Abtak Media Google News

જમીનમુકિત આંદોલન ૪૯માં દિવસે યથાવત: ન્યાય અપાવવા પ્રધાનમંત્રીને રજુઆત

તાલુકાના દરિયાકાંઠા વિસ્તારના પીપાવાવ ધામના સરપંચ તથા ગ્રામજનો છેલ્લા ૪૯ દિવસથી ગુજરાત હેવી કેમિકલ્સ લિમિટેડ અને ભુમાફીયાઓના કબજામાંથી ગામની જમીન મુકત કરાવવા માટે રાજુલા પ્રાંત કચેરી સામે ઉપવાસ આંદોલન કરી રહ્યા છે. ગુજરાત સરકારને અનેક વખત રજુઆતો કરી છતાં પણ સરકાર દ્વારા ગ્રામજનોને ન્યાય મળે તે માટે ગ્રામજનોને સરકારના કોઈ પ્રતિનિધિ મળવા પણ નથી આવ્યા આથી ગુજરાત સરકારથી નારાજ થઈ આજરોજ આંદોલનકારી ગ્રામજનો દ્વારા દેશનાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પોસ્ટ કાર્ડ લખ્યા હતા. કારણકે વડાપ્રધાને દિલ્હી જતા સમયે ગુજરાતની બહેનોને કહેલું કે જયારે પણ જ‚ર પડે ત્યારે મને એક પોસ્ટ કાર્ડ લખજો હું તમારો ભાઈ દિલ્હીમાં બેઠો છું. આથી પીપાવાવ ધામની બહેનો તથા આંદોલનકારીઓ દ્વારા પોસ્ટ કાર્ડ લખ્યા હતા.

આ તકે રાજુલા તાલુકાના મહિલા પ્રમુખ ભાવનાબેન બાંભણીયા પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે પણ વડાપ્રધાને પોસ્ટ કાર્ડ લખ્યું હતું. આંદોલન છાવણીની મુલાકાત લેતા સુરત કોળી આગેવાનો સન્નીભાઈ પટેલ, હેમંતભાઈ પટેલ, સંજયભાઈ રાઠોડ, કાન્તીભાઈ શીંગડ, મહુવાના ચંદુભાઈ ભાલિયા, ભાવેશ બારીયા, અમરેલીના સામાજિક કાર્યકર્તા જગદીશભાઈ ચૌહાણ, અમરેલી જિલ્લા કોંગ્રેસના બક્ષીપંચ મોરચાના ચેરમેન નારાયણભાઈ મકવાણા વિકટરના યુવા અગ્રણી અજયભાઈ શિયાળ, રણછોડભાઈ બાંભણિયા, મધુભાઈ સાંખટ, મુકેશભાઈ કાંબડ, અશોક ભાલિયા, ભાણાભાઈ ગુજરીયા સહિતના લોકો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા અને દિવસના અંતે આંદોલનકારીઓ દ્વારા નાયબ કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.