Abtak Media Google News

શહેરમાં હાલ માત્ર કોરોનાનાં ૧૪ એકટીવ કેસ, રીકવરી રેટ અને ડેથ રેટમાં કેન્દ્ર સરકારની ગાઈડલાઈન કરતા પણ મહાપાલિકા વધુ સુરક્ષિત: લોકડાઉનમાં મળેલી છુટછાટનો ઉપયોગ રાજકોટવાસીઓ ખુબ જ સાવચેતીથી કરે તે આવશ્યક

હાલ શહેરમાં માત્ર જંગલેશ્ર્વર વિસ્તાર જ ક્ધટેન્ટમેન્ટ એરીયા: પટેલનગર, એકતા સોસાયટી, ન્યુ કેદારનાથ સોસાયટી, રાજલક્ષ્મી સોસાયટી અને કૃષ્ણજીત સોસાયટીને ક્ધટેન્ટમેન્ટમાંથી મુકિત અપાઈ

વૈશ્ર્વિક મહામારી કોરોનાને ભારતમાં વ્યાપક રીતે વકરતો અટકાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ૧૮મી મેથી લોકડાઉન-૪ની અમલવારી કરવામાં આવી છે જેમાં ગુજરાત સરકાર દ્વારા અમદાવાદ અને સુરતને બાદ કરતા સમગ્ર રાજયમાં ભારે છુટછાટ આપવામાં આવી છે. છુટછાટનો ઉપયોગ કરવામાં લોકો સલામતી વિસરી ગયા હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે. મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે આજે બપોરે એક પત્રકાર પરીષદને સંબોધતા કોરોનાને વકરતો અટકાવવા માટે છેલ્લા બે માસ દરમિયાન મહાપાલિકા દ્વારા કરવામાં આવેલી કામગીરીનો રીપોર્ટ રજુ કર્યો હતો. સાથો સાથ જણાવ્યું હતું કે, હાલ રાજકોટ સંપૂર્ણપણે સેઈફ છે પરંતુ તંદુરસ્ત ભવિષ્ય માટે સાવચેતી ખુબ જ જરૂરી છે. હાલ શહેરમાં કોરોનાનાં માત્ર ૧૪ પોઝીટીવ કેસ છે. ગઈકાલે સાધુ વાસવાણી રોડ પરથી કેસ મળી આવ્યા બાદ તંત્ર વધુ એલર્ટ બની ગયું છે. શહેરમાં જંગલેશ્ર્વર વિસ્તારને બાદ કરતા અન્ય એક પણ વિસ્તારનો ક્ધટમેન્ટ એરીયામાં સમાવેશ થયો નથી. છુટછાટનો ઉપયોગ લોકો સાવચેતીપૂર્વક કરે તે ખુબ જ આવશ્યક છે.

તેઓએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં કોરોનાનો પ્રથમ કેસ રાજકોટમાં નોંધાયો હતો. અત્યાર સુધી શહેરમાં કોરોનાનાં ૭૬ કેસ નોંધાયા છે જેમાંથી ૬૧ લોકો સાજા થઈ ગયા છે અને તેઓને રજા પણ આપી દેવામાં આવી છે. હાલ માત્ર ૪૧ એકટીવ કેસ છે અને એક કોરોના દર્દીનું મૃત્યુ થયું છે. શહેરમાં કુલ ૩૫૭૨ વ્યકિતઓનાં સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાંથી ૩૪૯૬ સેમ્પલ નેગેટીવ આવ્યા છે. શહેરમાં રીકવરીનો રેટ ૮૦.૩ ટકા છે જયારે ડેથ રેશીયો માત્ર ૧.૩ ટકા છે. કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ ૨૦૦થી વધુ કેસ હોય તો તેને ક્રિટીકલ ગણવામાં આવે છે પરંતુ રાજકોટમાં એકટીવ તો દુરની વાત રહી પરંતુ કુલ કેસો પણ ૨૦૦ થયા નથી. ડબલીંગ રેશિયો ૧૪ દિવસથી ઓછો હોવો જોઈએ અને ૨૮ દિવસ હોય તો ખુબ જ સારું ગણાવી શકાય. રાજકોટમાં ડબલીંગ રેશિયો ૩૧ દિવસનો છે. ૧ લાખ લોકોમાં ૨૦૦ લોકોથી વધું લોકોનો ટેસ્ટ થવો જોઈએ. રાજકોટમાં આ પ્રમાણ ૨૩૩ છે. સેમ્પલ પોઝીટીવ રેટ ૬ ટકાથી વધુ હોય તો ક્રિટીકલ ગણાવી શકાય અને ૨ ટકા ઈચ્છનીય છે આ પ્રમાણ શહેરમાં ૨.૧૧ ટકા જેટલું છે. રાજકોટમાં ૬૦ કેસ કન્ટેન્મેન્ટ એરીયામાં છે અને કન્ટેન્મેન્ટ એરીયાની બહાર રોજ ૫૦ થી ૬૦ ટેસ્ટ કરવામાં આવ્યા છે. છેલ્લા ૫૦ દિવસ સુધી કન્ટેન્મેન્ટ એરીયાની બહાર એક પણ કેસ નોંધાયો ન હતો. દરમિયાન ગઈકાલે સાધુ વાસવાણી રોડ પર નવો કેસ મળી આવ્યો છે. અગાઉ વોર્ડ નં.૧૬ આખો અને વોર્ડ નં.૧૭ અડધા સહિત કુલ ૪૪,૭૨૧ લોકો કન્ટેન્મેન્ટ એરીયામાં હતા. પટેલનગર, એકતા સોસાયટી, ન્યુ કેદારનાથ, રાજલક્ષ્મી સોસાયટી, કૃષ્ણજીત સોસાયટીનાં કન્ટેન્મેન્ટ એરીયામાંથી મુકિત આપવામાં આવી છે. હાલ એક માત્ર જંગલેશ્ર્વર વિસ્તાર કન્ટેન્મેન્ટમાં સમાવેશ થાય છે અને ૧૪ હજાર લોકો કન્ટેન્મેન્ટ એરીયામાં રહે છે.

તેઓએ ઉમેર્યું હતું કે, મહાપાલિકા દ્વારા ૩,૧૮,૯૬૭ ઘરોમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. રોગપ્રતિકારક શકિત વધારવા માટે ૧,૪૭,૩૦૦ લોકોને આયુર્વેદિક અને હોમિયોપેથીક દવા આપવામાં આવી છે. કરિયાણાની વસ્તુની હોમ ડિલીવરીમાં પણ વ્યાપક પ્રમાણમાં કામ કરાયું છે. મહાપાલિકા દ્વારા ૨૬મી માર્ચથી રૂડા કચેરી ખાતે કોલ સેન્ટર શરૂ કરાયો હતો. લોકડાઉનમાં કોઈ વ્યકિત ભુખ્યું ન રહે તે માટે ૩૬,૧૫૩ રાશન કિટનું વિતરણ કરાયું હતું અને આશરે ૨૫ લાખ ફુડ પેકેટ અથવા ટીફીન આપવામાં આવ્યા હતા. દરરોજ ૪૮ હજાર લોકોને ભોજન પહોંચાડવામાં આવ્યું છે. માસ્ક ન પહેરનાર ૨૮૭૨ લોકો પાસેથી દંડ વસુલ કરવામાં આવ્યો છે. અત્યાર સુધી માસ્ક ન પહેરવા સબબ ૧ હજારનો દંડ વસુલ કરવામાં આવતો હતો પરંતુ રાજય સરકારનાં નવા આદેશ પ્રમાણે હવે માસ્ક ન પહેરનાર પાસેથી રૂા.૨૦૦નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.

તેઓએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, અત્યાર સુધી કોરોનામાં રાજકોટ સંપૂર્ણપણે સેઈફ છે પરંતુ ભવિષ્ય હવે આપણા હાથમાં છે. લોકડાઉન-૪માં સરકારે આપેલી વ્યાપક છુટછાટનો આપણે આડેધડ ઉપયોગ કરવા માંડીશું તો કોરોના વધુ ઘાતક બને તેવી શકયતા પણ રહેલી છે. સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન કરવું, વારંવાર સાબુથી હાથ ધોવા અથવા સેનેટાઈઝ કરવા, ફરજીયાત માસ્ક પહેરવું અને જયાં ત્યાં ન થુંકવા જેવા નિયમોનું પાલન કરવા પણ તેઓએ રાજકોટવાસીઓને અપીલ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.