Abtak Media Google News

ડુંગર દરબારમાં ઉપસગ્ગાહંર સ્તોત્ર સંકલ્પ સિધ્ધિ સાધના અને ચતુર્થ યુવા શિબિરનું પણ આયોજન

રાષ્ટ્રસંત પૂજ્ય નમ્રમુનિ મહારાજ સાહેબના મુખેથી દીક્ષામંત્ર સ્વીકારનાર ત્રણ નવદીક્ષિતા મહાસતીજીઓ પૂજ્ય પરમ વિરક્તાજી મહાસતીજી, પૂજ્ય પરમ આમન્યાજી મહાસતીજી, અને પૂજ્ય પરમ વિભૂતિજી મહાસતીજીના ઉગ્ર માસક્ષમણ તપસ્યા પારણાનું આયોજન આગામી રવિવારે, ૨૬ ઓગષ્ટ ૨૦૧૮ના રોજ  ડુંગર દરબાર, અમિન રોડ માર્ગ, જેડ બ્લુની સામે, રાજકોટ ખાતે સવારે ૧૧.૦૦ કલાકે કરવામાં આવ્યું છે.

૬૫ વર્ષની જૈફ વય, જ્યારે સામાન્ય લોકો અન્ય પાસેથી સેવાની અપેક્ષા રાખતાં હોય છે એ સમયે ૪ વર્ષ પહેલાં શાસન સેવાના લક્ષ્યી દીક્ષા સ્વીકારનારા પૂજ્ય શ્રી પરમ વિરક્તાજી મહાસતીજી, ૨ વર્ષ પહેલા દીક્ષિત થએલા પૂજ્ય પરમ આમન્યાજી મહાસતીજી, અને માત્ર ૬ મહિનાની દીક્ષા પર્યાયમાં સળંગ ૭૫ એકાસણા પર માસક્ષમણની ઉગ્ર તપસ્યા કરનાર પરમ વિભૂતિજી મહાસતીજી, આ ત્રણેય તપસ્વી સાધ્વી રત્નાઓની તપ સાધનાથી શ્રીસંઘનો ઉત્સાહ અને નગનાટ ઉત્કૃષ્ટતાને આંબી રહ્યો છે.

આ ઉગ્ર તપસ્વીઓના પરણાનું આયોજન ડુંગર દરબારમાં રવિવારે ચર્તુવિધ સંઘ, વિશાળ સંખ્યામાં ભાવિકોની હાજરીમાં કરવામાં આવ્યું છે. આ સાથે શ્રી ઉવસગ્ગહરં સ્તોત્ર સંકલ્પ સિદ્ધિ સાધનાનાં બારમાં તબક્કાના આયોજન સાથે રાજકોટના યુવાવર્ગને ભાવિત અને અહોભાવિત કરતી ચર્તુ યુવા શિબિરનું આયોજન એટલે જ્ઞાન, મંત્રસાધના, અને તપના આ ત્રિવેણી સંગમમાં ભાવ સ્નાન કરીને આત્મશુધ્ધિનો અવસર છે.

રાજકોટનાં પનોતા પુત્રી, માત્ર ૬ મહિના પહેલા સંયમ ધર્મ અંગીકાર કરનાર પૂજ્ય પરમ અર્પિતાજી મહાસતીજી પણ આજે ૧૮ ઉપવાસે માસક્ષમણની આરાધનામાં આગળ વધી રહયા છે. આ સાથે અનેક અનેક મહાસતીજીઓ ધર્મચક્ર તપની આરાધનામાં આગળ વધી રહ્યાં છે.

રોયલપાર્ક ઉપાશ્રયને આંગણે તપસ્વીઓનાં તપને ભક્તિના સૂરોથી વધાવવા માટે દરરોજ બપોરે સાંજીમાં અનેક ભાવિકો લાભ લઇ રહયા છે. આ અવસરે સવારે  ૯.૦૦  કલાકે  યુવા શિબિર એવમ ઉવસગ્ગહરં સ્તોત્ર સંકલ્પ સિદ્ધિ સાધના તથા ૧૧.૦૦ કલાકે તપસ્વીઓના પારણાનો  લાભ લઇ સર્વ ભાવિકોને ધન્ય થવા માટે સંઘ આગોતરૂ આમંત્રણ પાઠવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.