Abtak Media Google News

આવતીકાલે અલ્પેશ ઠાકોર અને જિજ્ઞેશ મેવાણી માટે ખરાખરીનો ખેલ

૧૮મીએ મત ગણતરી: કોની સરકાર રચાશે તેનો ફેંસલો થશે

ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબકકાનો પ્રચાર પૂર્ણ થઈ ગયો છે. આવતીકાલે બીજા તબકકામાં ૯૩ બેઠક માટે ૮૫૧ ઉમેદવારો વચ્ચે મુકાબલો થવાનો છે. જેમાં ૩૫૦ અપક્ષ ઉમેદવારો છે. કુલ મતદારોની સંખ્યા ૨.૨૨ કરોડ છે જેમાં ૧.૧૫ કરોડ પુ‚ષો અને ૧.૦૭ કરોડ મહિલાનો સમાવેશ થાય છે. આવતીકાલે ૨૫૫૫૮ મતદાન મથકોમાં મતદાન થશે.

આવતીકાલનું મતદાન પણ ઘણું મહત્વનું ગણવામાં આવે છે. કારણ કે, પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલ, ઠાકોર સેનાના પ્રમુખ અને કોંગ્રેસના ઉમેદવાર અલ્પેશ ઠાકોર તથા દલિત અગ્રણી તેમજ અપક્ષ ઉમેદવાર જીગ્નેશ મેવાણીનું ભવિષ્ય પણ આવતીકાલના મતદાનના પરિણામો બાદ નિશ્ર્ચિત થશે.

અમદાવાદની ૧૬ બેઠકોમાંથી ૧૪ બેઠકો ભાજપ પાસે વર્ષ ૧૯૯૦થી છે. કોંગ્રેસ પાસે માત્ર દરિયાપુર અને દાણીલીમડા બેઠક જ છે. સૌથી મોટો મત વિસ્તાર ઘાટલોડીયા છે જયાં ૩.૫૨ લાખ મતદારો મત આપવાના છે. અમદાવાદ સહિત ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ૯૩ વિધાનસભા મત ક્ષેત્રોમાં પ્રચાર બંધ થઈ ગયો છે. મોટાભાગના મત ક્ષેત્રોમાં રાજકીય પક્ષો અને અન્ય ઉમેદવારોએ મતદારોને આકર્ષવા રેલી સહિતના કાર્યક્રમો યોજયા છે. ૧૪૫૨૩ મતદાન સ્થળોએ ઈવીએમ અને વીવીપેટ યુનિટ સાથે પહોંચી જવા કર્મચારીઓને આદેશ અપાયો છે.

અહીં ઉલ્લેખનીય છે કે, આવતીકાલનો બીજો તબકકો ભાજપ માટે અતિ મહત્વનો છે. ભાજપ એન્ટી ઈન્કમ્બનસીની વેતરણી પાર કરવા સજ્જ થયો છે. વર્ષ ૨૦૦૨માં ભાજપે ૫૦ ટકા મત મેળવી ૧૨૮ બેઠકો ઉપર વિજય મેળવ્યો હતો. ત્યારબાદ વિકાસના મુદ્દે ચૂંટણી લડાઈ હતી. જો કે તે સમયે મોદી વિરોધી લહેરનું તે સમયે થોડુ ઘણું પ્રમાણ હતું. ૨૦૦૭માં ૪૯ ટકા મત મેળવી ભાજપે ૧૧૭ બેઠકો જીતી હતી.

૧ ટકો મત તેના પહેલાની વિધાનસભા ચૂંટણી કરતા ઓછો રહ્યો હતો પરંતુ બેઠકો સીધી ૧૦ ઘટી ગઈ હતી. માટે એન્ટીઈકમ્બન્સી આ વખતે ભાજપ માટે અગ્રતાની ચિંતા છે. અલબત આ મુશ્કેલીના ઉકેલ માટે ભાજપે માઈક્રો પ્લાનીંગ કરી લીધું છે.

વડાપ્રધાન મોદી, અમિત શાહ તેમજ કેન્દ્રીય મંત્રીઓ સહિતના દિગ્ગજોને ભાજપે મેદાનમાં ઉતાર્યા હતા. દરેક વિધાનસભા કરતા આ વિધાનસભા માટે ભાજપ વધુ સજ્જ બન્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.