Abtak Media Google News

કેરળના કાર્યકરોની લાગણી વયાનંદ બેઠક પરથી ચૂંટણી લડવાનો મુકયો પ્રસ્તાવ

લોકસભાની ચૂંટણીને આડે માત્ર હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યાં છે ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આ લોકસભા ચૂંટણીમાં બે બેઠક પર ચૂંટણી લડે તેવા નિર્દેશ મળ્યા છે. રાહુલ ગાંધી વયાનંદ બેઠક ઉપરથી ચૂંટણી લડે તેવી પણ વિગતો મળી રહી છે. રાહુલ ગાંધીએ આ અંગે જણાવતા કહ્યું કે, દક્ષિણ ભારતના મતદારોની લાગણીને ન્યાય આપવામાં આવે તે ખૂબજ મહત્વનું અને આવશ્યક છે.બે બેઠક પરથી ચૂંટણી લડવી તે સ્વાભાવીક છે. નરેન્દ્ર મોદી વારાણસી અને વડોદરાની બેઠક પરથી ૨૦૧૪ની ચૂંટણી લડયા હતા.

આધારભૂત સૂત્રોના જણાવ્યાનુસાર અને અહેવાલ મુજબ રાહુલ ગાંધી પ્રથમ વખત કેરળના વયાનંદ બેઠક પરથી ચૂંટણી લડશે. સાથો સાથ તેમણે અમેઠીની બેઠક પરથી ચૂંટણી લડવાની વાત કરી હોવાનું જાણવા મળી રહ્યું છે પરંતુ એ વાતની પણ અહીં પુષ્ટી થાય છે કે, રાહુલને અમેઠી બેઠક પરથી ભરોસો નથી જેના કારણે તે કેરળની અન્ય બેઠક પર ચૂંટણી લડી રહ્યાં છે.

રાહુલ ગાંધીએ વધુમાં જણાવતા કહ્યું હતું કે, અમેઠી તે તેની કર્મભૂમિ છે અને તે કાયમ રહેશે. જેના માટે એક ઉંડી લાગણી પણ છે.સાથે સાથ કર્ણાટક, તામિલનાડુ અને કેરળના પક્ષના કાર્યકરોની એ પણ લાગણી હતી કે અમેઠી સીવાય બીજી એક અન્ય બેઠક પરથી ચૂંટણી લડવામાં આવે જેથી કેરળના વયાનંદ બેઠક પરથી ચૂંટણી લડવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે.

રાહુલ ગાંધીએ પ્રિયંકા ગાંધી વાડ્રા અંગે પણ જણાવ્યું હતું કે, જો પક્ષ ઈચ્છશે તો તે પણ ચૂંટણી લડવા રાજી છે પરંતુ આ નિર્ણય ફકત પ્રિયંકા ગાંધી પર છોડી દેવામાં આવ્યો છે.રાહુલ ગાંધી અમેઠી ઉપરાંત કેરળની વયાનંદ બેઠક પરથી ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યાં છે. ત્યારે જોવાનું એ રહ્યું કે, આ નિર્ણય રાહુલ ગાંધી માટે કેટલો અસરકારક અને મહત્વપૂર્ણ સાબીત થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.