Abtak Media Google News

આમા કોરોના બ્લાસ્ટ ન થાય તો જ નવાઈ!

‘ખાળે ડુચા અને દરવાજા મોકળા’ની જેમ આઇસીએમઆરની ગાઇડ લાઇનને હોસ્પિટલ તંત્ર ઘોળીને પી ગયું

સમગ્ર વિશ્વ કોરોના વાયરસથી બચવા ઝઝુમી રહ્યો છે. કોરોના મહામારીને આગળ વધતી અટકાવવા માટે કેન્દ્ર સરકારની આઇસીએમઆર દ્વારા જાહેર કરાયેલી ગાઇડ લાઇન મુજબ દેશની તમામ હોસ્પિટલ અને મેડિકલ કોલેજ દ્વારા થતા પોસ્ટમોર્ટમ પૂર્વે મૃતકનો કોવિડ ટેસ્ટ કરવો ફરજીયાત હોવા છતાં રાજકોટની સિવિલ હોસ્પિટલના તંત્ર દ્વારા ગુનાહીત બેદરકારી દાખવી છેલ્લા ચાર માસમાં ૧૧૦૦ જેટલા મૃતદેહના કોવિડ ટેસ્ટ વિનાજ પોસ્ટમોર્ટમ કરી નાખવામાં આવ્યા છે. રાજકોટમાં એકાએક કોરોના પોઝિટીવ કેસનું પ્રમાણ વધવા પાછળનું આ પણ એક કારણ હોય શકે તેમ હોસ્પિટલ તંત્રમાં ચાલતી ચર્ચાએ ચકચાર જગાડી છે.

કોરોના મહામારીને અટકાવવા કેન્દ્ર સરકાર દ્વારા જરૂરી પગલા લીધા હતા જેમાં મોતનું ચોકકસ કારણ જાણવા માટે અને પોલીસ તપાસ માટે પણ પોસ્ટમોર્ટમ જરૂરી હોવાથી સરકારી હોસ્પિટલ અને મેડિકલ કોલેજ દ્વારા મૃતકના પોસ્ટમોર્ટમ કરાવવા જરૂરી છે ત્યારે મૃતક ગમે તે કારણોસર થયું પરંતુ તેનું કોરોના ટેસ્ટ કરવો ફરજીયાત કરવામાં આવ્યો છે.

મૃતકનો રિપોર્ટ પોઝિટવ આવે અથવા કોરોનાના લક્ષણ જોવા મળે તેવા કેસમાં પોસ્ટમોર્ટમ કર્યા વિના જ ડેથ સર્ટીફિકેટ આપવામાં આવે છે. અને તેની ખાસ તકેદારી સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. આઇસીએમઆરની આ રીતે સ્પષ્ટ ગાઇડ લાઇન હોવા છતાં રાજકોટની હોસ્પિટલમાં છેલ્લા ચાર માસમાં કુદરતી મોત, અકસ્માતના બનાવ, આપઘાતના બનાવ, ખૂન, બીમારી સબબ થયેલા ૧૧૦૦ જેટલા મોતના કિસ્સામાં કોવિડ ટેસ્ટ વિના જ પોસ્ટમોર્ટમ કર્યા વિના ગુનાહીત બેદરકારી દાખવી છે.

મૃતકને કોરોના પોઝિટવ હોય ત્યારે પોસ્ટમોર્ટમ કરનાર સ્ટાફ અને મૃતકના પરિવારને કોરોના પોઝિટીવનો ચેપ લાગુ પડે તેવી દહેશત સાથે ફફડાટ મચી ગયો છે. અત્રે ઉલખનીય છે કે, આઇસીએમઆરની ગાઇડ લાઇનમાં ભાવી સમયમાં કોવિડ ૧૯ કેસનું સંક્રમણ વધશે જે અંતર્ગત કોરોના પોઝિટવના કારણે મૃત્યુ પામનારના પોસ્ટમોર્ટમ કરવા સામે મનાઇ ફરમાવવામાં આવી છે. સબ પરિક્ષણ કરતા તબીબ, ટેકનિશયન સ્ટાફ અને નર્સિગ સ્ટાફ તેમજ સફાઇ કર્મચારીને પોસ્ટમોર્ટમ સમયે સાવચેતી લેવા છતાં કોરોનાનો ચેપ લાગુ પડે તેવી સ્થિતીના કારણે હોસ્પિટલ સ્ટાફમાં ફફડાટ મચી ગયો છે.

