રાજકોટના વિકાસ સામેનું આખરી વિધ્ન હતું તે પણ દૂર થયું. રાજકોટ અને અમદાવાદ વચ્ચેના સિકસ લેન હાઈવેનું પણ ટુંક સમયમાં ખાતમુહૂર્ત થશે. આમ આ વિકાસગાથા ગણાવી તો તેનો અંત આવે તેમ નથી. પરંતુ મહત્વની બાબત એ છે કે વિકાસને જેઓ મજાક સમજે છે તેઓને ગુજરાતના વિકાસનો એક નવો મિજાજ પણ જોવા મળશે અને આ માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીનો આભાર માનીએ અને આવતીકાલ માટે બંનેને સુસ્વાગત કહીએ તે આપણો આનંદ દર્શાવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.