Abtak Media Google News

પ્રેમલગ્ન કરી બે વર્ષ પહેલા મુસ્લિમ ધર્મ અંગીકાર કર્યો ‘તો

જામનગર જિલ્લાના ધ્રોલમાં ગાયત્રીનગર વિસ્તારમાં રહેતા અને મુસ્લિમ ધર્મ અંગીકાર કરી પ્રેમલગ્ન કરનાર યુવાનને મકરસંક્રાંતી પર્વના રોજ પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. પત્નીનો પૂર્વ પ્રેમી ત્રાસ આપતો હોવાથી આખરે તેણે જીવ ગુમાવ્યો હોવાનું સામે આવતા પોલીસ મથકમાં ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.

આ બનાવની વિગત એવી છે કે, ધ્રોલમાં ગાયત્રીનગર વિસ્તારમાં રહેતા પીયુષ ઉર્ફે સલીમ ઈન્દુભાઈ સોલંકીએ મકરસંક્રાંતી પર્વના દિવસે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લઈ જીવનલીલા સંકેલી લીધી હતી. આ બનાવ અંગે ધ્રોલ પોલીસ મથકમાં જે-તે વખતે કોઈ અગમ્ય કારણોસર આપઘાત કર્યો હોવાનું જાહેર કરાયું હતું પરંતુ ધ્રોલ પોલીસે સમગ્ર પ્રકરણની ઉંડાણપૂર્વક તપાસ કરાવતા પોતાના મકાનની સામે રહેતાં ઈન્દ્રીશ ઈકબાલભાઈ સિપાઈના ત્રાસને કારણે જીંદગીથી તંગ આવી તેણે આ પગલું ભરી લીધાનું માલુમ પડયું હતું. જેથી ધ્રોલ પોલીસે સમગ્ર પ્રકરણને બહાર લાવી મૃતકની પત્નીની ફરિયાદના આધારે પાડોશી ઈન્દ્રીશભાઈ સામે આઈપીસી કલમ ૩૦૬ હેઠળ ગુન્હો નોંધી તેની ધરપકડ કરવા માટે કાર્યવાહી હાથ ધરાઈ છે.

આ યુવાનની આત્મહત્યાના બનાવના પગલે પોલીસે પડદો ઉંચકાવી નાખ્યો છે. તેમાં પ્રણય ત્રિકોણ સામે આવ્યો છે. મૃતક યુવક પિયુષ સોલંકી કે જેણે આજથી બે વર્ષ પહેલા ધ્રોલમાં જ રહેતી સલીના નામની મુસ્લિમ યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હતા અને પોતે મુસ્લિમ ધર્મ અંગીકાર કરી પોતાનું નામ સલીમ ધારણ કરી લીધું હતું ત્યારે પછી ગાયત્રીનગરમાં જ પોતાની પત્ની સાથે રહેતો હતો. જેના મકાનની સામે જ ઈન્દ્રીશ ઈકબાલભાઈ સિપાઈ નામનો શખ્સ રહે છે. જેને અગાઉ સલીના સાથે પ્રેમસંબંધ હતો. જેથી તેણીના ફોટા પાડી પોતાના મોબાઈલ ફોનમાં રાખ્યા હતા. જે ફોટાના આધારે મૃતક યુવાનને તેણી પત્નીની હાજરીમાં જ બતાવી કે, જો આ તારી પત્ની છે. તે મારી જ પ્રેમિકા છે અને હંમેશા મારી જ રહેશે. જેથી તું સલીનાને છોડી દે જે તેમ કહેતા અને અવાર-નવાર છોડી દેવા માટે દબાણ કરતા આખરે પિયુષ ઉર્ફે સલીમે આત્મહત્યાનું પગલું ભરી લીધાનું બહાર આવ્યું છે. પોલીસે આ અંગે વધુ તપાસ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.