કાળમુખો કોરોના: રાજકોટમાં એક રાતમાં વધુ ૯ ને ભરખી ગયો

સૌરાષ્ટ્રમાં એક દિવસમાં કોરોનાએ ત્રેવડી ફટરતા ૩૦૬ પોઝિટિવ કેસ

રાજકોટમાં કોરોના દિવસે ને દિવસે કાળમુખો બનતો જાય છે ત્યારે શહેરની કોવિડ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા વધુ ૯ કોરોનાગ્રસ્ત દર્દીઓના મોત નિપજ્યા છે. અને રાજકોટ જિલ્લામાં વધુ ૧૦૨ પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે સૌરાષ્ટ્રભરમાં જામનગર, જૂનાગઢ, અમરેલી, મોરબી, દ્વારકા અને પોરબંદર સહિત કોરોના પોઝિટિવ કેસનો આંક ૩૦૦ને પાર નોંધાયો છે.

રાજકોટમાં ગઈ કાલે રાતથી અત્યાર સુધી રાજકોટના ૬ સહિત વધુ ૯ દર્દીઓને ભરખી ગયો છે. જેમાં રાજકોટના રણછોડનગરમાં રહેતા રામભાઈ રાઘવજીભાઈ કાપડીયા (૮૧), સત્યમપાર્કના માલુબેન રઘુભાઇ (૫૮), સુભાસનગરના જયાબેન નાનજીભાઈ પરમાર (૫૫), રણછોડનગરના મનીષભાઈ ગુલાબભાઇ સવાણી (૪૦), લક્ષ્મીવાડી મેઈન રોડ પરના હિતેષભાઈ પ્રભાશંકર ઉપાધ્યાય (૪૭), જંગલેશ્વરના હાજીભાઈ ઇસ્માઇલભાઈ પરમાર (૭૦)નું મોત નિપજ્યું છે. જ્યારે અન્ય ગ્રામ્ય વિસ્તારના ધ્રાંગધ્રાના ગોમતીબેન પરસોતમભાઇ જાદવ (૫૦), જેતલસર સતારભાઈ ઇસ્માઇલભાઈ બેલીમ (૭૦), જામકંડોરણા દૂધીબેન દેવશીભાઇ ગજેરા (૭૫) કોરોના સામેની જંગ હારી જતા તેમના મોત નિપજ્યા છે.

રાજકોટમાં કોરોનાની વધતી જતી ધેસ્ટના કારણે આજ રોજ રાજ્ય આરોગ્ય સચિવ ડો. જ્યંતી રવિ ફરી રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે. અને જિલ્લામાં કોરોનાએ એક દિવસમાં સદી નોંધાવતા વધુ ૧૦૨ પોઝિટિવ કેસ જાહેર કરવામાં આવ્યા છે.

સૌરાષ્ટ્રભરમાં કોરોના રેકોર્ડબ્રેક ૩૦૦થી વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં જૂનાગઢમાં ૪૪ પોઝિટિવ કેસ અને ૩ મોત, જામનગરમાં ૩ મૃત્યુ અને ૩૩ પોઝિટિવ કેસ, મોરબી ૧૯ પોઝિટિવ અને ૨ના મોત, પોરબંદરમાં ૨ પોઝિટિવ કેસ અનવ ૨ મોત, સોમનાથમાં ૧ મોત નોંધાયા છે. જ્યારે અમરેલી જિલ્લામાં ૨૦ અને દ્વારકામાં ૩ પોઝિટિવ કેસ નોંધાયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.