Abtak Media Google News

પોપટપરા નાલુ, રેલનગર નાલુ, રૈયાધાર, અંડરબ્રીજ, મવડી ઓવરબ્રીજ, રામનાથ મહાદેવ મંદિર અને બેઠા પુલ પર પોલીસે અવર જવર અટકાવી

રાજયમાં મેઘરાજાની મહેર સાથે કેટલાક સ્થળે મેઘરાજાએ કહેર વરતાવ્યો છે. શહેરમાં છેલ્લા ૨૪ કલાકથી એક ધારા વરસતા મુશળધાર વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાતા તંત્રમાં દોડધામ થઇ ગઇ છે. સલામતિના કારણોસર પોલીસ દ્વારા કેટલાક માર્ગ પર લોકોની અવર જવર અટકાવી દીધી છે.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી અજયકુમાર ચૌધરી, ડીસીપી ઝોન-૧ રવિ મોહન સૈની અને ડીસીપી ઝોન-૨ મનોહરસિંહ જાડેજા સહિતના પોલીસ સ્ટાફ દ્વારા શહેરના તમામ પોલીસ સ્ટાફને અસરગ્રસ્ત વિસ્તારના રહીશોની મદદ માટે સતત એલર્ટ રહી તાકીદે મદદ કરવા આપેલી સુચનાનાના પગલે એસઓજી, ક્રાઇમ બ્રાન્ચ અને તમામ પોલીસ મથકના સ્ટાફ રાતથી જ સ્ટેન્ડ ટુ બન્યા હતા અને નીચાણવાળા વિસ્તારની રજે રજની માહિતી મેળવી હતી અને સલામતિના કારણોસર કેટલાક માર્ગો પર વાહન વ્યવહાર અટકાવી દીધો હતો.

ગઇકાલથી શરૂ થયેલા ધોરમાર વરસાદના રાજકોટવાસીઓએ મન મુકીને માણ્યો હતો તો નીચાણવાળા વિસ્તારમાં મકાન અને દુકાનમાં પાણી ભરાતા લોકોને હાલાકી વેઠવી પડી છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૩ ઇંચ વરસાદ પડતા ઠેર ઠેર પાણી પાણી થઇ ગયું છે. જળબંબાકારની સ્થીતી વચ્ચે કેટલાક માર્ગો પર ભૂવા પડતા મેઘરાજાએ તંત્રની પોલ ખોલી નાખી છે. જો કે રાજકોટમાં શુક્ર-શનિવારે ભારે વરસાદના કારણે તંત્ર એલર્ટ હોવાથી કોઇ જાનહાનીની ઘટના બની ન હતી પરંતુ પાણી ભરાવવાના કારણે હાલાકી ભોગવવી પડી હતી.

શહેરના પોપટપરા વિસ્તારમાં મોડીરાતથી જ પાણી ભરાતા એસઓજી ટીમ દ્વારા તકેદારીના પગલા માટે વાહન ચાલકોને પોપટપરા નાલા નીચેથી પસાર થતા અટકાવ્યા છે. તે રીતે મહિલા કોલેજ અંડરબ્રીજ અને રેલનગર નાલામાં પણ પુસ્કળ પાણી ભરાતા અનેક વાહન ચાલકો ફસાતા પોલીસ દ્વારા નાલા નીચેથી અવર જવર અટકાવવા બંદોબસ્ત ગોઠવવો પડયો છે.

પોપટપરાના નીચાણવાળા વિસ્તારમાં મકાનમાં પાણી ખુસી ગયા હોવાથી ફાયર બ્રિગેડ અને પોલીસ દ્વારા મોટી સંખ્યામાં લોકોને સલામત સ્થળે ખસેડયા છે. ગોંડલ રોડ પર આવેલા એસટી વર્કસ સોપ પાસે ઠેર ઠેર પાણી ભરાતા વાહન બંધ પડી ગયા હતા. આંબેડકરનગરમાં કેટલાક મકાન અને દુકાનમાં પાણી ઘુસી જતાં પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનો રહીશોની મદદે દોડી ગયા હતા.

મવડી ચોકડીએ તાજેતરમાં બનેલા ઓવરબ્રીજ નીચે પડેલા ભુવામાં ટ્રક ફસાતા વાહન-વ્યવહાર પોલીસે બંધ કરાવ્યો હતો તેમજ ગોંડલ તરફ જતા બ્રીજનો માર્ગ પર વાહન વ્યવહાર ઠપ્પ થઇ ગયો છે.

યુનિર્વસિટી અને રૈયાધાર પર મકાનમાં પાણી ઘુસી જતા યુનિર્વસિટી પોલીસનો તમામ સ્ટાફ રૈયાધાર વિસ્તારમાં સ્ટેન્ડ ટુ રહી લોકોને એલર્ટ રહેવા સાવચેત કર્યા હતા. નીચાણવાળા વિસ્તારના મકાનમાં પાણી ઘુસી ગયા હોવાથી તેઓને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. શહેરમાં ‚ખડીયાપરા, માધાપર ચોકડીથી મોરબી રોડ, પરાબજારથી હોસ્પિટલ ચોક, અને હોસ્પિટલ ચોકથી પારેવડી ચોક તરફ વાહન વ્યવહાર પોલીસે સલામતિના કારણોસર અટકાવી દીધો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.